Latest

Tuesday, September 11, 2018

2019માં નુકસાનનો ભય છતા આ કારણે મોદી સરકાર નથી આપી રહી પેટ્રોલ-ડીઝલમાં રાહત

આ કારણે સરકાર ટેક્સ ઓછો નથી કરવા માગતી


નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાં હજુ પણ કોઈ આસાર મળવાની શક્યતા નથી. કેન્દ્ર સરકાર અને કેટલીક રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો કરવા તૈયાર નથી. સરકાર ટેક્સમાં રાહત આપીને પોતાના આ કમાઉ દીકરા દ્વારા થતી કમાણીમાં 30,000 કરોડનું નુકસાન કોઈપણ કાળે ભોગવવા તૈયાર નથી. સોમવારે એક ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં ઘટાડાની શક્યતાને નકારી કાઢતા કહ્યું કે, જો આવું કરવામાં આવે તો સરકારને વાર્ષીક રુ.30 હજાર કરોડનું નુકસાન જઈ શકે છે. જેની સીધી અસર કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ પર પડે છે.

નામ જાહેર ન કરવાની શરતે સરકારી અધિકારીએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર દ્વારા જો પ્રોડક્શન ટેક્સ અથવા એક્સાઇઝ ડ્યુટી ઓછી કરવામાં આવે તો તેની સીધી અસર સરકારની તિજોરી પર પડશે. ઘણા રાજ્યો પણ એવા છે કે તેમનામાં ભાવ ઘટાડવાની ક્ષમતા જ નથી કેમ કે તેમના બજેટની મોટાભાગની રકમ અહીંથી આવે છે.’ એક અંદાજ મુજબ જો પ્રતિ લિટર ટેક્સમાં 1 રુપિયો પણ ઓછો કરવામાં આવે તો આવકમાં વાર્ષિક રુ.30000 કરોડનું નુકસાન જઈ શકે છે. એટલું જ નહીં બિહાર, કેરળ અને પંજાબ જેવા રાજ્યો પણ સેલ્સ ટેક્સ ઘટાડવાની સ્થિતિમાં નથી. પરંતુ સરકાર એ આશા સેવી રહી છે કે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ઘટશે અને તેના કારણે લોકો પર પડતો બોજો ઓછો થશે.

બીજી બાજુ ડૉલર સામે રુપિયો સતત ગગડતા ક્રુડના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. સરકારના આ ઉચ્ચ અધિકારીનું ટેક્સ ન ઘટાડવા અંગેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષોએ પેટ્રોલ ડીઝલના ભાવના નામે એક દિવસનું ભારત બંધ અને દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. દેશના તમામ મેટ્રો શહેરો અને રાજ્યો કરતા દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘણી ઓછી છે કેમ કે અહીં વેટ ઓછો છે. ત્યારે દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમતો અત્યાર સુધીના સૌથી ઉપલા સ્તરે રુ. 80.73એ પહોંચી હતી. જ્યારે ડીઝલ રુ. 72.83 પર પહોંચ્યું હતું.

અધિકારીઓએ કહ્યું કે, ‘ગ્રાહકોએ પોતાના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઈંધણની પુરેપુરી કિંમત ચૂકવવી પડશે.’ જોકે રાજસ્થાન સરકારે રવિવારે જ પેટ્રોલ-ડીઝલ પર વેટમાં 4%ના ઘટાડાની ઘોષણા કરી છે. આંધ્ર પ્રદેશ સરકારે સોમવારે કહ્યું કે, ‘તેઓ સેલ્સ ટેક્સમાં કાપ મુકી રહ્યા છે જેનાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 રુપિયા જેટલો ઘટાડો થશે.’

અધિકારીએ કહ્યું કે, ‘જો હાલના તબક્કે પેટ્રોલ-ડીઝલના ટેક્સમાં ઘટાડો કરવામાં આવે તો સરકારી તિજોરીનું નુકસાન વધશે. જેના કારણે રુપિયો હજુ પણ વધુ નબળો પડી શકે છે. જો ટેક્સ ઘટાડવામાં આવે તો અનેક વિકાસ કામોમાં ઘટાડો કરવો પડી શકે છે. સરકાર પણ રાહત દેવા ઇચ્છે છે પણ તેવું ત્યારે જ બની શકે જ્યારે દેશની તિજોરી અને નાણાંકિય સ્થિતિ મજબૂત હોય.’

વધુમાં તેમણે કહ્યું કે, ‘અમે ટેક્સ ત્યારે જ ઘટાડી શકીએ જ્યારે ઇન્કમ ટેક્સ અને GST દ્વારા થતી આવક તેટલા પ્રમાણમાં વધે. ત્યાં સુધી સરકરની તિજોરીમાં આવક માટે મુખ્ય આધાર પેટ્રોલ-ડીઝલ જ રહેશે અને ત્યાં સુધી ગ્રાહકોને તેનો ખર્ચ ભોગવવો પડશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મધ્યથી દરરોજ રુપિયો નબળો પડી રહ્યો છે અને ક્રુડ ઓઇલના ભાવ વધી રહ્યા છે.’


No comments:

Pages