ગુણોનો ભંડાર છે વરિયાળી

ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેને વરિયાળી વિશે જાણ ના હોય. વરિયાળીને મસાલાઓની રાણી કહેવામાં આવે છે. સામાન્ય રીતે વરિયાળીના દાણા બે પ્રકારના હોય છે નાના અને મોટા. બંને જ સુંગધીદાર હોય છે. વરિયાળીનો ઉપયોગ અથાણાં અને શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. આ સિવાય ઔષધિ તરીકે પણ વરિયાળીનું ખૂબ મહત્વ છે. આયુર્વેદ અનુસાર વરિયાળી ત્રિદોષ નાશક હોવાની સાથે બુદ્ધિવર્ધક અને રૂચિવર્ધક પણ છે. વરિયાળીમાં એવા ઘણા ગુણ છે જે અનેક બીમારીઓનો નાશ કરે છે.
પાચનશક્તિ સારી બનાવે

100 ગ્રામ વરિયાળીને શેકીને ક્રશ કરી લો. ક્રશ કરેલી વરિયાળીમાં દળેલી ખાંડ મિક્સ કરી લો. જમ્યા બાદ દરરોજ સવાર-સાંજ 2 ચમચી પાણી સાથે આ મિશ્રણનું સેવન કરવાથી પાચનશક્તિ સારી રહે છે. ઈચ્છો તો એક કપ પાણીમાં અડધી ચમચી વરિયાળીનો પાવડર અને 5 મોટી ઈલાયચી નાખીને ઉકાળી લો. પાણી અડધું થઈ જાય એટલે ગાળી લો અને તેમાં દૂધ ઉમેરીને ગરમ કરો. આ દૂધનું સેવન બાળકોથી લઈ વડીલો સુધી બધા જ કરી શકે છે. આ ઉપાયથી પાચનશક્તિ સારી રહે છે અને પેટને પણ ફાયદો થાય છે.
લૂઝ મોશનની તકલીફ દૂર થશે

પેટ ભારે લાગતું હોય તો લીંબુના રસમાં પલાળેલી વરિયાળી જમ્યા બાદ ખાવાથી તકલીફ દૂર થશે. આ સિવાય ઘીમાં વરિયાળીને શેકી લો અને તેમાં થોડી ખાંડ ઉમેરો. આ ચૂરણને સવાર-સાંજ ખાવાથી લૂઝ મોશન મટી જાય છે. લોઢી (તવા) પર શેકેલી વરિયાળી 2-2 ચમચી વરિયાળી દિવસમાં 1-4 વાર ખાઓ. આનાથી પેટ સંબંધિત તકલીફો દૂર થશે.
બાળકનું સ્વાસ્થ્ય જળવાશે

બાળકોને વરિયાળીનું ઉકાળેલું પાણી પીવડાવવાથી પાતળો ઝાડો થવાનું બંધ થશે. નાના બાળકોને વરિયાળી, વરિયાળીનો અર્ક અને વરિયાળીનું ઉકાળેલું પાણી આપવાથી નુકસાન થતું નથી. બાળકનું સ્વાસ્થ્ય સારું થાય છે. (આ પ્રયોગ કરતાં પહેલા બાળકોના ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી)
ગર્ભધારણમાં નહીં આવે સમસ્યા

જે મહિલાઓને ગર્ભધારણમાં સમસ્યા થતી હોય તેઓએ વરિયાળીનું 5-6 ગ્રામ ચૂરણ હીંગ સાથે ખાવું જોઈએ. આમ કરવાથી જ 3-4 મહિનામાં મહિલા ગર્ભધારણ કરવાની યોગ્ય સ્થિતિ મેળવી શકશે. આવા જ વરિયાળાના ચૂરણને ઘી સાથે પણ ખાઈ શકાય છે. આ સિવાય વરિયાળીના ચૂરણને ગુલકંદ સાથે ખાવાથી મિસકેરેજની ફરિયાદ દૂર થાય છે. બ્રેસ્ટ ફિડિંગ વખતે જે મહિલાઓને દૂધ ઓછું આવવાની સમસ્યા હોય તેમણે વરિયાળી, સફેદ જીરું, ખાંડને સપ્રમાણમાં લઈ ચૂરણ બનાવી લો. એક-એક ચમચી પાણી કે દૂધ સાથે લેવાથી લાભ થશે.
અનિંદ્રાની સમસ્યા દૂર થશે

ઊંઘ ન આવવાના ઘણાં કારણો હોય છે. આ સ્થિતિમાં વરિયાળીના ઉકાળામાં દૂધ કે મધ ઉમેરીને પીવાથી ઊંઘ આવે છે. રાત્રે જમ્યા પછી અને ઊંઘતા પહેલાં વરિયાળીની ચા પીવાથી ખાવાનું પચી જાય છે અને ઊંઘ સારી આવે છે.
મોઢાના ચાંદા અને વાસ દૂર થશે

મોંમાં પડેલા ચાંદાથી પરેશાન હોવ તો પાણીમાં વરિયાળી ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેમાં ફટકડીનો નાનકડો ટુકડો ઉમેરો. આ પાણીથી દિવસમાં 2-3 વાર કોગળા કરવાથી ચાંદા દૂર થશે. આ સિવાય શ્વાસની દુર્ગંધથી પરેશાન હોવ તો જમ્યા બાદ થોડી વરિયાળી ખાઓ.
આંખોનું તેજ વધશે

આંખે ચશ્મા આવી ગયા હોય તો 20 ગ્રામ વરિયાળીને ઝીણી ક્રશ કરીને તેમાં તેટલા જ પ્રમાણમાં ખાંડ ઉમેરીને રાત્રે ગાયના દૂધ સાથે લેવાથી આંખોનું તેજ વધે છે.
શરદી-ખાંસી મટાડે

શરદી-ઉધરસ, ગળાની કર્કશતા દૂર કરવા માટે એક ચમચી વરિયાળી ખાઈને ધીમે-ધીમે ચૂસવાથી ગળાને આરામ મળશે. વરિયાળાના અર્કમાંથી બનાવેલું શરબત પીવાથી એસિડીટી મટે છે અને મરેલી ભૂખ જાગે છે.
No comments:
New comments are not allowed.