Latest

Tuesday, September 11, 2018

આસારામે રાજસ્થાન ગવર્નર સમક્ષ કરી દયા અરજી

સગીરા પર દુષ્કર્મના આરોપમાં થઈ છે આજીવન કેદ


જોધપુર: સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામએ પોતાની સજા માફ કરવા રાજસ્થાનના ગવર્નર સમક્ષ દયા અરજી કરી છે. આસારામને 25 એપ્રિલે જોધપુરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આસારામને વર્ષ 2013માં પોતાના આશ્રમમાં એક સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં દોષી ઠેરવ્યો હતો.

હાઈકોર્ટમાં સજાને પડકારી છે


આ આદેશને પડકારતા આસારામે 2 જુલાઈએ રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ, તેની અપીલ સુનાવણીને બોર્ડ પર લેવા મામલે પણ હજુ ફેંસલો થયો નથી.જુલાઈમાં આસારામના વકીલ નિશાંત બોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે આસારામને કરાયેલી સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી છે. હાઈકોર્ટે આ સંબંધમાં ટ્રાયલ કોર્ટના રેકોર્ડ માંગ્યા છે. હાલ આસારામની દયા અરજી મળ્યા બાદ ગવર્નરે અરજીને વિસ્તૃત રિપોર્ટ માટે ગૃહ વિભાગને મોકલી દીધી છે.

આસારામે દયા અરજીમાં ઉંમરનું કારણ આગળ ધર્યું


સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, આસારામે ગવર્નરને મોકલેલી પોતાની દયા અરજીમાં આજીવન કેદની સજાને માફ કરવાની માંગ કરી છે. આસારામે પોતાની અરજીમાં આ સજાને ઉંમરની દ્રષ્ટિએ ઘણી કઠોર જણાવી છે. વિભાગે આ અપીલને સેન્ટ્રલ જેલ, જોધપુર વહીવટી તંત્રને મોકલી આપી છે. તે પછી વિભાગે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે.

જેલ અધિક્ષકે શું કહ્યું?


પીટીઆઈ સાથે વાતચીત કરતા જોધપુર સેન્ટ્રલ જેલના અધિક્ષક કૈલાસ ત્રિવેદીએ જણાવ્યું કે, ‘અમને આસારામની દયા અરજી મળી છે. અમે આ દયા અરજી પર જિલ્લા વહીવટી તંત્ર અ્ને પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ, જેલ તંત્ર તેને રાજસ્થાનના જેલ મહાનિદેશકને મોકલી દેશે.’

15મી ઓગસ્ટ, 2013એ સગીરા પર કર્યું હતું દુષ્કર્મ


ઉલ્લેખનીય છે કે, 16 વર્ષની એક સગીરાએ આસારામ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે, આસારામે જોધપુરના મનાઈમાં આવેલા પોતાના આશ્રમમાં બોલાવી તેના પર દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના 15 ઓગસ્ટ 2013ની રાત્રે બની હતી. પીડિતા ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની રહેવાસી હતી. તે મધ્ય પ્રદેશના છિંદવાડામાં આસારામના આશ્રમમાં રહીને અભ્યાસ કરતી હતી.

  

No comments:

Pages