Latest

Saturday, September 15, 2018

અમે ઈંગ્લેન્ડથી નહીં, પણ કરણના કારણે હાર્યાઃ શાસ્ત્રી

નથી વળી પરાજયની કળ


ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને મળેલા કારમા પરાજયની કળ હજી કોચ રવિ શાસ્ત્રીને વળી નથી. તેઓ ભૂલનો સ્વિકાર કરવાના બદલે બીજા પર જ દોષારોપણ કરતાં રહ્યાં છે. હવે શાસ્ત્રીએ કહ્યું છે કે, ભારત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં ઓલરાઉન્ડર સૈમ કરણના કારણે હાર્યું છે.

આ ખેલાડીને ગણાવ્યો જવાબદાર


રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘ટેસ્ટ શ્રેણીમાં ભારત ઈંગ્લેન્ડના સામુહિક પ્રયાસના કારણે નથી હાર્યું પરંતુ ઓલરાઉન્ડર સેમ કરણની શાનદાર રમતના કારણે ટીમ ઈન્ડિયા સંકટમાં મૂકાતી રહી છે. નોંધનીય છે કે ભારતને ઈંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં 4-1થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

આપ્યું આવું કારણ


રવિ શાસ્ત્રીએ ભારતના પરાજયનું કારણ આપતા કહ્યું હતું કે, ‘હું એમ નથી કહેવા માંગતો કે અમે તદ્દન નિષ્ફળ રહ્યાં પરંતુ અમે પ્રયાસ કર્યો. જ્યાં જરૂરી હોય તેને શ્રેય આપવો જોઈએ. વિરાટ અને મને મેન ઓફ ધ સીરીઝ (ઈંગ્લેન્ડ માટે) પસંદ કરવાનું કહેવામાં આવ્યું અને અમે બંનેએ સૈમ કરનને પસંદ કર્યો. કરને અમને ખરેખર ખુબ જ નુકસાન પહોંચાડ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ કરતા કરણે જ અમને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે.

ધોવાઈ રહ્યાં છે માછલા


ટીમ ઈન્ડિયાના ચીફ કોચે ફરી એકવાર દુનિયાની નંબર વન ટીમ હોવાનું ગાણું ગાતા એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘અમે આજે પણ દુનિયાની પહેલા નંબરની ટીમ છીએ અને ઈંગ્લેન્ડ પણ એ જાણે છે કે અમે કેટલું શ્રેષ્ઠ કર્યું. અમારા ચાહકોને પણ ખબર જ છે અને અમને પણ અંદરથી ખબર છે.’ ઈંગ્લેન્ડ સામે ભારતના કારમા પરાજયને લઈને કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલી પર ચારેકોરથી માછલા ધોવાઈ રહ્યાં છે. શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસથી ટીમ અને પોતાનો બચાવ કર્યો રહ્યો છે.

ઓપનિંગ જોડી અંગે કહ્યું આવું


શ્રેણી દરમિયાન ઓપનિંગ જોડી નિષ્ફળ જવા અંગે શાસ્ત્રીએ કહ્યું કે, ‘અમારી ટીમ પાસે ઓપનિંગ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પો હતા અને અમે તેને અજમાવ્યા. શાસ્ત્રીએ પોતાના બચાવમાં 161 ટેસ્ટ મેચ રમીને નિવૃત્ત થયેલા ઈંગ્લેન્ડના ખેલાડી એલિસ્ટર કૂક અંગે કહ્યું હતું કે, કૂકે જ માન્યું કે ઈંગ્લેન્ડમાં આ વખતે જે રીતે ડ્યૂલ બૉલની હરકત કરી રહી હતી તે તેની આખી કારકિર્દીમાં પહેલીવાર થઈ હતી. કુકે એ પણ કહ્યું હતું કે, આ વખતે પીચ પર વધારે ઘાસ હતું, જેના કારણે બોલ સ્વિંગ થઈ રહ્યો હતો. હવે તમે જ જુઓ કે જે વ્યક્તિ ઈંગ્લેન્ડ માટે 161 ટેસ્ટ મેચ રમી ચુક્યો હોય અને તેમાંથી અડધી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડમાં જ રમી હોય, તે પોતે જ બોલની મુવમેન્ટને લઈને હેરાન હોય, તો પછી અમારા ઓપનર્સને તો મુશ્કેલી થાય જ ને. તેમ છતાંયે ખેલાડીઓએ સાચા પ્રયાસ કર્યા.


from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2xgdezm

No comments:

Pages