ક્રેડિટ સુઇસે રિસર્ચ નોટમાં જણાવ્યું હતું કે, “અમે કોર્પોરેટ અર્નિંગની મજબૂતાઈ અંગે હકારાત્મક છીએ, પરંતુ બજારમાં ફંડામેન્ટલ કરતાં વધુ વધારો થયો છે. અમે માનીએ છીએ કે વેચવાલીનું દબાણ આવશે અને રોકાણકારોને શેરબજારમાં નફો બૂક કરવાની સલાહ આપીએ છીએ.”
ચાલુ વર્ષે અત્યાર સુધી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં આશરે 4,000 પોઇન્ટ્સ અથવા 12 ટકાનો વધારો થયો છે. ઇન્ડેક્સ હાલમાં આશરે 38,000ના સ્તરે છે. ઊંચા વ્યાજદર અને ચૂંટણી પહેલાં આર્થિક ફંડામેન્ટલ નબળા પડવાની ચિંતાને કારણે અમે માનીએ છીએ કે નજીકના ગાળામાં ઇક્વિટી માર્કેટ્સનું ડિ-રેટિંગ થઈ શકે છે.
તમામ ઊભરતા બજારમાં ભારત એકમાત્ર એવું શેરબજાર છે કે જેના પ્રાઇસ ટુ અર્નિંગ (પીઇ) રેશિયોમાં વધારો થયો છે. બીજા ઊભરતા દેશોના પીઇ રેશિયોમાં ઘટાડો થયો છે.
અહેવાલમાં આર્થિક ફંડામેન્ટલ નબળા પડી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જીએસટીની આવક ધારણા મુજબ રહી હતી, સરકારના રાજકોષીય ખાધના લક્ષ્યાંક સામે ચિંતા છે, ડોલર સામે રૂપિયો વિક્રમ નીચા સ્તરે છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. આ તમામ આર્થિક પરિબળો બજારને અસર કરી શકે છે.
અહેવાલમાં જણાવાયું હતું કે છેલ્લા બે વર્ષથી શેરબજારના મુખ્ય ખરીદદાર બની રહેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાણાપ્રવાહ નરમ પડી રહ્યો છે, જે ભારતના શેરબજાર અંગે થોડી ચિંતા દર્શાવે છે. ઓગસ્ટમાં ઘરેલુ ફંડ્સ ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા.

No comments:
New comments are not allowed.