Latest

Sunday, September 16, 2018

SIPથી ઓગસ્ટમાં ₹7,600 કરોડનું રોકાણ આવ્યું

નવી દિલ્હી:રિટેલ રોકાણકારો દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)થી રોકાણ કરવાનો વિકલ્પ વધી રહ્યો હોવાથી ઓગસ્ટ મહિનામાં ₹7,600 કરોડનું રોકાણ આવ્યું હતું. એસઆઇપીથી રોકાણ આગલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 47 ટકા વધ્યું હતું.
આ સાથે ચાલુ નાણાવર્ષ દરમિયાન (એપ્રિલ-ઓગસ્ટ) કુલ ₹36,700 કરોડનું રોકાણ આવ્યું હોવાનું એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઇન્ડિયા (એમ્ફી)ના ડેટા સૂચવે છે. નાણાવર્ષ 2017-’18માં એસઆઇપીથી ₹67,000 કરોડનું રોકાણ આવ્યું હતું અને તેના અગાઉના વર્ષમાં સંખ્યા ₹43,900 કરોડની રહી હતી.
મ્યુચ્યુઅલ ફંડોમાં સામાન્ય રોકાણકારોએ એસઆઇપીથી રોકાણ કરવાનો માર્ગ અપનાવ્યો છે. આથી શેરબજારના રોકાણના જોખમને ઘટાડી શકાય. વધુમાં રોકાણખારોએ પરંપરાગત રોકાણ સાધન જેવા કે રિયલ્ટી, ગોલ્ડમાં ઓછો રસ દાખવ્યો છે અને ફાઇનાન્શિયલ એસેટ જેવી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે.
છેલ્લામાં છેલ્લા ડેટા અનુસાર, એસઆઇપીથી ઓગસ્ટ મહિનામાં ₹7,658 કરોડનું રોકાણ કરાયું હતું જે આગલા મહિનાની ₹7,544 કરોડની સામે વધુ રહ્યું હતું. ગયા વર્ષે સમાન ગાળામાં રોકાણ ₹5,206 કરોડનું થયું હતું અને ઓગસ્ટ 2016માં ₹3,496 કરોડ હતું.
ફંડોમાં 2.38 કરોડ એસઆઇપી એકાઉન્ટ નોંધાયા છે. ચાલુ નાણાવર્ષે 10 લાખ નવાં એસઆઇપી ખાતાં ખૂલ્યાં છે અને દર મહિને તેમાં વૃદ્ધિ થઈ રહી છે. હાલ સરેરાશ ₹3,200નું રોકાણ એસઆઇપીથી થઈ રહ્યું છે. બજાજ કેપિટલના સીઇઓ રાહુલ પરીખના જણાવ્યા અનુસાર, હાલ ફંડોના રોકાણ પ્રવાહમાં એસઆઇપી મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. રૂપિયાની નરમાઈ અને ક્રૂડના ઊંચા ભાવ જેવાં કારણોએ શેરબજારમાં સીધા રોકાણ સામેના જોખમને ખાળવા માટે એસઆઇપીનો સુરક્ષિત માર્ગ અપનાવ્યો છે.

No comments:

Pages