Latest

Thursday, November 22, 2018

જસદણમાં 20મીએ પેટાચૂંટણી, મંત્રી કુંવરજી બાવળિયાની આકરી પરીક્ષા

23મીએ આવશે પરિણામ

ગાંધીનગર: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે આજે જાહેરાત કરી હતી કે 20મી ડિસેમ્બરે આ બેઠક પર ચૂંટણી યોજાશે, અને 23મી ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. મહત્વનું છે કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયાએ આ બેઠક પરથી રાજીનામું આપતા તે ખાલી પડી હતી, હવે બાવળિયા ફરી આ જ બેઠક જીતવા માટે લડશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

હાલ કેબિનેટ મંત્રી છે બાવળિયા


કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યા બાદ કોળી સમાજના કદાવર નેતા મનાતા કુંવરજી બાવળિયાએ વિધાનસભા ચૂંટણી પૂરી થયાના થોડા જ સમયમાં ભાજપમાં જોડાણ કર્યું હતું. હાલ તેઓ રુપાણી સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે. નિયમ અનુસાર, મંત્રીપદના શપથ લીધા બાદ કુંવરજી બાવળિયાએ છ મહિનાની અંદર ચૂંટણી જીતવી પડે.

કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત નથી કરી


આ બેઠક પર કુંવરજી બાવળિયા ફરી ચૂંટણી લડી રહ્યા છે. જોકે, કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. બાવળિયા જસદણ બેઠક પરથી પાંચ વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. વળી, જસદણમાં કોળી સમાજનું પ્રભુત્વ પણ છે. જોકે, બાવળિયાએ ચૂંટણી જીતવા માટે કેટલી મહેનત કરવી પડશે તેનો બધો આધાર કોંગ્રેસના ઉમેદવાર પર છે.

સૌરાષ્ટ્રમાં ભાજપને ફટકો પડી ચૂક્યો છે


ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર કબજો જમાવ્યો હતો, અને ભાજપને અહીં છેલ્લા 25 વર્ષમાં ન આવ્યું હોય તેવું પરિણામ જોવું પડ્યું હતું. આ વખતે પણ ખેડૂતોમાં સરકાર સામે ભારે નારાજગી પ્રવર્તી રહી છે, અને બાવળિયાનો ઘણીવાર જસદણમાં વિરોધ પણ થઈ ચૂક્યો છે, ત્યારે પાંચવાર જસદણની બેઠક જીતી ચૂકેલા બાવળિયા માટે આ વખતનો જંગ પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાનો છે.


No comments:

Pages