Latest

Sunday, November 25, 2018

‘મન કી બાત’નો 50મો એપિસોડ: PMએ કહ્યું, “અવાજ મારો પરંતુ વાત દેશના લોકોની છે”

મન કી બાતનો 50મો એપિસોડ


નવી દિલ્હી: મન કી બાત કાર્યક્રમના 50 એપિસોડ પૂર્ણ થવા પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ એવો કાર્યક્રમ છે જેમાં અવાજ મારો પરંતુ ભાવનાઓ તમારી હોય છે. 5 ઓક્ટોબર 2014ના રોજ મન કી બાત શરૂ થઈ હતી. આ કાર્યક્રમના 50 એપિસોડ પૂરા થયા છે. આ ગોલ્ડન જુબલી એપિસોડ છે. તમારા પાસેથી જે પણ પત્રો આવે છે તેમાં ઘણા લોકોએ સવાલ કર્યો છે કે આજના યુગમાં રેડિયો ભૂલાઈ ગયો છે ત્યારે મોદીજીએ આ કાર્યક્રમ માટે રેડિયો કેમ પસંદ કર્યો?”
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

આ કારણે રેડિયોનું માધ્યમ પસંદ કર્યું


પીએમે એક જૂના પ્રસંગને યાદ કરતા કહ્યું કે, આ 1998ની વાત છે, હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો સક્રિય કાર્યકર હતો અને હિમાચલમાં કામ કરતો હતો. એ વખતે હું હિમાચલની પહાડીઓમાં ચા પીવા માટે રોકાયો. ચાવાળાએ એક કાચના વાસણમાંથી લાડવો આપીને મોં મીઠું કરાવ્યું. મેં પૂછ્યું કે કોઈ ખુશીની વાત છે? તો ચાવાળાએ કહ્યું કે ભારતે બોમ્બ ફોડી દીધો છે. હકીકતમાં ચાવાળો પરમાણુ પરીક્ષણની વાત કરતો હતો, તેણે આ વિશે રેડિયો પર સાંભળ્યું હતું. રેડિયોની ખબરની અસર તેના માનસપટ પર હતી. કમ્યુનિકેશનની રીચમાં રેડિયો સાથે સરખામણી ન થઈ શકે.”

‘મોદી આવશે અને જશે પણ દેશ અટલ રહેશે’


પ્રધાનમંત્રીએ કહ્યું કે, “50 એપિસોડની સફર આપણે સૌએ સાથે મળીને પૂરી કરી છે. આકાશવાણીએ આના પર સર્વે કર્યો છે. 70 ટકા લોકો નિયમિતરૂપે મન કી બાત સાંભળે છે. મને ખુશી છે કે મન કી બાતના કારણે રેડિયો પણ પ્રચલિત થયો છે. લોકો ટીવી અને ઈન્ટરનેટ દ્વારા પણ મન કી બાત સાથે જોડાઈ રહ્યા છે. જ્યારે મન કી બાત શરૂ કરી હતી, ત્યારે નક્કી કર્યું હતું કે, આ કાર્યક્રમમાં રાજનીતિ કે સરકારની વાહવાહી નહીં હોય ક્યાંય મોદી નહીં હોય. કેટલાક યુવાનોએ આ કાર્યક્રમનું વિશ્લેષણ કર્યું છે જેમાં સામે આવ્યું કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે રાજકારણથી મુક્ત છે. મોદી આવશે અને ચાલ્યા જશે પરંતુ આ દેશ અટલ રહેશે.”

આકાશવાણીની ટીમને અભિનંદન


PMએ કહ્યું કે, “આકાશવાણીની ટીમ દરેક એપિસોડને ઘણી ભાષાઓમાં પ્રસારિત કરવા માટે તૈયાર કરે છે. કેટલાક લોકો મોદીના જેવો અવાજ કાઢીને તે જ લયમાં મન કી બાત સંભળાવે છે. આ પ્રકારે 30 મિનિટ માટે તેઓ નરેન્દ્ર મોદી બની જાય છે. હું એ લોકોના ટેલેન્ટ અને સ્કીલને બિરદાવું છું.”

બંધારણ દિવસ અંગે કરી વાત


PM મોદીએ આગળ કહ્યું કે, “આવતી કાલે બંધારણ દિવસ છે. એ મહાન વિભૂતીઓને યાદ કરવાનો દિવસ જેમણે બંધારણ બનાવ્યું. 26 નવેમ્બર, 1949માં બંધારણને અપનાવાયું. બંધારણ ડ્રાફ્ટ કરવામાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસ લાગ્યા. 3 વર્ષની અંદર જ મહાન વિભૂતિઓએ આપણને વ્યાપક અને વિસ્તૃત બંધારણ આપ્યું. જે અસાધારણ ગતિએ બંધારણ રચ્યું તે આજે ટાઈમ મેનેજમેન્ટ અને પ્રોડક્ટિવીટીનું ઉદાહરણ છે. આપણે તેમાંથી પ્રેરણા લેવી જોઈએ.”

ગુરુનાનક જંયતિનો ઉલ્લેખ


ગુરુનાનક જયંતી વિશે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “23 નવેમ્બરે આપણી શ્રી ગુરુ નાનક દેવજીની જયંતી મનાવી અને આવતા વર્ષે એટલે કે 2019માં આપણે ગુરુ નાનકનું 550મું પ્રકાશ પર્વ મનાવીશું. ગુરુ નાનક દેવજીએ હંમેશા માનવકલ્યાણ વિશે વિચાર્યું છે. તેમણે સમાજને હંમેશા સત્ય, કર્મ, સેવા, કરુણા અને ભાઈચારાનો માર્ગ બતાવ્યો છે. દેશ આવતા વર્ષે ગુરુ નાનક દેવજીની 550મી જયંતી સમારોહને ભવ્યરૂપે મનાવશે સાથે જ ગુરુ નાનકજી સાથે જોડાયેલા પવિત્ર સ્થળોના માર્ગ પર ટ્રેન દોડાવવામાં આવશે.”


No comments:

Pages