66676106
રણજીત શિંદે/શૈલેષ કદમઇટી ઇન્ટેલિજન્સ ગ્રૂપ
ભારતીય કંપની જગતે સપ્ટેમ્બર 2018ના પૂરા થયેલા ક્વાર્ટરમાં મજબૂત વેચાણવૃદ્ધિ નોંધાવી છે, પરંતુ તેની નફા વૃદ્ધિ નબળી રહી છે. બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીઓ સિવાયની 1,901 કંપનીઓના ચોખ્ખા વેચાણે છેલ્લા નવ ક્વાર્ટરની સૌથી ઊંચી વૃદ્ધિ 22.7 ટકા નોંધાવી છે. તેની પાછળનું મુખ્ય કારણ વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 10.6 ટકાની વૃદ્ધિનો નોંધાયેલો નીચો બેઝ હતો. જો કે કંપનીઓના નફા અને નફાકારકતામાં ઘટાડો જોવા મળ્યો છે, તે તેમના ઊંચા ખર્ચાનું પ્રમાણ દર્શાવે છે.
કંપનીઓએ ચોખ્ખા નફામાં 13.3 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી છે, જેમા અગાઉના વર્ષના સમાન સમયગાળામાં ચાર ટકા ઘટાડો થયો હતો. આ વૃદ્ધિ અગાઉના ક્વાર્ટરની 31.4 ટકાની વૃદ્ધિ કરતાં ઓછી હતી. કંપનીનો કાર્યકારી નફા માર્જિન વાર્ષિક ધોરણે 120 બેસિસ પોઇન્ટ સંકોચાઈ 14.9 ટકા થયો હતો. એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હેડ દીપક જસાણીએ જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓએ કોમોડિટીના ભાવમાં વૃદ્ધિના સથવારે 20 ટકાથી પણ ઊંચી અસરકારક વૃદ્ધિ નોંધાવી છે, પણ તે જ કારણસર તેના માર્જિનમાં ઘટાડો નોંધાયો છે.
ક્વાર્ટર દરમિયાન ભારતીય કંપની જગતે કાચા માલના ઊંચા ખર્ચનો સામનો કરવો પડ્યો હતો. ચોખ્ખા વેચાણના પ્રમાણમાં કાચા માલનો ખર્ચ વધીને 36.1 ટકા થયો હતો, જે છેલ્લા 13 ક્વાર્ટરમાં સૌથી વધારે હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાના લીધે અસ્થિરતા વધારે હતી. આટલું ઓછું હોય તેમ રૂપિયો ડોલર સામે નબળો પડવાના લીધે કાચા માલના ભાવમાં વધારો થયો હતો. તેના લીધે કંપનીઓના માર્જિન પર દબાણ આવ્યું હતું. ઉત્પાદનલક્ષી ક્ષેત્રો જેવા કે ઓટોમોબાઇલ અને સિમેન્ટને સૌથી વધારે અસર થઈ હતી, એમ ટાટા મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર ચંદ્રપ્રકાશ પંડિયારે જણાવ્યું હતું.
No comments:
New comments are not allowed.