નવસારીના કોંગ્રેસ કાર્યકરે કરી હતી અભદ્ર ટિપ્પણી

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ફેસબુક પર અભદ્ર ટિપ્પણીના આરોપમાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકરને ગુરુવારે જામીન મળી ગયા છે. એક દિવસ પહેલા સુરત પોલીસે આ કાર્યકર્તાની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, નવસારીના પાર્થ અનાવાડિયાએ થોડા દિવસ પહેલા નવસારી એક્ટિવ પોલિટિક્સ નામના એફબી પેજ પર પીએમ મોદી વિરુદ્ધની એક પોસ્ટમાં વાંધાજનક ટિપ્પણી કરી હતી. અનાવાડિયાએ જે પેજ પર આ પોસ્ટ કરી, તેમાં તેનો મોબાઈલ નંબર જ યૂઝર આઈડી હતો.
ભાજપના સભ્યએ બનાવ્યું છે આ એફબી પેજ

આ એફબી પેજ નવસારીથી ભાજપ સભ્ય મીરલ પટેલે બનાવ્યું હતું, જેના પર કોંગ્રેસ તેમજ ભાજપના કાર્યકર્તા જોડાયેલા છે. અનાવાડિયાની પોસ્ટ બાદ નવસારી ભાજપ સચિવ રાકેશ પટેલે અનાવાડિયાના નંબર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય પિનલ કોડની કલમ 153 અને 501 અંતર્ગત કેસ નોંધ્યો હતો અને બુધવારે રાત્રે અનાવાડિયાની ધરપકડ કરી હતી.
અમારી ફરિયાદ સામે કોઈ કાર્યવાહી ન થઈ: કોંગ્રેસ

નવસારી કોંગ્રેસ અધ્યક્ષ સિદ્ધાર્થી દેસાઈએ આ અંગે જણાવ્યું કે, ‘અમે ફેસબુક પર આવી ટિપ્પણીઓ તેમજ પોસ્ટસની નિંદા કરીએ છીએ. એ પેજ પર મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંધી અને રાહુલ ગાંધીને લઈને પણ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી ચૂકી છે. ગત મહિને બાપુને લઈને વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી, જે અંગે અમે નવસારી પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. પણ, તેના પર કોઈ કાર્યવાહી ન થઈ.’
હવે, કોઈ આવી પોસ્ટ કરવાની હિંમત નહીં કરે: ભાજપ

પોલીસ ઈન્સ્પેક્ટર એસએમ સાગરે જણાવ્યું કે, ‘નવસારી એક્ટિવ પોલિટિક્સ નામના એફબી પેજથી શહેરમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. કેટલીક અભદ્ર પોસ્ટ હતી. અમે એ પેજને ડિલીટ કરવાને લઈને યોજના બનાવી રહ્યા છીએ.’ તો, ભાજપ સચિવ રાકેશ પટેલ જણાવ્યું કે, ‘હવે, કોઈપણ પીએમ મોદી સામે આ પ્રકારની પોસ્ટ કરવાની હિંમત નહીં કરે. આ ઘટના તેનું જ ઉદાહરણ છે.’
No comments:
New comments are not allowed.