Latest

Wednesday, January 2, 2019

ખોખરા ઓવરબ્રિજ બંધ કરાતા મણિનગરમાં થયો ભયાનક ટ્રાફિકજામ

અમદાવાદ: ખોખરા બ્રિજને પહોળો કરવાનું કામ શરુ થતાં તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવતા મણિનગરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. કોર્પોરેશન દ્વારા 1 જાન્યુઆરીથી જ ખોખરા બ્રિજ બંધ કરી ટ્રાફિકને આસપાસના રસ્તાઓ પર ડાયવર્ટ કરાયો છે. જોકે, તેના કારણે ભારે સમસ્યા સર્જાઈ છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

બ્રિજ બંધ કરાયાના પહેલા જ દિવસે મણિનગરમાં સાંજના સમયે પીક-અવર્સમાં ત્રણ કલાક સુધી ટ્રાફિકજામ થઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તેમાંય મદ્રાસી મંદિર પાસે ચાર એસટી બસ એક સાથે ટ્રાફિકમાં અટવાઈ જતાં છેક હાટકેશ્વર સુધી ટ્રાફિક થઈ ગયો હતો.

આમ તો ખોખરા બ્રિજ પરથી જ એસટી તેમજ એએમટીએસની બસો તેમજ ભારે વાહનો પસાર થતા હોય છે. જોકે, બ્રિજ બંધ થઈ જતાં ભઆરે વાહનો પણ અંદરના રસ્તા પર આવી જતાં સ્થિતિ વધુ વણસી હતી. આ વિસ્તારના જવાહર ચોક ચાર રસ્તા, જયહિંદ ચાર રસ્તા તેમજ રેલવે સ્ટેશન નજીકથી પસાર થતાં નાથાલાલ ઝઘડિયા બ્રિજ પરથી આવતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા.

ખોખરા ઓવરબ્રિજને પહોળો કરીને છ લેનનો બનાવવાનું કામ શરુ કરાયું છે. 50 વર્ષ જૂના આ બ્રિજને તોડીને કોર્પોરેશન તેમજ રેલવે દ્વારા નવો બ્રિજ બનાવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2015માં ખોખરા બ્રિજનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો, જેના કારણે એક વ્યક્તિને ઈજા થઈ હતી.

આખો બ્રિજ નવો બનવાનો હોવાથી તેના પરથી વાહનોની અવર-જવર દોઢથી બે વર્ષ માટે બંધ રહે તેવી શક્યતા છે. તેવામાં મણિનગર તેમજ આસપાસના વિસ્તારોમાં દરેક ચાર રસ્તા પર ટ્રાફિકને મેનેજ કરવા પોલીસ તૈનાત કરવામાં આવે તેવી પણ સ્થાનિકોમાં માગણી ઉઠી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2F4XV31

No comments:

Post a Comment

Pages