Latest

Monday, April 1, 2019

જેટને ₹5,135 કરોડનો ‘ઓક્સિજન’: ભંડોળ માટે રાઇટ્સ ઇશ્યૂ કરશે



68665948

મિહિર મિશ્રા

નવી દિલ્હી:ધિરાણકારો જેટ એરવેઝનો મેનેજમેન્ટ અંકુશ લેવાની તૈયારીમાં છે ત્યારે તેમણે એરલાઇનમાં ₹5,135 કરોડ રોકવાની યોજના તૈયાર કરી છે. રોકાણની રકમ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા એકત્ર કરવામાં આવશે, જેમાં બે સંભવિત રોકાણકારો જાહેર જનતા અને ધિરાણકારો રોકાણ કરે તેવી શક્યતા છે.

જેટ એરવેઝનું સંપૂર્ણ નિયંત્રણ મેળવવા બેન્કોએ નરેશ ગોયલ અને એતિહાદનું શેરહોલ્ડિંગ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. જેનું મેનેજમેન્ટ ધિરાણકારો ટ્રસ્ટની માલિકીના શેર્સના કોલ ઓપ્શન દ્વારા કરશે. ધિરાણકારોએ તૈયાર કરેલી ફન્ડિંગની યોજનાના ભાગરૂપે બે સંભવિત રોકાણકારો એરલાઇનમાં અનુક્રમે ₹1,700 કરોડ અને ₹2,100 કરોડનું રોકાણ કરશે.

રોકાણકારોનાં નામ હજુ જાહેર કરાયાં નથી, પણ એક ઇન્વેસ્ટર નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) હોવાનો અંદાજ છે. જેમાં સરકારનો હિસ્સો 49 ટકા છે. ETને મળેલી બેન્ક રિઝોલ્યુશન પ્લાનની માહિતી અનુસાર ધિરાણકારો એરલાઇનમાં ₹850 કરોડ રોકશે અને બાકીની રકમ પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી આવશે. એરલાઇન પર નોંધપાત્ર અંકુશ મેળવવા તેમજ પ્રમોટર્સ નરેશ ગોયલ અને એતિહાદના પ્રતિકારને ઘટાડવા બેન્કોએ આ બે એન્ટિટીની માલિકી ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે, જેનું મેનેજમેન્ટ બેન્કો દ્વારા કરાશે.

ડ્રાફ્ટ રિઝોલ્યુશન પ્લાનમાં જણાવ્યા અનુસાર “ટ્રસ્ટ શેર દીઠ ₹150ના કોલ ઓપ્શન ઉપરાંત, વાર્ષિક 8 ટકાના કેરીનો ઉપયોગ કરશે. ટ્રસ્ટ શેર્સના વેચાણમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ કરશે અથવા ગોયલ અને એતિહાદનો કોલ ઓપ્શન વાપરશે.” જેટ અત્યાર સુધીની સૌથી મુશ્કેલ નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે અને બંધ થવાની તૈયારીમાં હતી.

જોકે, બેન્કોએ તેને ટેકઓવર કરી હતી અને અત્યારે તે એરલાઇનમાં 50.1 ટકા હિસ્સો ધરાવે છે. બેન્કોએ એરલાઇનની કામગીરીમાં સ્થિરતા લાવવા વધુ ₹1,500 કરોડનું ધિરાણ આપ્યું છે.

રિઝોલ્યુશન પ્લાન પ્રમાણે રાઇટ્સ ઇશ્યૂ પૂરો થયા પછી એરલાઇનમાં બેન્કોનો હિસ્સો 29.9 ટકા થશે. એરલાઇનમાં ₹1,700 કરોડનું રોકાણ કરનારને 19.9 ટકા અને ₹2,100 કરોડ રોકનારને એરલાઇનમાં 24.6 ટકા હિસ્સો મળશે. જેટ એરવેઝમાં જનતાનો હિસ્સો 10.7 ટકા હશે, જેમાં ટ્રસ્ટ (ગોયલ અને એતિહાદની માલિકી)નો હિસ્સો 14.9 ટકા રહેશે.

બેન્કોએ તૈયાર કરેલી નવી યોજના અનુસાર એરલાઇનની જવાબદારીનો આંકડો લગભગ ₹10,645 કરોડ રહેશે. જેમાં રોકડ નુકસાનના ફન્ડિંગ, કેશ બેલેન્સ તેમજ વિદેશી ધિરાણકારો અને અન્ય લેણદારોને ચુકવણીનો સમાવેશ થાય છે.

સ્થાનિક ધિરાણકારો ₹2,600 કરોડની ડેટ માંડવાળ કરશે અને વિદેશી રોકાણકારોએ ₹1,170 કરોડનું નુકસાન વેઠવું પડશે. જેટ એરવેઝ પાસે એક સમયે 103 વિમાન હતાં, જે અત્યારે ઘટીને માત્ર 45 થઈ ગયાં છે. જોકે, એરલાઇને સરકારને એપ્રિલ પૂરો થતા સુધીમાં 75 વિમાન કાર્યરત કરવાની ખાતરી આપી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2CKYcFg

No comments:

Post a Comment

Pages