સૈકત દાસ/શિલ્પી સિંહા
મુંબઈ:રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ડાઉનગ્રેડને કારણે મ્યુચ્યુઅલ ફંડ્સ અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs)માં ફરી ગભરાટની શક્યતા છે. અનિલ અંબાણીની આ કંપનીઓનું ડાઉનગ્રેડ તેમની નબળી થઈ રહેલી નાણાકીય સ્થિતિ સૂચવે છે.
મ્યુચુઅલ ફંડ્સ નવું રોકાણ નહીં કરે તો ઋણખર્ચમાં વૃદ્ધિ અને તરલતા ઓછી થવાનો અંદાજ છે. IL&FSના ડિફોલ્ટની જેમ આ વખતે રિડેમ્પશન વધવાની આશંકાને પગલે વિવિધ ફંડ હાઉસ રોકડનું પ્રમાણ વધારે તેવી શક્યતા છે. મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઇઓ રમેશ ઐયરે જણાવ્યું હતું કે, “ડિફોલ્ટની સ્થિતિમાં ધિરાણના નિયમ કડક બને છે. તેને લીધે ભંડોળની પડતરમાં વધારો થાય છે અને ઋણ મળવું મુશ્કેલ બને છે.”
ટ્રિપલ A રેટિંગ ધરાવતી NBFCs અને ટ્રિપલ A રેટિંગ નહીં ધરાવતી NBFCsના ભંડોળની પડતર વચ્ચે વ્યાજદરનો તફાવત 0.60-1 ટકા જેટલો છે, જે ગયા વર્ષે ઓગસ્ટ પહેલાં 0.2-0.4 ટકા હતો. તફાવત વધુ 0.2-0.3 ટકા વધવાની શક્યતા છે. આદિત્ય બિરલા મ્યુ ફંડના એ બાલાસુબ્રમણિયને જણાવ્યું હતું કે, “વ્યાજદર અને તરલતા પર થોડું દબાણ જણાય છે.
બેન્કિંગ સિસ્ટમમાં પહેલેથી જ તરલતાની ખેંચ છે. ફંડ મેનેજર્સ હવે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતી વખતે વધુ સાવચેતી રાખશે. મ્યુ ફંડ્સે ADAGમાં નવું રોકાણ કર્યું નથી, પણ ગયા વર્ષે ઓગસ્ટ પહેલાં તેમણે નાણાં ઠાલવ્યાં હતાં.” જોકે, ADAGમાં મ્યુ. ફંડ્સનું રોકાણ IL&FS જેટલું મોટું નથી, જે રાહતની વાત છે.
રિલાયન્સ હોમ ફાઇનાન્સ કે કોમર્શિયલ ફાઇનાન્સના ડાઉનગ્રેડથી બજાર પર IL&FS કે ઝી જેવો ગભરાટ જોવા નહીં મળે. કારણ કે ADAGની કંપનીઓમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાને કારણે ફંડ મેનેજર્સે નેગેટિવ સમાચાર ડિસ્કાઉન્ટ કરી લીધા છે.
ADAGની 8 કંપનીમાં મ્યુ ફંડ્સનું રોકાણ ₹5,000 કરોડ હોવાનો અંદાજ છે. જેમાં ફંડ હાઉસિસે રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ અને હોમ ફાઇનાન્સમાં લગભગ ₹2,600 કરોડનું રોકાણ કર્યું છે. બજારના અંદાજ પ્રમાણે રિલાયન્સ મ્યુ ફંડ ADAGની આ બે કંપનીના કુલ બોન્ડ્સનો લગભગ 67 ટકા હિસ્સો ધરાવે છે.
વેલ્યૂ રિસર્ચના સીઇઓ ધીરેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર “ટૂંકા ગાળામાં ઋણખર્ચ વધી શકે. નબળી કંપનીઓની નાબૂદી સ્વાભાવિક પ્રક્રિયા છે. ભારતમાં હવે ડાર્વિનની થીયરી આખરે લાગુ પડી રહી હોવાનું જણાય છે.” ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલે લોનની ચુકવણીમાં વિલંબ કર્યો છે, પણ તે બોન્ડધારકોનાં નાણાં ચૂકવવામાં ડિફોલ્ટ થયા નથી. PNB હાઉસિંગ ફાઇનાન્સના સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, “કોઈ સેક્ટરમાં ડિફોલ્ટની આશંકા હોય તો તેને ધિરાણ માટે કોઈ તૈયાર થતું નથી.”
from Page Array – I Am Gujarat http://bit.ly/2Led59Q
No comments:
Post a Comment