કેમ થાય છે આંજણી?

આંખની પાંપણ વચ્ચે નાની ફોલ્લી જેવું થાય તેને આંજણી કહે છે. આંજણી બેક્ટેરિયાના કારણે થતી બીમારી છે. આંજણી થવાને લીધે આંખો લાલ થવી, ખંજવાળ આવવી કે દુઃખાવો થવા જેવી ફરિયાદ રહે છે. ક્યારેક આંખની પાંપણ પર ઓઈલ ગ્લેન્ડ્સ (તેલ ગ્રંથિ) વધુ પડતી એક્ટિવ થઈ જાય તો આંજણી થઈ શકે છે. આ માટે સ્ટેફિલોકોરસ બેક્ટેરિયા જવાબદાર છે. આ સિવાય પાંપણમાં કચરો, ઓઈલ કે ડેડ સ્કીન જમા થવાથી પણ આ સમસ્યા થાય છે. આંજણી આમ તો આંખને નુકસાન નથી કરતી પરંતુ ખંજવાળ અને સતત દુઃખાવો થયા કરે છે. આંજણીની સમસ્યામાંથી આ ઘરેલુ ઉપચાર કરીને પણ છૂટકારો મેળવી શકો છો.
ગ્રીન ટી બેગ્સ

હૂંફાળી ટી બેગ્સ આંજણીની સારવારમાં અસરકાર છે. હૂંફાળી ટી બેગને આંજણી થઈ હોય ત્યાં મૂકો અને ઠંડી થાય ત્યાં સુધી રહેવા દો. આ ઉપચારથી દુઃખાવામાં રાહત મળશે સાથે જ સોજો ઓછો કરશે.
આખા ધાણા

ધાણાને પાણીમાં નાખીને ઉકાળો. સહેજ ઠંડું પડે એટલે ધાણા કાઢી આ પાણીનો આંજણીવાળી જગ્યાએ છંટકાવ કરો. દિવસમાં 5-6 વાર આ પ્રયોગ કરી શકો છો.
દિવેલ

દિવેલમાં હાઈડ્રેટિંગ તત્વો રહેલા છે જે આંજણી મટાડવામાં મદદ કરી શકે છે. દિવેલના બે-ત્રણ ટીંપા લઈ આંજણી થઈ હોય તે ભાગમાં હળવા હાથે મસાજ કરો. થોડી મિનિટ રહેવા દઈ હૂંફાળા પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે આ ઉપાય અજમાવતા રહો.
મલાઈ

ગરમ કરેલું દૂધ હૂંફાળુ થાય ત્યારે તેમાંથી તાજી મલાઈ લઈ લો અને આંજણી પર લગાવો. સૂકાઈ જાય ત્યારે દૂધ લઈને એ ભાગ સાફ કરો બાદમાં ચોખ્ખા કપડાંથી લૂછી લો.
હળદર

2 કપ પાણીમાં એક ચમચી હળદર નાખીને ઉકાળો. ઠંડું થાય એટલે 3-4 વાર આ પાણીથી આંખ ધોઈ લો.
એલોવેરા જેલ

ફ્રેશ એલોવેરા જેલ આંજણી પર લગાવો અને થોડો સમય માટે રહેવા દો. બાદમાં હૂંફાળા પાણીથી આંખ ધોઈ લો. આ પ્રયોગથી આંખ હાઈડ્રેટ થશે સાથે જ આંજણી મટશે.
જામફળના પાન

જામફળના પાન ધોઈ લો. હૂંફાળા પાણીમાં રૂમાલ પલાળો. હવે આ રૂમાલમાં જામફળના પાન મૂકી શેક કરો. રાહત લાગશે.
આંજણીમાં આ બાબતોનું ધ્યાન રાખવું

ઈન્ફેક્શન હોય તો હાથ ધોઈને જ તે ભાગે અડવું અને બાદમાં પણ હાથ ધોઈ લેવા. આંજણીને ફોડવી કે દબાવવી નહીં. આઈ મેક-અપ ન કરવો. કોન્ટેક્ટ લેન્સ ન પહેરવા. થોડા દિવસોમાં કોઈ ફરક ન પડે તો ડૉક્ટરને બતાવી દેવું.
આંજણી ન થાય માટે આટલું ધ્યાન રાખો

– આંખ અને પાંપણની સ્વચ્છતા જાળવો.
– ઊંઘવા જતાં પહેલા મેકઅપ કાઢી નાખો અને ચહેરો બરાબર ધોઈ લો.
– આઈ મેકઅપ સમયાંતરે બદલતા રહો.
– ગંદા હાથે કોન્ટેક્ટ લેન્સ ન પહેરવા.
– આંજણી થઈ હોય તેનો વાપરેલો રૂમાલ કે અન્ય વસ્તુ ન વાપરો.
– ગંદા હાથે આંખો મસળવી નહિ.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VbUMpp
No comments:
Post a Comment