અમદાવાદ: રાજસ્થાનના ડુંગરપુરના એક ગામમાંથી અપહરણ કરાયેલી બે બાળકીઓ અપહરણકારોના કબજામાંથી નાસી છૂટવામાં સફળ રહી છે. રવિવારે ગાંધીનગરમાં અપહરણકારો ચા પીવા ઉભા રહ્યા હતા, ત્યારે મોકાનો લાભ ઉઠાવી 10 અને 12 વર્ષની ઉંમર ધરાવતી બાળકીઓ ભાગી ગઈ હતી. આ બાળકીઓને અભયમની ટીમે ચિલોડા સર્કલ પાસેથી રવિવારે સાંજે રેસ્ક્યુ કરી હતી.
રાજસ્થાનથી આ બાળકીઓને ઉઠાવવામાં બાળકોને વેચી નાખતી ગેંગનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આ બાળકીઓ ડુંગરપુરના કારોલી ગામની રહેવાસી છે. તેઓ ગામમાંથી પસાર થતા રસ્તા પર જઈ રહી હતી ત્યારે ત્રણ શખ્સો તેમને ઉઠાવી ગયા હતા, અને ગુજરાત લઈ આવ્યા હતા. અભયમ કાઉન્સેલર અંજના ગામિતના જણાવ્યા અનુસાર, બંને બાળકીઓ ખૂબ જ ગભરાયેલી હતી, છતાં તેઓ અપહરણકારોના કબજામાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી.
મહિલા હેલ્પલાઈન અભયમના પાઈલટ વિષ્ણુ દરબારે આ બાળકીઓને ચિલોડા સર્કલ પર જોઈ હતી. બંને બાળકીઓ રડી રહી હતી, અને ટોળાંએ તેમને ઘેરી લીધી હતી. રેસ્ક્યુ કરાયા બાદ બાળકીઓએ પોતાની સાથે જે થયું તે અભયમની ટીમને જણાવ્યું હતું. જેમાં મોટી બાળકીને તેના પિતાનો ફોન નંબર પણ યાદ હતો. બાળકીઓના મા-બાપનો સંપર્ક કરાયો તેના પાંચ કલાકમાં તેઓ આવી પહોંચ્યા હતા, અને રવિવારે રાત્રે 10.30 કલાકે બાળકીઓનું મા-બાપ સાથે મિલન થયું હતું.
from Page Array – I Am Gujarat https://ift.tt/2HQJIb7
No comments:
Post a Comment