ભરત યાજ્ઞિક/પીટર નાઝરેથ, અમદાવાદ: 1984માં ભાજપે પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં બે બેઠકો પર જીત મેળવી, તે વખતે મહેસાણા બેઠક આ બે બેઠકોમાંની એક હતી. 2019ની ચૂંટણીમાં પણ મહેસાણા લોકસભા એવી આખરી બેઠક હશે કે જેને પક્ષ ગુમાવવા માગતો હોય. પીએમ મોદીનું જન્મ સ્થળ વડનગર અને અમિત શાહના જન્મ સ્થળ માણસા બંને મહેસાણા લોકસભા બેઠકમાં આવે છે. 1984માં એકે પટેલે કોંગ્રેસના ઉમેદવારને હરાવી આ બેઠક જીતી હતી, અને છેલ્લી નવ લોકસભા ચૂંટણીઓમાંથી સાત વાર ભાજપે અહીં જીત મેળવી છે.
હાર્દિક પટેલે જુલાઈ-ઓગસ્ટ 2015માં શરુ કરેલું પાટીદાર અનામત આંદોલન પણ મહેસાણાના વિસનગર તાલુકાથી જ શરુ થયું હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અહીં છેલ્લા બે દાયકાનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યું હતું. મહેસાણા બેઠક પર કુલ મતદારોના 25 ટકા એટલે કે 3.98 લાખ મતદારો પાટીદારો છે. મહેસાણા નજીકના પાલડી ગામના ખેડૂત કાળાભાઈ પટેલનું માનીએ તો વિજાપુર અને માણસા વચ્ચેના 24 ગામોમાં પહેલા 600 ફુટે પાણી આવતું હતું, પણ હવે 1200 ફુટ ઉંડા બોર કરવા પડે છે. ખેડૂતોને ખેતી છોડવા ફરજ પડી રહી છે, પણ સામે નોકરીઓ પણ નથી. ખેતપેદાશોના ભાવ સ્થિર નથી, માટે ખેડૂતોમાં સરકાર સામે રોષ પ્રવર્તી રહ્યો છે.
પાટીદારો પછી અહીં મતદારોનો બીજો સૌથી મોટો વર્ગ ઠાકોર સમાજનો છે. 3.31 લાખ ઠાકોર મતદારો કુલ વોટર્સના 20 ટકા થાય છે. પાટીદાર આંદોલન થયું ત્યારે તેની સામે ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરે પાટીદારોને ઓબીસી અનામત આપવાના વિરોધ સાથે એસસી-એસટી ઓબીસી એકતા મંચ શરુ કર્યો. ક્ષત્રિય ઠાકોર સેનાના મહેસાણા એકમના પ્રમુખ રામજી ઠાકોરના જણાવ્યા અનુસાર, 2013માં તેઓ અલ્પેશ સાથે જોડાયા હતા. જોકે, હાલના સમયમાં અલ્પેશે કોંગ્રેસ છોડી દીધી હોવા છતાં તેની અહીં ખાસ અસર નહીં પડે.
2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં મહેસાણાની સાત બેઠકોમાંથી ભાજપને ચાર બેઠકો પર જીત મળી હતી, જ્યારે ત્રણ કોંગ્રેસના ફાળે ગઈ હતી. જોકે, ત્રણ બેઠકો પર જીત મળી હોવા છતાં કોંગ્રેસનો વોટ શેર 47.89 ટકા, અને ભાજપનો વોટ શેર 46.44 ટકા હતો. પાટીદાર આંદોલનના પરિણામે મહેસાણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહેસાણા નગરપાલિકામાં પણ ભાજપે સત્તા ગુમાવી પડી. લોકોનો રોષ લોકસભા ચૂંટણીમાં પણ ન નડે તે માટે ભાજપ દ્વારા આ વખતે એડી-ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે.
આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપે મહેસાણા બેઠક પર શારદા પટેલને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે એ.જે. પટેલને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ IAS અધિકારી એજે પટેલનું માનવું છે કે, મહેસાણામાં ખેડૂતોને લગતા પ્રશ્નો છે. જ્યારે, ભાજપના ઉમેદવારને વિશ્વાસ છે કે ઠાકોરો પણ ભાજપની સાથે છે. આ બેઠક ભાજપનો ગઢ છે, અને આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ફરી પીએમ બનાવવા માટેની ચૂંટણી છે. મહેસાણા વિધાનસભા બેઠક પરથી 2200 મતોથી જીતેલા ડે. સીએમ નીતિન પટેલનું માનીએ તો, દાયકાઓથી મહેસાણા ભાજપની પરંપરાગત બેઠક રહી છે. અહીં એવો કોઈ મોટો મુદ્દો નથી કે જેનાથી લોકો ભાજપથી નારાજ હોય.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Gs8uvb
No comments:
Post a Comment