Latest

Sunday, April 28, 2019

P&G ₹250 કરોડનો નફો ખાઈ ગઈ: DGAP

69023682

મુંબઈ/નવી દિલ્હી: ડાયરેક્ટરેટ જનરલ ઓફ એન્ટિ-પ્રોફિટિયરિંગ (DGAP)એ અગ્રણી FMCG કંપની પ્રોક્ટર & ગેમ્બલ ઇન્ડિયા સામે ₹250 કરોડનો નફો ગ્રાહકોને નહીં આપવાનો આરોપ લગાવ્યો છે.

ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)માં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને નહીં આપીને કંપનીએ આટલી રકમનું પ્રોફિટિયરિંગ કર્યું હોવાનો આરોપ DGAPએ લગાવ્યો છે અને રિપોર્ટ જમા કરાવ્યો છે, જેમાં P&G દ્વારા નેશનલ એન્ટિ-પ્રોફિટિયરિંગ ઓથોરિટીને નફાની રકમ નહીં આપવા સહિતની વિગતો છે. હવે આ ઓથોરિટી કેસની સુનાવણી કરશે અને અંતિમ નિર્ણય લેશે. P&G ટાઇડ ડિટરજન્ટ અને પેન્ટીન શેમ્પૂ માટે જાણીતી છે.

“અમારી તપાસમાં P&G દ્વારા વેચાતી તમામ પ્રકારની પ્રોડક્ટ્સને આ‌વરી લેવાઈ હતી અને અમે ₹250 કરોડનું એન્ટિ-પ્રોફિટિયરિંગ થયું હોવાનું શોધી કાઢ્યું છે.” એમ DGAPના અધિકારીએ જણાવ્યું હતું.

નિયમ પ્રમાણે, તપાસ પૂરી કર્યા બાદ DGAPએ ત્રણ મહિનાની અંદર અથવા કુલ છ મહિનાના લંબાવેલા સમયગાળાની અંદર નેશનલ એન્ટિ-પ્રોફિટિયરિંગ ઓથોરિટી સમક્ષ રિપોર્ટ જમા કરાવવો જરૂરી છે. ત્યાર બાદ ઓથોરિટી દ્વારા પ્રોફિટિયરિંગ કરનારી વ્યક્તિ કે કંપની સામે યોગ્ય આદેશ આપવામાં આવશે. તે ભાવમાં ઘટાડો કરવાનો આદેશ આપી શકે છે અને કંપનીને જે લાભ થયો તે ગ્રાહકોને રિફન્ડ કરવાનો પણ આદેશ આપી શકે છે. જો ઓથોરિટીને રિપોર્ટ યોગ્ય લાગશે તો તે P&Gને દંડ પણ ફટકારી શકે છે.

વિશ્વની સૌથી મોટી કન્ઝ્યુમર ફૂડ્સ કંપનીની ભારતીય પેટાકંપની P&G ઇન્ડિયા ભારતનાં લોન્ડ્રી માર્કેટમાં પાંચમા ભાગનો જ્યારે શેમ્પૂ માર્કેટમાં 25 ટકા અને સેનિટરી નેપ્કિન, ડાયપર્સ તથા શેવિંગ રેઝર્સ માર્કેટમાં 50 ટકાથી પણ વધારે બજારહિસ્સો ધરાવે છે. P&Gના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની હંમેશા GSTમાં રેટ કાપનો ફાયદો ગ્રાહકોને આપવા માટે પ્રતિબદ્ધ રહી છે.

“અમે ગ્રાહકોને નેટ બેનિફિટ આપ્યો છે અને માસ મીડિયામાં જાહેરાતો દ્વારા તેમના સુધી આ લાભની માહિતી પણ પહોંચાડી છે અને ગ્રાહકો, દુકાનદારો તથા રિટેલર્સમાં જાગરૂકતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં અમે ઓથોરિટીને પૂરતો સહકાપ આપવાનું જાળવી રાખીશું અને સ્પષ્ટતા આપતાં રહીશું. અમે આશા રાખીએ કે, GST બેનિફિટ ગ્રાહકોને આપવાની પ્રક્રિયાને લાગતું-વળગતું સત્તાતંત્ર વખાણશે અને તેના આધારે યોગ્ય નિર્ણય લેશે.”

નેસ્લે ઇન્ડિયાએ ₹100 કરોડનું પ્રોફિટિયરિંગ કર્યું હોવાનું પણ DGAPએ ગયા વર્ષે શોધી કાઢ્યું હતું. નેશનલ એન્ટિ-પ્રોફિટિયરિંગ ઓથોરિટીએ જાન્યુઆરીમાં હિન્દુસ્તાન યુનિલિવર લિ (HUL)ને પણ ₹462 કરોડના પ્રોફિટિયરિંગ માટે આરોપી ઠરાવી હતી, જેની સામે કંપની દિલ્હી હાઈ કોર્ટમાં ગઈ હતી અને કોર્ટે સ્ટે મૂક્યો હતો. આ સિવાય જુબિલન્ટ ફૂડવર્ક્સ પર ₹41 કરોડનો જ્યારે પતંજલિ પર ₹150 કરોડનો લાભ ગ્રાહકોને નહીં આપવાના આરોપ પણ ઓથોરિટીએ કર્યા હતા.

જુલાઈ 2017માં GST લાગુ થયો ત્યારથી HUL અને P&G સહિતની મોટા ભાગની કંપનીઓએ જણાવ્યું છે કે, તેમણે ભાવમાં ઘટાડો કરીને અથવા તો તેમની પ્રોડક્ટ્સનું વજન વધારીને નીચા ટેક્સ રેટનો લાભ ગ્રાહકોને આપ્યો છે પરંતુ ઓથોરિટીને આ વાત ગળે ઊતરતી નથી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2LibMXE

No comments:

Post a Comment

Pages