Latest

Thursday, May 23, 2019

2025થી દેશમાં નહીં વેચાય પેટ્રોલ ટુ-વ્હીલર, માત્ર ઈલેક્ટ્રીક વાહનો જ વેચાશે!

એપ્રિલ 2025થી રસ્તા પર દોડશે ઈલેક્ટ્રીક વાહનો

દિપક દાસ અને સિદ્ધાર્થ, નવી દિલ્હી: ઈલેક્ટ્રીક વાહનોને ઝડપથી રસ્તા પર દોડતાં કરવા માટે સરકાર એપ્રિલ 2023થી થ્રી-વ્હીલર ઈલેક્ટ્રીક વાહનોને ફરજિયાત બનાવી શકે છે. જ્યારે 150ccની એન્જિન કેપેસિટી ધરાવતા વાહનોને પણ એપ્રિલ 2025 સુધીમાં ઈલેક્ટ્રીસિટીથી ચલાવવામાં આવે તો નવાઈ નહીં. સરકારની ઉચ્ચ પેનલનો ઉદ્દેશ આ બે સેગમેન્ટના વાહનોથી ફેલાતા પ્રદૂષણને ઘટાડવાનો છે. આ બંને સેગમેન્ટના વાર્ષિક 2 કરોડથી પણ વધુ વાહનો વેચાય છે. જો કે, આ પગલાની અગાઉ કટ-ઓફ તારીખ સુધીમાં રજિસ્ટર થયેલા વાહનો પર અસર નહીં થાય.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ કારણે 5-6 વર્ષ પછી આવશે ઈલેક્ટ્રીક વાહનો

સૂત્રોએ અમારા સહયોગી TOIને જણાવ્યા મુજબ, ઈલેક્ટ્રીક વાહનો શરૂ કરવામાં 5-6 વર્ષનો સમયગાળો રાખ્યો છે કારણકે હાલ ઓટો ઈન્ડસ્ટ્રીએ આવતા વર્ષે એપ્રિલ સુધીમાં BS-VI વાહનોના ઉત્પાદન પાછળ ખૂબ રૂપિયા રોક્યા છે ત્યારે રૂપિયા પરત મેળવવા માટે પૂરતો સમય મળી રહે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. નીતિ આયોગના CEO અમિતાભ કાંતના વડપણવાળી આંતર-મંત્રીમંડળની સમિતિ આ જ મુદતનો પ્રસ્તાવ ડિલિવરી વાહનો, સ્કૂલ અને સિટી બસ માટે મૂકી શકે છે. જો કે, આ પ્રસ્તાવ સબ્સિડી અને ડોલ (આર્થિક મદદ) મેળવવા માટે પ્રયાસ કરતી ઓટો ઈન્ડસ્ટ્રીને પસંદ નહીં આવે.

પેટ્રોલ-ડીઝલના નિયમો કડક થશે

કમિટીએ ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર વાહનોને રૂ. 20,000 પ્રતિ કિલો વૉટ કલાકની સીધી સબ્સિડી આપવા માટે જોર લગાવ્યું છે જેથી આ વાહનોને બળતણથી ચાલતાં વાહનો જેટલા જ સસ્તાં બનાવી શકાય. આ ઉપરાંત સરકાર નવા પેટ્રોલ અને ડીઝલ વાહનો માટે ઈંધણના કડક નિયમો તૈયાર કરવા પર વિચારણા કરી રહી છે સાથે જ ઈલેક્ટ્રિક વાહનોને આર્થિક તેમજ બીજી રાહત આપવાનો પણ વિચાર છે. પાવર મંત્રાલયને કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ મિકેનિઝમના કાર્યની રૂપરેખા નક્કી કરવાનું કામ સોંપાયું છે, જે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી (CAFE)ના ધોરણો સાથે મેળ ખાય. આ ધોરણોનું પાલન કરવા માટે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સને વધારે ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન કરવું પડશે. આ જ પ્રકારે ટ્રાન્સપોર્ટ મંત્રાલય 2030 સુધીમાં દરેક સેગમેન્ટમાં ઈલેક્ટ્રીક વાહનો દોડતાં થાય તે માટે રોડમેપ તૈયાર કરી રહી છે.

ભારત ગ્લોબલ હબ બની શકે

સપ્ટેમ્બર 2017માં ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ સૂચવ્યું હતું કે, સરકાર ઓટો સેક્ટરને વૈકલ્પિક ઈંધણ તરફ ખસેડવા માટે દબાણ કરશે ત્યારે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચ્યો હતો. ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. અધિકારીઓનું કહેવું છે કે, ઈલેક્ટ્રીક વાહનો શરૂ કરવાથી ભારતીય ઓટો સેક્ટરને ગ્લોબલ હબ તરીકે ઊભા થવાની તક મળશે. એક અધિકારીએ કહ્યું, “આપણી કંપનીઓ નેતૃત્વ કરી શકે છે કારણકે વિશ્વના 4 સૌથી મોટા ટુ-વ્હીલર ઉત્પાદકોમાંથી 3 ભારતના છે.”

સરકાર સબ્સિડી આપશે?

આ તરફ સરકાર વાહન ઉત્પાદકોને કોઈ રાહત આપવાના મૂડમાં નથી. તેના બદલે આ હિસ્સો બેટરી ઉત્પાદકો માટે આરક્ષિત રાખવામાં આવશે, જ્યાં ભારતીય ઉત્પાદકોનો અંદાજિત હિસ્સો 5% કે તેની આસપાસ છે. FAME યોજનામાં મળતા લાભ અંતર્ગત બેટરી ઉત્પાદકો વેલ્યુ ક્રિએશનના 81% મેળવી શકે છે. સૂત્રોના મતે, ટુ અને થ્રી-વ્હીલર ઈલેક્ટ્રીક વાહનોને ધક્કો લાગતાં 2025 સુધીમાં બેટરી ઉત્પાદન અને સ્ટોરેજ ક્ષેત્રે 50,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે.



from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat http://bit.ly/2wdT7l9

No comments:

Post a Comment

Pages