Latest

Thursday, May 9, 2019

ઉનાળામાં નવજાત બાળકને પાણી પીવડાવવું જોઈએ? આટલું જાણી લો

નવજાત બાળકને પાણીઃ

આમ તો એક નવજાત બાળકની માતા, ખાસ કરીને પહેલી વાર માતા બનેલી સ્ત્રી અનેક મૂંઝવણોથી ઘેરાયેલી હોય છે. તેમાંથી એક મોટી મૂંઝવણ છે- બાળકને પાણી ક્યારે આપવું? એમાંય ઉનાળામાં બળબળતો તાપ પડતો હોય ત્યારે નાના બાળકને શોષ પડતો હશે એમ ધારી પાણી આપવાનું મન થાય તે સ્વાભાવિક છે. તો જાણી લો નવજાત બાળકને ક્યારથી પાણી આપવું જોઈએ, કેવી રીતે પાણી આપવું જોઈએ? અને કેવું પાણી આપવું જોઈએ?

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

0-6 મહિનાઃ

0થી 6 મહિનાના બાળકને ડોક્ટરો પાણી આપવાની ના પાડે છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે આ ગાળામાં બાળક મુખ્યત્વે સ્તનપાન કરતું હોય છે અથવા તો ફોર્મ્યુલા મિલ્ક પર રહેતું હોય છે. તેમાં લગભગ 70 ટકા ભાગ પાણીનો હોય છે. આથી બાળકને ઉપરના પાણીની જરૂર નથી પડતી.

બાળકને ખવડાવીએ પછી પણ રડે તો?

ઘણીવાર નવજાત બાળકને ધવડાવ્યા બાદ પણ તે થોડી વારમાં રડવા માંડે છે. ત્યારે મા-બાપને લાગે છે કે તેણે હમણાં જ ખાધુ હશે તો તેને તરસ લાગી હશે એટલે રડતુ હશે. ઉનાળાની સીઝનમાં બાળકના શરીરમાં પરસેવો થાય કે પેશાબ વાટે તેણે લીધેલો લિક્વિડ ખોરાક નીકળી જાય છે. વળી એવું પણ બને કે તેનું શરીર હવે જલ્દી ખોરાક પચાવી નાંખે છે જેથી તેને જલ્દી બીજા ફીડીંગની જરૂર પડે છે. પાણીથી બાળકને કોઈ પોષકતત્વો મળતા નથી અને તેનું પેટ ભરાઈ જાય છે. આથી છ મહિનાથી નાનુ બાળક રડતુ હોય તો તેને ફરી ફીડીંગ કરાવવાનો ટ્રાય કરવો જોઈએ, પાણી ન આપવું જોઈએ.

6થી 12 મહિનાઃ

6થી 12 મહિનાનું બાળક સોલિડ ફૂડ શરૂ કરી દે છે એટલે તેને થોડુ થોડુ પાણી આપવાનું શરૂ કરવું જોઈએ. તેની કોઈ પ્રમાણિત માત્રા નથી પરંતુ બાળકની માંગ અને જરૂર અનુસાર પાણી આપવું જોઈએ જેથી તેના સોલિડ ફૂડને પચવામાં મદદ મળે. ઘણા વાલીઓ એમ પણ લાગે છે કે તેમના બાળકને કબજિયાત હોય તો વધારે પાણી આપવું જોઈએ. કબજિયાતનો અર્થ એ થાય કે બાળકના શરીરમાં સોલિડ અને લિક્વિડનું પ્રમાણ જળવાયુ નથી અથવા તો બાળક એવો ખોરાક લઈ રહ્યું છે જે તેને પચવામાં તકલીફ પડી રહી છે. આવા સમયે બાળકને પાણી ઉપરાંત બીજા ઘરેલુ ઉપચારથી કબજિયાત દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાથે થોડા વધુ ઘૂંટ પાણી આપવું જોઈએ.

કેવું પાણી આપવું જોઈએ?

આપણે માટલાનું, ROનું, ફ્રીઝનું એમ અનેક પ્રકારનું પાણી પીએ છીએ તો બાળકને કેવું પાણી આપવું જોઈએ એ સવાલ દરેક વાલીને થાય. બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે. આથી ગમે તેટલું સ્વચ્છ પાણી કેમ ન હોય, બાળકને હંમેશા ઉકાળીને ઠારેલુ પાણી જ આપવું જોઈએ. આમ કરવાથી પાણીમાં ઉપસ્થિત બધા જ બેક્ટેરિયા મરી જાય છે અને બાળકને ઈન્ફેક્શનનો ખતરો નથી રહેતો. વળી બાળકને રૂમ ટેમ્પરેચરનું પાણી પીવાની જ ટેવ પાડવી જોઈએ. બાળકોને બહારથી આવીને ઠંડુ પાણી ગટગટાવાની ટેવ હોય છે. જેને કારણે બાળકનું ગળુ બેસી શકે છે કે તાવ આવી શકે છે. આથી જો તેને ઉકાળેલુ પાણી રૂમ ટેમ્પરેચર જેટલું ઠારીને આપશો તો શ્રેષ્ઠ રહેશે. બહુ ગરમ કે બહુ ઠંડુ પાણી પીવાથી બાળકને પાણીનો ટેસ્ટ સમજાતો નથી.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2JqgVdC

No comments:

Post a Comment

Pages