Latest

Monday, May 13, 2019

એતિહાદની શરતી બિડે જેટની આશા પર પાણી ફેરવ્યું



69303454

સુગાતા ઘોષ/અનિર્બાન ચૌધરી

મુંબઈ:એતિહાદ એરવેઝના જણાવ્યા અનુસાર તે જેટ એરવેઝમાં માત્ર ₹1,700 કરોડ સુધીનું જ રોકાણ કરી શકશે, જે બંધ પડેલી એરલાઇનની જરૂરિયાતની રકમ માટે નજીવો આંકડો છે. શુક્રવારે સુપરત કરેલી બિડમાં એતિહાદે જેટના ઋણ અંગે કોઈ ખાતરી આપી ન હતી અને વન-ટાઇમ સેટલમેન્ટની માંગણી કરી હતી.

એતિહાદની શરતી બિડને પગલે જેટ, તેના કર્મચારીઓ અને રોકાણકારો માટે એતિહાદ પાસેથી બહુ આશા રાખવી હિતાવહ નથી. એનો અર્થ એ થયો કે, જેટને ફરી કાર્યરત કરવી હોય તો ધિરાણકારોએ નવા બહુમતી રોકાણકારની શોધ કરવી પડશે. સૂત્રએ જણાવ્યું હતું કે, “એતિહાદે બંધનકર્તા બિડ સુપરત કરી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, બિડિંગ પ્રક્રિયા ધાર્યા પ્રમાણે શરૂ થઈ નથી.” એતિહાદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે ગંભીર છીએ, પણ કોઈ પણ ભાવે નહીં. અમારી સક્રિયતા માટે શરતો મહત્ત્વની છે.”

સૂત્રના જણાવ્યા અનુસાર “એક બહુમતી શેરધારક તરીકે એતિહાદ માત્ર 24 ટકા હિસ્સો જાળવી રાખવા જરૂરી રોકડ લાવી શકે. બાકીનાં નાણાંની જવાબદારી પ્રક્રિયાનું મેનેજમેન્ટ કરનારા લોકો પર રહેશે. એક લઘુમતી શેરધારક તરીકે ઋણ અને બાકીની જવાબદારી એતિહાદની નથી. એતિહાદને માત્ર કંપનીનું સંચાલન પ્રોફેશનલ મેનેજમેન્ટ અને યોગ્ય પ્રોફેશનલ બોર્ડ દ્વારા થાય એમાં જ રસ છે.”

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જેટ માટે બિડ સુપરત કરનારી કંપનીઓમાં માત્ર એતિહાદનો સમાવેશ થતો હતો. અન્ય રોકાણકારોમાં નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF), TPG કેપિટલ અને ઇન્ડિગો પાર્ટનર્સ સામેલ છે. જેટને ફરી કામ શરૂ કરવા ઓછામાં ઓછા ₹15,000 કરોડની જરૂર છે.

જેટની હાલ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED) દ્વારા લોયલ્ટી રિવોર્ડ્સ પ્રોગ્રામ ‘જેટ પ્રિવિલેજ’નો 50.1 ટકા હિસ્સો વેચવાના સોદા માટે તપાસ થઈ રહી છે. ઉપરાંત, જેટના સ્થાપક નરેશ ગોયલના કથિત ગેરકાયદે ટ્રાન્ઝેક્શન માટે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) સઘન તપાસ કરી રહી છે.

તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસનો વ્યાપ વધારવામાં આવશે તો કોઈ પણ પ્રકારના વન-ટાઇમ સેટલમેન્ટમાં વિલંબની શક્યતા છે. જેટના ચોપડે કુલ ₹8,500 કરોડનું ઋણ છે. એતિહાદે થોડા સમય પહેલાં બેન્કોને લોન પર 70 ટકા હેરકટ (નુકસાન) વેઠવા માંગણી કરી હતી. બિડના દસ્તાવેજમાં એતિહાદે ડેટ રિસ્ટ્રક્ચરિંગનો સંકેત આપ્યો છે, પણ તે બેન્કો પાસેથી કેટલા પ્રમાણમાં હેરકટ ઇચ્છે છે તેની સ્પષ્ટતા કરી નથી.

બિડની એક મહત્ત્વની શરત એ છે કે, એતિહાદ જેટમાં હિસ્સો 24 ટકાથી ‌વધારશે નહીં. કારણ કે ભારતના મૂડીબજારના નિયમ પ્રમાણે કોઈ પણ એન્ટિટીમાં હિસ્સો 25 ટકાને વટાવે ત્યારે કંપનીએ ઓપન-ઓફર કરવી પડે અને એતિહાદ તેના માટે તૈયાર નથી.



from Page Array – I Am Gujarat http://bit.ly/30jpa19

No comments:

Post a Comment

Pages