Latest

Thursday, May 2, 2019

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પર સંકટના વાદળ, હાઈકોર્ટમાં ચાલતા કેસમાં મુશ્કેલી વધી

ચુડાસમાની ખુરશી ખતરામાં

અમદાવાદ: રુપાણી સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તકલીફ વધી રહી છે. ધોળકા વિધાનસભા બેઠક પરથી માંડ 327 મતોથી જીતેલા ચુડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવારે હાઈકોર્ટમાં પડકારી છે, અને આ કેસ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ચૂંટણી પંચે કોર્ટમાં કબૂલ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની તેમજ ઓબ્ઝર્વર IAS વિનિતા બોહરા સામે સખ્ત પગલાં લેવા પણ જણાવ્યું છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

ચૂંટણી પંચનો ચીફ સેક્રેટરીને આદેશ

ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને ચૂંટણી પંચે આદેશ આપ્યો છે કે, તેઓ આ બંને અધિકારી સામે પગલાં લે. પંચે જણાવ્યું છે કે, તે આ અધિકારીઓ દ્વારા થયેલી ચૂકને ગંભીરતાથી લે છે અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા અને સખ્ત સજા કરવા નિર્દેશ કરે છે. ઉલ્લેખનીય છે કે, ધવલ જાનીને તો લોકસભા ચૂંટણી વખતે ધોળકા તાલુકામાં તેમના પદ પરથી દૂર પણ કરી દેવામાં આવ્યા હતા.

કોર્ટનું પણ આકરું વલણ

ચૂંટણી પંચે બુધવારે હાઈકોર્ટને ગુજરાત સરકારને પોતાના દ્વારા આ બંને અધિકારીઓ સામે સખ્ત પગલાં લેવા અપાયેલા આદેશની જાણ કરી હતી. બીજી તરફ, આઈએએસ બોહરાએ વકીલ રોકવા માટે હાઈકોર્ટ પાસેથી સમય માગ્યો છે. ગયા મહિને હાઈકોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો હતો કે બોહરા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા કરાયેલી પિટિશનમાં પાર્ટી રિસ્પોન્ડન્ડ તરીકે જોડાય.

ચુડાસમાના વકીલે કેસ છોડી દીધો

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વતી કેસ લડી રહેલા ચિરંજીત ઉપાધ્યાય બુધવારે આ કેસમાંથી ખસી ગયા હતા. હવે એડવોકેટ તેજલ વશી ચુડાસમા તરફથી આ કેસ લડશે. અગાઉ ચુડાસમાએ કેસ હાઈકોર્ટમાં ચાલતો હોવા છતાં સુપ્રીમમાં એફિડેવિટ દાખલ કરતા હાઈકોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી. જેના પછી ચુડાસમાના વકીલ સિનિયર એડવોકેટ શાલિન મહેતા પણ આ કેસમાંથી દૂર થઈ ગયા હતા. ચુડાસમાએ પોતાના સોગંદનામામાં હાઈકોર્ટ પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. જ્યારે કોર્ટે ચુડાસમાના વકીલને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે પોતાને આ અંગે કોઈ જાણ ન હોવાનું કોર્ટને જણાવી તરત જ આ કેસમાંથી હટી ગયા હતા.

વધુ સુનાવણી 8મી તારીખે

2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પર મતગણતરીને પ્રભાવિત કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે માગણી કરી છે કે ધોળકા બેઠક પરની ચૂંટણીને રદ્દ કરવામાં આવે. અગાઉ કોર્ટે ચૂંટણી પંચ અને રિટર્નિંગ ઓફિસરને પાર્ટી રિસ્પોન્ડન્ડ્સ તરીકે જોડવાનો ઈનકાર કરી દીધો હતો, પરંતુ મતગણતરીમાં થયેલી ગફલતના પુરાવા બહાર આવતા કોર્ટે તેમને પાર્ટી રિસ્પોન્ડન્ડ તરીકે કેસમાં સામેલ કર્યા હતા. આ કેસની વધુ સુનાવણી હવે 8મી મેના રોજ હાથ ધરાશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VJAQdM

No comments:

Post a Comment

Pages