Latest

Friday, May 17, 2019

DHFL ₹18,000 કરોડનો રિયલ્ટી લોન પોર્ટફોલિયો વેચશે



69367763

સૈકત દાસ

મુંબઈ:દીવાન હાઉસિંગ ફાઇનાન્સ (DHFL)એ અમેરિકાની ઓકટ્રી કેપિટલ સાથે લગભગ ₹17,000-18,000 કરોડનો હોલસેલ રિયલ એસ્ટેટ લોન પોર્ટફોલિયો વેચવા વાટાઘાટ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ નોન-બાઇન્ડિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેને લીધે વ્યૂહાત્મક ભાગીદારને ઇક્વિટી હિસ્સો વેચવાનો માર્ગ મોકળો થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇક્વિટી હિસ્સો PE કંપની અથવા મોટી નાણાસંસ્થાને વેચાવાની શક્યતા છે. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “DHFLએ નોન-બાઇન્ડિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આગામી બે સપ્તાહમાં સોદો પૂરો થવાની શક્યતા છે.” અન્ય સૂત્રના જણાવ્યા અનુસાર DHFL હાલ તરલતાની ખેંચ અનુભવી રહી છે અને એટલે તે ઓકટ્રી પાસે 20-25 ટકાના અપફ્રન્ટ પેમેન્ટની માંગણી કરે તેવી શક્યતા છે.

બાકીની રકમ હપતામાં વહેંચવામાં આવશે. 24 સપ્ટેમ્બરે તરલતાની સમસ્યા શરૂ થઈ ત્યારથી DHFLએ સિક્યોરિટાઇઝેશન દ્વારા લગભગ ₹30,000 કરોડના રિટેલ પોર્ટફોલિયોનું વેચાણ કર્યું છે. સિક્યોરિટાઇઝેશન એવી પ્રક્રિયા છે જેમાં નોન-બેન્કિંગ અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપની સામાન્ય રીતે બેન્કોને પરસ્પર વાટાઘાટ પછી નક્કી થયેલા ભાવે લોનનું વેચાણ કરે છે.

DHFLના શેરનો ભાવ આઠ મહિનામાં લગભગ ચોથા ભાગનો થઈ ગયો છે. 24 સપ્ટેમ્બર 2018ના રોજ શેર ₹393 હતો, જે ગુરુવારે ₹107.05ના મથાળે બંધ રહ્યો હતો. DHFLના મેનેજમેન્ટે વ્યૂહાત્મક ભાગીદારને સમાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બજારનો ભરોસો પાછો લાવવા આ પગલું જરૂરી છે.

ક્રિસિલે 11 મેના રોજ એક નોંધમાં જણાવ્યું હતું કે, વ્યૂહાત્મક ભાગીદારને સામેલ કરવાથી કંપનીની ભંડોળ એકત્ર કરવાની ક્ષમતામાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, ક્રિસિલે તરલતાનું કારણ આપી DHFLના કોમર્શિયલ પેપર્સનું રેટિંગ A3+થી ઘટાડી A4+ કર્યું છે. કંપનીના કોમર્શિયલ પેપર્સ ‘રેટિંગ વોચ’ હેઠળ છે. ક્રિસિલે રેટિંગ ઘટાડવા માટે એસેટ્સના વેચાણ અને સિક્યોરિટાઇઝેશન સોદા દ્વારા ભંડોળ મળવામાં વિલંબને જવાબદાર ગણાવ્યા હતા.

ETએ 15 મેના રોજ જણાવ્યું હતું કે, DHFLએ આગામી આઠ સપ્તાહમાં લોન રિપેમેન્ટ અને સિક્યોરિટાઇઝેશન પેટે ₹8,400 કરોડ ચૂકવવાના છે. ક્રિસિલના અહેવાલમાં જણાવ્યા અનુસાર અગાઉના અંદાજ કરતાં તરલતાની સ્થિતિ વધુ નબળી હોવાથી વિવિધ સ્રોત પાસેથી સમયસર ભંડોળ મળવાની સંવેદનશીલતામાં નોંધપાત્ર વધારો થયો છે.

DHFL પાસે 31 ડિસેમ્બર 2018ના રોજ સંચાલન હેઠળ ₹1,26,720 કરોડની એસેટ્સ હતી, જે આંકડો અગાઉના ક્વાર્ટરમાં ₹1,30,182 કરોડ હતો. તરલતાનો સામનો કરી રહેલી કોઈ પણ કંપની માટે લોન પોર્ટફોલિયોનું વેચાણ સાનુકૂળ ઘટના છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2W7jMik

No comments:

Post a Comment

Pages