Latest

Monday, May 13, 2019

NBFC સેક્ટરમાં ટૂંક સમયમાં કટોકટી ઊભી થશેઃ કોર્પોરેટ બાબતોના સચિવ

69305370

નવી દિલ્હી: કોર્પોરેટ બાબતોના સચિવ ઇન્જેટી શ્રીનિવાસે કહ્યું હતું કે નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) સેક્ટરમાં ટૂંક સમયમાં જ કટોકટી ઊભી થશે કારણ કે કેટલીક મોટી કંપનીઓએ વધુ પડતું સાહસ કર્યું અને વધુ પડતું ધિરાણ અંતે સંકટ જ ઊભું કરે. શ્રીનિવાસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે NBFC સેક્ટરમાં આડેધડ ધિરાણ થયું, કેટલીક મોટી કંપનીઓએ વધુ પડતું જોખમ ખેડ્યું, દુઃસાહસ કર્યું. તેને કારણે સંકટ ઊભું થયું છે. આ સેક્ટરમાં ટૂંક સમયમાં કટોકટી ઊભી થશે.

જોકે તેમણે કહ્યું હતું કે ‘જવાબદાર’ કંપનીઓ જોખમનું સારી રીતે સંચાલન કરી રહી છે અને તેમને આવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સમાં હાલમાં કસોટી થઈ રહી છે. કોર્પોરેટ જગત માટે આ નિર્ણાયક પળ છે. જે રીતે પરિસ્થિતિ આગળ ધપી રહી છે તે જોતા મધ્યમથી લાંબા ગાળામાં તે સારું થશે. પરંતુ ટૂંકા ગાળામાં ઊથલપાથલ મચાવી શકે છે.

તેમણે ઉમેર્યું કે, “જો તમે જવાબદારીપૂર્વક આગળ ધપો છો તો તમે જોખમનું યોગ્ય સંચાલન કરો. દેશમાં એવી ઘણી કંપનીઓ છે જે ખૂબ જ મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ ધરાવે છે. તે જોખમ લે છે, પરંતુ તેનું સારી રીતે સંચાલન પણ કરે છે તેમને માટે કોઈ સંકટ નથી, પણ બીજી કેટલીક કંપનીઓ છે, જેમની સામે આજે સંકટ છે.”

બેન્કોની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA)ને બાહ્ય પરિબળ સાથે જોડવામાં આવી રહી છે, પરંતુ આ વાત ગળે ઊતરે તેવી નથી. આ સમસ્યા સંપૂર્ણ બાહ્ય પરિબળ નથી. મેનેજમેન્ટની જવાબદારી જેવી વસ્તુ પણ હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું હતું કે બેન્કિંગ સેક્ટર ‘ગંભીર પરિસ્થિતિમાં’ છે

અને આ ‘અવ્યવસ્થા’માંથી બહાર આવવા માટે જે ગંભીર ભૂલો થઈ છે તેને સુધારવી પડશે, આરબીઆઇ સાથે મળીને આગળ વધવું પડશે, ક્રેડિટ ડિલિવરી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવી પડશે અને પૂરતા પ્રમાણમાં નાણાકીય તરલતા અને રોકડ બજારમાં રહે તેની વ્યવસ્થા કરવી પડશે.

મનમોહન સિંઘે કહ્યું હતું કે એનપીએના ગભરાટથી ધિરાણ એક પ્રકારે સ્થગિત થઈ ગયું હતું. દરેક કંપની માટે એકસમાન માપદંડ અપનાવવાથી અનેક કંપનીઓને
ઇન્સોલ્વન્સીમાં ધકેલી દેવાઈ.

નોટબંધીને કારણે અનૌપચારિક ધિરાણના સ્રોત બંધ થઈ ગયા. જોકે નાણામંત્રી અરુણ જેટલીએ આ ચિંતાને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, “એક અર્થશાસ્ત્રી રાજકારણી બની જાય ત્યારે તે અર્થતંત્ર અને રાજનીતિ બન્નેની સમજ ગુમાવી બેસે છે. ડો. મનમોહન સિંઘના શાસનમાં જોવા મળેલા આર્થિક નરમાઈ, પોલિસી પેરાલિસિસ અને ભ્રષ્ટાચાર 2014થી બંધ થઈ ગયા છે.

તેમણે તેમના પક્ષનું સંખ્યાબળ સંસદમાં સૌથી નીચા સ્તર પર લાવી દીધું. મનમોહન સિંઘના શાસન વખતે ભારતીય અર્થતંત્ર ફ્રેજાઇલ-5 એટલે કે સૌથી નબળા પાંચ અર્થતંત્રમાં હતું. આજે ભારત વિશ્વના સૌથી ઝડપી વૃદ્ધિ કરતા અર્થતંત્ર પૈકી એક છે ત્યારે તેઓ તેને આફતરૂપ ગણાવી રહ્યા છે.”



from Page Array – I Am Gujarat http://bit.ly/30oIGcy

No comments:

Post a Comment

Pages