Latest

Friday, March 27, 2020

ભાઈની ચિતા ઠરે એ પહેલા ફરીથી ડ્યૂટી પર હાજર થયા દાહોદના પોલીસકર્મી, CMએ કરી પ્રશંસા

સચિન શર્મા, વડોદરા: કોરોના વાયરસ સામે જંગ જીતવા દેશ અને ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એકપણ વ્યક્તિએ ઘરની બહાર નીકળવાનું નથી. એવામાં પોલીસ સતત પોતાની ડ્યૂટી નિષ્ઠાથી કરી રહી છે. પોતાના ઘર-પરિવારને છોડીને પોલીસ લોકડાઉનનું બરાબર પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં લાગી છે. આ દરમિયાન કોઈ પોલીસકર્મીના ઘરે કંઈ દુઃખદ ઘટના બને તો પણ ફરજને આગળ કેવી રીતે રાખવી તે દાહોદના પોલીસકર્મીએ શીખવ્યું છે. સબ-ઈન્સ્પેક્ટર પી. કે. જાદવ ભાઈની ચિતાની રાખ ઠંડી પડે એ પહેલા તો ફરજ પર ફરી હાજર થઈ ગયા. યુનિફોર્મ નીચે પોતાની લાગણીઓ અને આંસુ છુપાવીને ફરીથી ડ્યૂટીમાં જોડાઈ ગયા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કોવિડ-19એ આખી દુનિયાને ભરડામાં લીધી છે ત્યારે ગુજરાતમાં પણ આમાંથી બાકાત નથી. દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ-ઈન્સ્પેક્ટર જાદવને અમદાવાદમાં રહેતા મોટાભાઈના મોતના સમાચાર મળ્યા ત્યારે તેઓ ડ્યૂટી પર હતા. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જાદવ સતત ફરજ પર હતા. આ દરમિયાન ભાઈના મોતના સમાચારે તેમને ભાંગી નાખ્યા હતા. 7 કલાકમાં તેઓ દાહોદથી અમદાવાદ જઈને પરત આવી ગયા હતા. 7 કલાકની મુસાફરી સિવાય અમુક કલાકો ભાઈની અંતિમક્રિયા માટે ફાળવ્યા હતા.

24 માર્ચે સબ-ઈન્સ્પેક્ટર જાદવના ભાઈ હરદેવસિંહ જાદવ (63 વર્ષ)નું નિધન થયું. અમદાવાદમાં રહેતા હરદેવસિંહનું લાંબી બીમારી બાદ મોડી રાત્રે 3 વાગ્યે નિધન થયું હતું. જાદવે આ વિશે પોતાના ઉપરી અધિકારીઓને વાત કરી અને સવારે પાંચ વાગ્યે અમદાવાદ આવવા નીકળ્યા હતા. એ જ દિવસે બપોરે 3 વાગ્યે તેઓ ફરીથી ફરજ પર હાજર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગરબાડાથી અમદાવાદ પહોંચતા 3.5 કલાક જેટલો સમય લાગે છે. સબ-ઈન્સ્પેક્ટર જાદવ 10 કલાક માટે ગરબાડામાં હાજર નહોતા. જેમાંથી 7 કલાક જેટલો સમય મુસાફરીમાં વિત્યો અને બાકીના કલાકો અંતિમવિધિમાં વિત્યા હતા.

સબ-ઈન્સ્પેક્ટર જાદવની ફરજ પ્રત્યેની આ નિષ્ઠા એળે ના ગઈ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ બાબતની નોંધ લીધી. તેમણે ટ્વિટ કરીને સબ-ઈન્સ્પેક્ટર જાદવની પ્રશંસા કરી હતી. સાથે જ ફોન પર વાત કરીને પણ ફરજનિષ્ઠ સબ-ઈન્સ્પેક્ટરને બિરદાવ્યા હતા.

અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જાદવે કહ્યું, “ફાટી નીકળેલા કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને જોતાં ફરજ પર હાજર થવું જરૂરી હતું. મારો પરિવાર પણ સમજે છે કે એક પોલીસકર્મીને તેની ડ્યૂટીને પ્રાધાન્ય આપવું પડે છે. લોકડાઉન અને સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને મારા મોટાભાઈના અંતિમ સંસ્કારમાં માત્ર નજીકના ગણ્યાંગાંઠ્યા લોકો હાજર રહ્યા હતા. અમે બેસણું બાદમાં યોજવાના હતા. પરંતુ 31 માર્ચ સુધી લોકડાઉન છે ત્યારે હાલ શક્ય નહીં બને.”

લોકડાઉનને સફળ બનાવવા માટે ગુજરાત પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે. જે લોકો ફૂટપાથ પર કે ગલીઓમાં રહેતા હોય તેમને ખોરાક-પાણી સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરતી માત્રામાં મળી રહે તેનું ધ્યાન પોલીસ રાખી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના રોજમદાર મજૂરો પગપાળા ઘરે જવા નીકળ્યા છે તે સરળતાથી પહોંચી જાય તેનું ધ્યાન દાહોદ પોલીસ રાખી રહી છે.

આવી પણ કામગીરી કરે છે પોલીસ, રાત્રે ગરીબોને આપી રહી છે ભોજન



from Page Array – I Am Gujarat https://ift.tt/2UDwUJc

No comments:

Post a Comment

Pages