Latest

Friday, June 19, 2020

કોરોના સંકટ: અમદાવાદની વધુ કેટલીક ખાનગી સ્કૂલોએ વાલીઓને ફીમાં રાહત આપી

ભરત યાજ્ઞિક, અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં આવેલી એક સ્કૂલે ટ્યૂશન ફીમાં માફી આપ્યા બાદ અન્ય સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલો પણ આમ કરવા પ્રેરાઈ છે. કોવિડ-19ના કારણે આર્થિક સંકડાશમાં મૂકાયેલા વાલીઓને સ્કૂલ ફીમાં રાહત આપવાના અમદાવાદના સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના વચન બાદ આ નિર્ણય લેવાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

75 વર્ષ જૂની સરસ્વતી વિદ્યા મંડળ (SVM)ની ત્રણ સ્કૂલો અસારવા અને સારંગપુર કેમ્પસમાં ચાલે છે. SVMએ આ મહિનાની શરૂઆતમાં વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. SVMના સેક્રેટરી જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું, “SVM દ્વારા સરસ્વતી કુમારશાળા-1, સરસ્વતી કુમારશાળા-2 અને અસારવા સ્થિત શાંતિકુમાર કોઠારી વિદ્યાલય (બાલભારતી)માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને એક મહિનાની ફી માફી આપવામાં આવી છે. આ ફી માફીથી 2350 વાલીઓને લાભ થશે અને ટ્રસ્ટને ફી પેટે 13 લાખ રૂપિયા નહીં મળે.”

SVMની આ ત્રણ સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની ફી વધારવાનો નિર્ણય પણ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. સાથે જ આ સ્કૂલોના 125 શિક્ષકો અને અન્ય સ્ટાફને સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવ્યો છે સાથે જ 10 ટકા વધારાનું ડીએ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, દરિયાપુરમાં આવેલી જે.પી. હાઈસ્કૂલે આ મહિનાની શરૂઆતમાં સૌથી પહેલા ફીમાં રાહત જાહેર કરી હતી. 1973માં સ્થપાયેલી આ સ્કૂલે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને એપ્રિલ 2020થી ઓક્ટોબર 2020 સુધી 7 મહિનાની ફીમાં રાહત આપી છે.

ગોતા વિસ્તારમાં આવેલી શ્રીમતી કે. એન. પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલ (KNIPS) પણ હવે આ યાદીમાં જોડાઈ છે. સ્કૂલના ટ્રસ્ટી બિપિન પટેલે કહ્યું, “શાળાએ GBSE-CBSEના વિદ્યાર્થીઓની ફીમાં 25%ની રાહત જાહેર કરી છે. જ્યાં સુધી શાળા નિયમિત ન થાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન ફી પણ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.” બિપિન પટેલે કોવિડ-19 મહામારી દરમિયાન ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું સાથે જ 100 પરિવારોને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો.

બિપિન પટેલે કહ્યું, “સ્કૂલો નહીં ખુલે ત્યાં સુધી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ દરમિયાન યોગ, કરાટે અને ડાન્સ જેવી ઈત્તરપ્રવૃત્તિઓ કોઈપણ વધારાના ચાર્જ વિના કરાવાશે.”

5500 સ્કૂલોના પ્રતિનિધિઓ ધરાવતા ગુજરાત સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશને હાલમાં જ તેમના સભ્યોને પત્ર લખીને જણાવ્યું હતું કે, ફીમાં રાહત ઈચ્છતા વાલીઓની વિગતો એકઠી કરો. કોવિડ-19 મહામારીના લીધે આર્થિક ભીંસમાં મૂકાયેલા વાલીઓ પાસેથી આ સ્કૂલોએ લેખિત અરજી મંગાવી હતી. ફીમાં રાહત મેળવવા માટે વાલીઓએ પોતાની ફાઈનાન્શિયલ વિગતો આપવાની રહેશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3ekkIpi

No comments:

Post a Comment

Pages