Latest

Monday, June 8, 2020

લ્યો બોલો! અમદાવાદમાં ટેસ્ટિંગ કર્યા વિના જ યુવકને કોરોના પોઝિટિવ બતાવી દીધો

અમદાવાદ: એક તરફ અમદાવાદમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. તો બીજી તરફ તંત્રની એક પછી એક લાલિયાવાડી સામે આવી રહી છે. જેમાં રવિવારે વધુ એક કિસ્સો ઉમેરાયો છે. ઈસનપુરમાં રહેતો યુવક કેટલાય દિવસથી કોરોનાના ટેસ્ટિંગ માટે રાહ જોઈ રહ્યો છે. જોકે, ટેસ્ટિંગ માટે કોઈ આવ્યુ નથી. ઉલ્ટાનું રવિવારે આરોગ્ય વિભાગમાંથી ફોન કરીને યુવકને જણાવાયું કે, તમારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઈસનપુર રત્નદીપ સોસાયટીમાં રહેતો યુવાન છેલ્લા પાંચ દિવસથી કોરોનાનું ટેસ્ટિંગ થાય તેની રાહ જોઈ રહ્યો છે. પરંતુ ટેસ્ટિંગ માટે કોઈ આવ્યું નથી. ઉલ્ટાનું રવિવારે આરોગ્ય વિભાગમાં ફોન કરીને તેને જણાવવામાં આવ્યું કે તમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમે અત્યારે ક્યા છો? ત્યારે યુવાને કહ્યું કે, મારું ટેસ્ટિંગ જ થયું નથી તો પછી રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવી શકે છે? આ રીતે ટેસ્ટિંગ વિના જ તંત્રએ બારોબાર યુવકને કોરોના પોઝિટિવ બતાવી દીધો હતો.

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોથી શહેરીજનો પરેશાન છે. ઘણા લોકો કોરોનાના લક્ષણો સાથે પણ જીવી રહ્યા છે. તેવામાં વારંવાર તંત્રને ફોન કરવા છતાંય ટેસ્ટિંગ માટે કોઈ ન આવતું હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. વાસણાનું દંપતી પણ કોરોના ટેસ્ટિંગ માટે રાહ જોઈ રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ દરકાર લેવામાં આવી નથી. દંપતીના જણાવ્યા મુજબ 4 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ, શરદી, ઉધરસ છે. હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો પણ કંઈ થયું નથી. આમ તંત્રની લાલિયાવાડીના કારણે શહેરીજનો ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ ખરાબ હાલત અમદાવાદની છે અને તંત્ર કોવિડ-19નો સામનો કરવામાં અસરકારક સાબિત થયું નથી. છેલ્લા 24 કલાકમાં 318 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 14,285 થઈ ગઈ છે. જ્યારે 21 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 1,015 પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 223 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધી કુલ 9,912 લોકો સાજા થયા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3dJocBx

No comments:

Post a Comment

Pages