રાજકોટ: મંગળવારે શ્રાવણના પહેલા દિવસે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં સેંકડો શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. જો કે, વહેલી સવારથી ભક્તોની ભારે ભીડથી મંદિર સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતા પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પાસની સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે. આગામી 25 તારીખ મંગળવારથી દર્શન માટે જાહેર કરેલી નવી સિસ્ટમ અમલી બનશે. એટલું જ નહીં, મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
પોલીસ અને ભાવિકો વચ્ચે થયું હતું ઘર્ષણ
મંગળવારે સોમનાથ મંદિર ખાતે ભાવિકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો વિડીયો વાયરલ થયો હતો. ગીર-સોમનાથના DSP રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ‘હોલ્ડ-અપ વિસ્તારમાં ભક્તોની કતાર લાગી હતી. તે એક નાનું સ્થળ છે અને જ્યારે ભક્તોને જાણ થઈ કે મંદિર ખુલી રહ્યું છે, ત્યારે તેઓ આ સ્થળે દોડી આવ્યા હતા. એક વ્યક્તિએ લાઇન તોડી હતી અને ત્યારબાદ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્રિપાઠીએ દાવો કર્યો કે, લાઈનમાં 200 જેટલા ભક્તો હતા.
દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો
પરંપરા મુજબ શ્રાવણ દરમિયાન આસપાસના ગામોમાંથી ભક્તો વહેલી સવારે પગપાળા કરીને મંદિરમાં આવે છે. સોમનાથ મંદિરના ટ્રસ્ટી સેક્રેટરી, પી.કે. લહેરીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ‘અમે ટ્રસ્ટીઓ, જિલ્લા કલેક્ટર અને પોલીસ સાથે બેઠક યોજી હતી અને મંદિરનો સમય વધારવાનો નિર્ણય કર્યો હતો. જે મુજબ 25 જુલાઈથી મંદિર સવારે 5:30થી રાત્રે 9:15 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.’ આ સમયગાળા દરમિયાન મંદિરમાં દર્શનનો સમય સવારે 5.30થી 6.30, 7.30થી 11.30, બપોરે 12.30થી 6.30 અને સાંજે 7.30થી 9.15 સુધી રહેશે. હાલમાં મંદિરનો સમય સવારે 6થી સાંજના 6:30 સુધીનો છે.
અન્ય જિલ્લાના ભક્તોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે
લહેરીએ જણાવ્યું હતું કે, ભીડ ટાળવા માટે તેઓ શનિવારથી ભક્તોને પાસ આપવાનું શરૂ કરશે. અન્ય જિલ્લામાંથી આવતા ભક્તોને અમારી ઓનલાઈન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જણાવી દઈએ કે, ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 21મી જુલાઈના રોજ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 197 પર પહોંચી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3jrOpYl
No comments:
Post a Comment