Latest

Monday, July 6, 2020

કોરોનાઃ નારિયેળની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

નારિયેળનો પાક લેતા ખેડૂતોની મુશ્કેલી વધી

નિમેષ ખાખરિયા, રાજકોટઃ જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લમાં હાઈવે પર પસાર થતા હોવ તો દૂર દૂર સુધી દેખાતા નારિયેળીના લીલાછમ ઝાડ તમારી આંખોને એક અનેરી ઠંડક આપે છે. બળબળતી ગરમી હોય કે લૂ લાગી હોય તેમાં પોતાના પાણીથી ટાઢક આપતા આ નારિયેળની ખેતી કરતા ખેડૂતો હાલ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઝાડ પર લિલાછમ નારિયળ પીળા પડીને સડી રહ્યા છે. પણ ખેડૂતોની હિંમત નથી થતી કે આ નારિયેળ ઝાડ પરથી ઉતારે કેમ કે ગોડાઉનમાં પણ તેટલા જ નારિયળ પડ્યા પડ્યા સડી રહ્યા છે. આ બધાનું એક જ કારણ છે કોરોના વાયરસ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કોરોના વાયરસના કારણે લોકડાઉનથી નુકસાની

વાત જાણે એવી છે કે કોરોના વાયરસના કારણે કરવામાં આવેલા લોકડાઉન અને કેટલાક પ્રતિબંધોના કારણે ખેડૂતો માટે રોકડિયો પાક હવે ખૂબ જ મોટો ભાર બની રહ્યો છે. મંદિરો બંધ, સ્પોર્ટ એક્ટિવિટી બંધ, લોકોની છૂટથી અવરજવર બંધ તેવામાં નારિયેળનું વેચાણ પણ ખૂબ જ નીચે ગયું છે. જેના કારણે જે વેપારીઓએ વર્ષની શરુઆતમાં ખેડૂતો સાથે પહેલાથી જ કરાર કર્યા હતા તેઓ પણ હવે આ માલ ઉઠાવવા માટે તૈયાર નથી. એટલું જ નહીં છેલ્લા કેટલાક મહિનાથી વેપારીઓએ નારિયેળનો પાક લેવા માટે કરાર મુજબના માસિક ઇન્સ્ટોલમેન્ટના રુપિયા પણ નથી મોકલ્યા.

વેપારીઓ નથી આપી રહ્યા કરારાધારિત ખેતીમાં આગળના હપ્તા

ગુજરાતમાં મોટાભાગે નારિયેળ ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડામાં અને જુનાગઢના માંગરોળ તેમજ માળિયા તાલુકામાં થાય છે. વેરાવળમાં નારિયેળના વેપારી હાશિમ લુન્યાએ કહ્યું કે, ‘લોકડાઉન દરમિયાન ખેત મજૂરોને વાહનમાં બેસાડીને ખેતર સુધી લઈ જવાની મંજૂરી નહોતી. લીલા નારિયેળ સામાન્ય રીતે મનોરંજનની જગ્યાઓ પર પીવામાં આવતા હોય છે. જે તમામ જગ્યાઓ હાલ બંધ છે. જ્યારે પાકી ગયેલા નારિયળનો ઉપયોગ મંદિરોમાં થતો હોય છે તે પણ મોટાભાગે બંધ જેવી સ્થિતિમાં છે.’

લીલા નારિયેળ અને સુકા નારિયેળનો ઉપયોગ ઘટ્યો

વેરાવળ તાલુકાના બાદલપરા ગામના ખેડૂત અરણજ બરાડ જેઓ પોતાના 7 વીઘાના ખેતરમાં આશરે 300 જેટલી નારિયેળી ધરાવે છે અને નારિયળની ખેતી કરે છે તેમણે કહ્યું કે, ‘ફ્રુટની ક્વોલિટીના આધારે સામાન્યરીતે વેપારીઓ અમારી સાથે પ્રતિ નારિયેળીના ઝાડના માસિક રુપિયા 1000થી રુપિયા 2000 જેટલો કરાર કરે છે. પરંતુ લોકડાઉનના કારણે કોઈ વેપારી આવ્યા નથી અને હવે બધા જ નારિયેળ ઝાડ પર રહ્યા જ બગડી રહ્યા છે. એટલું જ નહીં અમારા ખેતરમાં પમ બગડી ગયેલા નારિયેળનો ઢગલો થયો છે.’

મંદિરો અને મનોરંજક સ્થળો બંધ થતા નારિયેળની માગ ઘટી

કેટલાક ખેડૂતોએ એવો પણ આરોપ મુક્યો કે જો અમે કરારાધારિત અમારા રુપિયા માગીએ તો વેપારીઓ કરાર કેન્સલ કરવાની ધમકી આપે છે. જ્યારે સુત્રાપાડાના એક ખેડૂતે કહ્યું કે કેટલાક કિસ્સામાં વેપારીઓ નુકસાનના 10-20 ટકા જેટલી ખેડૂતોને આર્થિક સહાય કરતા હોય છે. જોકે તે વ્યક્તિગત સંબંધોને આધારે છે. જ્યારે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે એજન્ટની ભૂમિકા ભજવતા વિજા નારણે કહ્યું વેપારીઓ લોકડાઉનના કારણે માર્ચ, એપ્રિલ, અને મે મહિનામાં નારિયેળનો માલ ખેતરમાંથી લેવા માટે સક્ષમ બન્યા નથી. પરંતુ તેમણે વાયદો કર્યો છે કે થોડા સમયમાં જ તેઓ ફરી વેપારને આગળ ધપાવશે અને આ માટે તેમણે શરતો રાખી છે કે ખેડૂતે આ ત્રણ મહિનાનું પોતાનું મહેનતાણું જતું કરવું પડશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Z4uTt4

No comments:

Post a Comment

Pages