Latest

Wednesday, April 29, 2026

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ PM મોદીએ જનતાનો માન્યો આભાર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને પ્રચંડ વિજય મેળવીને રાજ્યમાં પોતાનો અજેય ગઢ જાળવી રાખ્યો છે. આ ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેનો અતૂટ સંબંધ હવે વધુ ગાઢ બન્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, જનતાએ ફરી એકવાર સુશાસન અને વિકાસની રાજનીતિ પર મહોર મારી છે અને ભાજપના કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમને આશીર્વાદ આપ્યા છે.

આ શાનદાર જીતને વધાવવા માટે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ નેતાઓની હાજરીમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, ગુજરાતના સમજદાર મતદારોએ નકારાત્મકતા ફેલાવનારા તત્વોને સખત જાકારો આપ્યો છે. ભાજપના પક્ષમાં આવેલો આ જંગી જનાદેશ સાબિત કરે છે કે લોકો ડબલ એન્જિન સરકારની કાર્યપદ્ધતિથી સંપૂર્ણ સંતુષ્ટ છે.

ચૂંટણી પરિણામોમાં વિપક્ષની કારમી હાર પર પ્રહાર કરતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ આકરા શબ્દોમાં કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવામાં કોઈ કસર છોડી નહોતી, પરંતુ આજે જનતાએ તેમને બિસ્તરા-પોટલા બાંધીને રવાના કરી દીધા છે. ભાજપના કાર્યકર્તાઓની સંગઠન શક્તિ અને લોકોનો અતૂટ વિશ્વાસ જ આ ભવ્ય જીતનો પાયો છે. આગામી દિવસોમાં આ વિજયી લહેરને ધ્યાનમાં રાખીને ભાજપ રાજ્યના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધતા સાથે કામ કરશે તેવી ખાતરી નેતાઓએ આપી છે.



from chitralekha https://ift.tt/wn4XbBz
via

No comments:

Post a Comment

Pages