Latest

Wednesday, May 6, 2026

પનીર પરાઠા

સવારના ટિફિન માટે પનીર તેમજ ચીઝના પૂરણવાળા પરાઠા હેલ્ધી તેમજ સ્વાદિષ્ટ પર્યાય છે.

સામગ્રીઃ પનીર 200 ગ્રામ, ચીઝ ક્યુબ 3, લીલા મરચાં 2-3, જીરૂ 1 ટી.સ્પૂન, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, બાફેલાં બટેટા 2, ગરમ મસાલો ¼ ટી.સ્પૂન, કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન, કાંદા 2, તેલ 2 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 1 કપ,  સિમલા મરચું અડધું, ઘઉંનો લોટ 2 કપ, ઘી અથવા તેલ પરાઠા શેકવા માટે, અજમો ½ ટી.સ્પૂન, વરિયાળી ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન

રીતઃ લોટમાં અજમો તેમજ ઘી 2 ચમચી મેળવી દઈને,  નરમ લોટ બાંધી લો અને તેને ઢાંકીને 10-15 મિનિટ માટે રહેવા દો.

કાંદાને ઝીણો સમારી લો. સિમલા મરચું પણ નાના ચોરસ ટુકડામાં સમારી લેવું.

એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરા તેમજ વરિયાળીનો વઘાર કરી, લીલા મરચાં ઝીણાં સમારીને ઉમેરી દીધા બાદ સમારેલી ડુંગળી મેળવીને 2 મિનિટ સાંતળો. ડુંગળીનો રંગ બદલાય અને તે નરમ થાય એટલે તેમાં સમારેલું સિમલા મરચું 2 મિનિટ સાંતળી લીધા બાદ ગેસ બંધ કરીને સમારેલી કોથમીર મેળવો અને બાફેલાં બટેટા, પનીર તેમજ ચીઝને છીણીને ઉમેરો.

આ મિશ્રણમાં લાલ મરચાં પાઉડર, ચાટ મસાલો, આમચૂર પાઉડર, ગરમ મસાલો, કાળા મરી પાઉડર મેળવો. ચાટ મસાલામાં મીઠું હોવાથી મીઠું તે પ્રમાણે સ્વાદ મુજબ ઉમેરવું. બધું મિશ્રણ એકવાર હાથેથી સરખું મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી મધ્યમ આકારના ગોળા તૈયાર કરી લો. અથવા મિશ્રણ છૂટું જ રહેવા દો.

ગેસ ઉપર તવો ગરમ કરવા મૂકી દો.

લોટમાંથી પરાઠા માટેનો લૂવો લઈ તેને પુરી જેટલો વણી લઈને પનીરના મિશ્રણનો ગોળો લઈ, આ પુરીની વચ્ચે ગોઠવી દીધા બાદ પુરીની કિનારી ચારેકોરથી કાંગરી વાળીને લૂવો બંધ કરી દો. વધેલો લોટ કાઢીને લૂવાને હળવેથી પ્રેશ કરી લોટનું અટામણ દઈને મધ્યમ આકારનું પરોઠું વણી લો.

અથવા લૂવાની મોટી ગોળ રોટલી વણીને વચ્ચે પનીરનું મિશ્રણ ત્રિકોણાકાર ગોઠવી, તેની સામસામી બંને બાજુ વાળી દીધા બાદ નીચેની ત્રીજી બાજુ ઉપર તરફ વાળીને પેક કરી દો. બંને બાજુએ લોટ છાંટીને પરોઠું હળવેથી તેની ત્રિકોણ બાજુ વણીને ત્રિકોણાકાર પરોઠું તૈયાર થાય એટલે તવામાં ગેસની મધ્યમ આંચે શેકી લો. બંને બાજુએથી શેકાયા બાદ બંને બાજુએ ઘી લગાડીને ઉતારી લો. મિશ્રણ પરોઠામાં ચોરસ આકારમાં ગોઠવીને સામસામી બંને બાજુએથી વાળીને ચોરસ આકાર તૈયાર કરી શકાય છે.

આ પરોઠા દહીં, ચટણી કે અથાણાં અથવા દહીં-બુંદીના રાયતાં સાથે પીરસી શકાય.



from chitralekha https://ift.tt/UNxp8w1
via

No comments:

Post a Comment

Pages