હાર્દિકનો ઉપવાસ પૂર્ણ કરવાનો નિર્ણય

અમદાવાદઃ આખારે 18 દિસના ઉપવાસ બાદ ઉપવાસના 19મા દિવસે હાર્દિકે પારણાં કરી લેવાનો નિર્ણય કર્યો છે. પાસના કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરીને હાર્દિક ઉપવાસ કરશે તેવી જાહેરાત કરી છે. હાર્દિક પટેલ આજે ત્રણ વાગ્યે સમાજના વડીલોના હાથે પારણાં કરશે. મનોજ પનારાએ કહ્યું કે, હાર્દિકની તબીયત સારી થઈ જશે પછી ફરીથી સમાજ અને ખેડૂતો માટેની લડાઈ શરું કરવામાં આવશે. 18 દિવસના ઉપવાસ દરમિયાન તબીયત વધારે લથડવાના કારણે હાર્દિકને અમદાવાદની સોલા સિવિલ બાદ SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સમાજના વડીલો કરાવશે પારણાં

સમાજના વડીલો અને આગેવાનોની સમજાવટ બાદ હાર્દિકે ઉપવાસ પૂર્ણ કરવાનો નિર્ણય લઈ લીધો છે. આજે હાર્દિકને પારણાં કરાવવા માટે નરેશ પટેલ અને પ્રહ્લાદ પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય સમાજના વડીલો અને અગ્રણીઓ પણ હાજરી આપના છે તેવી માહિતી પાસ દ્વારા આપવામાં આવી છે. ઉમિયા માતા, ખોડલધામ ટ્રસ્ટ સિવાય સમાજના અગ્રણીઓ હાર્દિકને પારણાં કરાવવા માટે હાજર રહેશે. હાર્દિકના પારણા માટે ઉપસ્થિત થનારા મોભીઓનું પાસ દ્વારા સન્માન કરવામાં આવશે.
વડીલોની વાતને હાર્દિકે માની

ઉલ્લેખનીય છે કે, 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિકે પાટીદાર અનામત, ખેડૂતોનું દેવું માફ અને અલ્પેશ કથિરિયાને છોડાવવાની માંગ સરકાર સમક્ષ મૂકીને ઉપવાસ આંદોલન શરું કર્યું હતું. જોકે, સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ ના મળતા અને સમાજના અગ્રણીઓને ધ્યાનમાં રાખીને હાર્દિકે ઉપવાસ છોડવાનો નિર્ણય લીધો છે. મનોજ પનારાએ સરકારને તાનાશાહ સરકાર ગણાવીને વાત કરવાનો પણ પ્રયત્ન ન કરાયો હોવાના આક્ષેપ કર્યા છે.
આંદોલન ચાલું જ રહેશે

મનોજ પનારાએ કહ્યું કે, હાર્દિકને મળવા માટે આવેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે પણ હાર્દિકને ઉપવાસ છોડીને લોકોની વચ્ચે, ખેડૂતોની વચ્ચે, ગામોમાં જઈને, રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની સલાહ આપી હતી. પનારાએ કહ્યું કે, હરિશ રાવતે હાર્દિકે લોકોનો અવાજ બનવાની સલાહ આપી હતી. આ સાથે પનારાએ કહ્યું કે, અમે ફરીથી લોકોની વચ્ચે જઈશું અને અને રોડ પર ઉતરીને અમારી માગણી રજૂ કરીશું.
સરકાર સામે બાંયો ચઢાવશે પાસ

પાટીદાર અનામત મુદ્દે સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ અંગે પાસે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકના પારણાંની વાત સાથે જણાવ્યું કે, આગામી સમયમાં અમે એવા આંદોલનો કરીશું કે લોકો સરકારને સવાલ કરશે કે પાટીદારોને અનામત ક્યારે મળશે. આ સાથે પનારાએ ગણેશ સ્થાપન સાથે સરકાર સામે બાંયો ચઢાવવાનો સંકલ્પ લેવા માટે પણ કહ્યું હતું. અલ્પેશ કથિરિયાને જેલમાંથી છોડાવવા માટે પણ સરકાર સામે આંદોલન કરવાની વાત પનારાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવી છે.
સાથીદારોને પારણાં કરી લેવા સૂચન

પાસ દ્વારા હાર્દિકની સાથે રાજ્યભરમાં અલગ-અલગ જગ્યા પર ઉપવાસ પર બેઠેલા પાસના અને પાટીદાર સમાજના લોકોને આજે ત્રણ વાગ્યે હાર્દિકની સાથે પારણાં કરી લેવાની સલાહ આપવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ હાર્દિકે પણ હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેની સાથે ઉપવાસમાં સાથ આપી રહેલા લોકોને પારણાં કરી લેવાની સલાહ આપી હતી.
from I Am Gujarat https://ift.tt/2p0yGEE
No comments:
New comments are not allowed.