Latest

Tuesday, September 11, 2018

દારુના કેસમાં પકડાયેલી લક્ઝુરિયસ કારને છોડી દેવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદ: દારુની હેરાફેરી કરતા નડિયાદ પોલીસે પકડેલી હોન્ડા BRV કારને છોડી દેવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે, ગુજરાત સરકારના કાયદા અનુસાર, દારુના કેસમાં પકડાયેલું કોઈપણ વાહન કેસ પૂરો ન થાય ત્યાં સુધી વાહન પોલીસની કસ્ટડીમાં રહે છે. જોકે, કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપતા દારુના કેસમાં પકડાયેલા હજારો વાહનોના માલિકો માટે એક નવી આશા જાગી છે.
ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ગુનો ગાડી નહીં, પરંતુ કેસમાં સંડોવાયેલો માણસ કરે છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો ખૂલ્લી જગ્યામાં કોઈ મેઈન્ટેનન્સ વિના જ મૂકી રખાય છે, અને કેસ પૂરો થાય ત્યાં સુધી તો આ વાહનો ભંગાર થઈ ગયા હોય છે. તેવામાં કેસ પૂરો થાય ત્યાં સુધી વાહન જાપ્તામાં રાખવા કરતા તેને શરતો સાથે છોડી દેવું જોઈએ.
પ્રોહિબિશનના કેસમાં પકડાયેલી આ ગાડીને છોડાવવા માટે તેના માલિક દ્વારા અગાઉ નડિયાદ સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી. જોકે, કોર્ટમાં સરકારે એવી દલીલ કરી હતી કે, કલમ 98 અનુસાર, ગુનામાં વપરાયેલા વાહન પરત કરવા પર પ્રતિબંધ છે, અને વાહન છોડવા એ કોર્ટની હુકુમત ક્ષેત્રમાં નથી આવતું. નીચલી કોર્ટમાં અરજી રદ્દ થતાં વાહન માલિક હાઈકોર્ટ પહોંચ્યા હતા.
બંને પક્ષોની દલીલ સાંભળીને જસ્ટિસ આરપી ધોલરિયાએ કહ્યું હતું કે, દારુના ગુનામાં ટ્રાયલ ચાર-પાંચ વર્ષ ચાલતી જ હોય છે. તેવામાં જો વાહન આટલો સમય ખૂલ્લામાં પડ્યું રહે તો તે વાપરવા લાયક નહીં રહે. કોર્ટે વાહન માલિકને તેના મૂલ્ય જેટલી શ્યોરિટી જમા કરાવવા ઉપરાંત, જ્યારે પણ જરુર પડે ત્યારે ગાડી કોર્ટ કે પોલીસ સમક્ષ હાજર કરવાની બાહેંધરી આપવાની શરતે ગાડી છોડી દેવા આધેશ કર્યો હતો.



No comments:

Pages