રજનીકાંતના નિવેદને રાજકારણ ગરમાવી દીધું

ચેન્નઈ: અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંતના એક નિવેદને રાજકારણ ગરમાવી દીધું છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં તે પીએમ નરેન્દ્ર મોદીનો સાથે આપશે કે વિરોધી ગઠબંધનનો એ વાત હજી સુધી સ્પષ્ટ નથી, પણ રજનીકાંતે મોદીને મજબુત નેતા ગણાવતા અટકળોને વેગ જરૂર મળ્યો છે. રજનીકાંતનું કહેવું છે કે, જો 10 પાર્ટીઓ કોઈ એક વિરૂદ્ધ મળીને ગઠબંધન રચી રહી છે તો કોણ વધારે શક્તિશાળી છે તે સમજી લેવું જોઈએ. જોકે, રજનીએ પોતાની સ્પષ્ટતામાં એમ પણ કહ્યું કે, ભાજપ વિપક્ષ માટે ખતરનાક છે.
અમારા ન્યૂઝ Whatsapp પર વાંચવા અહીં ક્લિક કરો
ભાજપ ખતરનાક હોવા અંગે રજનીએ કહ્યું કંઈક આવું

મંગળવારે પોએસ ગાર્ડન સ્થિતિ પોતાના ઘરે મીડિયા સાથે વાતચીતમાં રજનીએ ભાજપ વિશે પોતાના સ્ટેટમેન્ટને લઈને સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘ગઈકાલે મને સવાલ પૂછાયો હતો કે બધી વિપક્ષી પાર્ટીઓ ભાજપ સામે એકજૂથ થઈ રહી છે, શું ભાજપ એક ખતરનાક પાર્ટી છે. મેં કહ્યું કે જો તે એવું વિચારે છે તો એવું છે. ભાજપ વિપક્ષી પાર્ટીઓ માટે ખતરનાક છે. હું તેના પર મારું અંગત મંતવ્ય નથી વ્યક્ત કરવા ઈચ્છતો.’ હકીકતમાં રજનીકાંતને પૂછવામાં આવ્યું હતું કે, શું તમને લાગે છે કે, ભાજપ ખરેખર એક શક્તિશાળી પાર્ટી છે, જેના કારણે વિપક્ષને તેની સામે મહાગઠબંધન કરવું પડી રહ્યું છે. તેના પર રજનીકાંતે કહ્યું હતું કે, જો 10 પાર્ટીઓ એવું વિચારી રહી છે, તો બની શકે કે તેમના માટે ખરેખર તે સાચું હોય.
પીએમ મોદી વધુ શક્તિશાળી છે: રજની

તે પછી જ્યારે રજનીકાંતને પૂછવામાં આવ્યું કે, મહાગઠબંધન વિરુદ્ધ પીએમ મોદીમાં તમે કોને વધુ શક્તિશાળી માનો છો, તો તેના પર સુપરસ્ટારે કહ્યું કે, ‘હું હાલના સમયમાં ભાજપ કે પીએમ મોદી અંગં કોઈ સ્ટેટમેન્ટ નથી આપવા ઈચ્છતો, પરંતુ હા, જો 10 પાર્ટીઓ કોઈ એકની સામે એકજૂથ થઈ રહી છે, તો તમે સમજી શકો છો કે કોણ વધુ પાવરફુલ છે.’ તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમે ખરેખર માનો છો કે પીએમ મોદી વધુ શક્તિશાળી છે, તો તેના પર તેમણે કહ્યું કે, ‘હા, ખરેખર. કેમકે જેવું મેં કહ્યું કે, જો વિપક્ષ કોઈ એકની સામે ગેંગ બનાવી રહ્યો છે, તો કોણ વધુ પાવરફુલ છે, તેનો અંદાજ લગાવી શકાય છે.’
ભાજપ સાથે ગઠબંધન પર શું કહ્યું?

જ્યારે સુપરસ્ટારને પૂછવામાં આવ્યું કે, તે ભાજપની સાથે સમજૂતી કરશે તો તેના પર તેમણે કહ્યું કે, આ અંગે પછી નિર્ણય થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રજનીકાંતે સોમવારે ચેન્નઈ એરપોર્ટની બહાર પત્રકારો સાથે વાતચીતમાં પણ કંઈક આ જ પ્રકારનો જવાબ આપ્યો હતો, પરંતુ તેનાથી એ સ્પષ્ટ ન થઈ શક્યું કે, આખરે તેઓ કોનું સમર્થન કરી રહ્યા છે.
નોટબંધીના નિર્ણયની કરી હતી ટીકા

જોકે, મંગળવારે આવેલું રજનીકાંતનું સ્ટેટમેન્ટ ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. જોકે, રજનીકાંતે હજુ એ તદ્દન સ્પષ્ટ નથી કર્યું કે, 2019માં તેઓ કોની સાથે ગઠબંધન કરશે. સોમવારે રજનીકાતે ભાજપ સરકારના નોટબંધીના ફેસલાની ટીકા પણ કરી હતી. તેમણે કહ્યું કે, નોટબંધી લાગુ કરવાની રીત ખોટી હતી અને આ વિષય પર વિસ્તારથી ચર્ચા બાદ જ નિર્ણય લેવાવો જોઈતો હતો.
પોતાના જન્મદિવસે રાજકીય પાર્ટીની જાહેરાત કરશે?

ઉલ્લેખનીય છે કે, રજનીકાંતના સમર્થક પોતાના ફેવરિટ સ્ટારની રાજકીય પાર્ટીની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. ફેન્સને આશા છે કે, રજની 12 ડિસેમ્બરે પોતાના જન્મદિવસે પાર્ટીની સત્તાવાર જાહેરાત કરી શકે છે. રજનીકાંત પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે તે રાજકીય પાર્ટી બનાવશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તમિળનાડુની બધી 234 બેઠકો પર ચૂંટણી લડશે. હજુ, તેમણે પોતાની પાર્ટીની રચના નથી કરી.
from Page Array – I Am Gujarat https://ift.tt/2ROH46L
No comments:
Post a Comment