Latest

Tuesday, November 6, 2018

નાસિકઃ શિવના આ મંદિરમાં પરમ ભક્ત નંદી પણ તેમનો સાથ છોડી ગયા

અહીં નંદી નથી બેસતા તેના ભગવાન શિવ સાથે

ભગવાન શિવનું નામ લઈએ એટલે કોઇના પણ મનમાં તેમની જે પણ મૂર્તી બને પછી તે લિંગ સ્વરુપે હોય કે માનવદેહ સ્વરુપે પણ તેમની પાસે તેમનું વાહન અને પરમ ભક્ત નંદી જરુર હોય છે. પરંતુ ભારતમાં એક જ માત્ર મંદિર એવું છે જ્યાં નંદી મહારાજ વગર ભગવાન શંકર બિરાજી રહ્યા છે.

નાસિકનું આ મંદિર છે જ્યોતિર્લિંગ જેટલું જ પ્રખ્યાત

આ મંદિર તીર્થોની નગરી કહેવાતા નાસિકમાં આવેલ છે. દેશમાં ઉજવવામાં આવતા કુંભમેળાના ચાર મુખ્ય સ્થાનો પૈકી એક નાસિક ભગવાન શ્રી રામના નિવાસસ્થાન અને ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના કારણે પ્રખ્યાત છે. આ ઉપરાંત ગોદાવરી નદીના કિનારે આવેલ કપાલેશ્વર મંદિર માટે પણ નાસિક એટલું જ પ્રખ્યાત છે. વિશ્વમાં મહાદેવનું એક માત્ર મંદિર છે જેમાં તેમના પરમ ભક્ત નંદીને સ્થાન નથી.

ભગવાન શિવને લાગ્યું હતું બ્રહ્મ હત્યાનું પાપ

આ પાછળનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યા મુજબ આદીકાળમાં બ્રહ્માના પાંચ મુખ હતા. જેમાંથી ચારમાંથી તો વેદોની રુચાનું ઉચ્ચારણ થતું હતું પરંતુ પાંચમા મુખ દ્વારા નિંદા કરવામાં આવતી હતી. આ નિંદાથી ક્રોધિત થઈ ભગવાન શિવે તેમનું આ મુખ બ્રહ્માજીના શરીરથી દૂર કરી દીધું. જેના કારણે મહાદેવને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું.

કોઈને ન બતાવ્યો ઉપાય ત્યારે નંદીએ આપ્યો રસ્તો

આ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે શિવજીએ ત્રણેય લોકમાં ભ્રમણ કર્યું પણ તેમને કોઈ ઉપાય ન મળ્યો. તેવામાં શિવ પૃથ્વી લોકમાં દંડકારણ્યમાં આવેલ સોમેશ્વર ખાતે આવ્યા. જે નાસિકની બાજુમાં આવેલ છે. અહીં વિચારમગ્ન શિવને ગાયના એક વાછરડાએ બ્રહ્મહત્યામાંથી મુક્ત થવાનો રસ્તો બતાવ્યો. આ વાછરડો બીજો કોઈ નહીં પણ સ્વયં નંદીજી હતા.

રામ કુંડઃ ભગવાન રામ નહાતા હતા અહીં

તેમણે કહ્યું કે અહીંથી પસાર થતી આ ગોદાવરી નદી નાસિકમાં જ્યાં પહોંચે છે ત્યાં રામકુંડ આવેલ છે. આ કુંડમાં ભગવાન રામ પોતાના પંચવટી નિવાસ દરમિયાન દૈનિક સ્નાન કરતા હતા જેથી તેમના શરીરના સ્પર્શથી આ કુંડ એટલો પવિત્ર થઈ ગયો છે કે તેમાં સ્નાન માત્રથી બ્રહ્મહત્યા સમાન ઘોર પાપ પણ નાશ થાય છે. એટલું જ નહીં નંદી સોમેશ્વરથી રામ કુંડ સુધી શિવજી સાથે પણ આવ્યા અને આ તીર્થ દેખાડ્યું.

બ્રહ્મહત્યામાંથી મુક્તિ મળતા શિવજીએ નંદીને માન્યા ગુરુ

શિવજીએ અહીં સ્નાન કર્યું કે તુરંત જ બ્રહ્મહત્યાનું પાપ તેમના મસ્તક પરથી દૂર થયું જેથી પ્રસન્ન થઈને શિવજીએ નંદીને પોતાના ગુરુ માન્યા અને અહીં પોતે શિવલિંગ સ્વરુપે સ્થાપિત થયા. અહીં નંદીને ગુરુ માન્યા હોવાથી તેમણે નંદીને પોતાની સામે ભક્ત સ્વરુપે બેસવાની ના પાડી હતી. આ કારણે આજે પણ આ મંદિરમાં નંદીની મુર્તી જોવા મળતી નથી.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2FiyQm7

No comments:

Post a Comment

Pages