ન્યુમોનિયા, ડાયેરિયા મુખ્ય કારણઃ

મારિષા સાગર શાહ, અમદાવાદઃ તાજેતરમાં જ એક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ભારતમાં પાંચ વર્ષથી નાના બાળકોમાં મહત્તમ મૃત્યુ ન્યુમોનિયા અને ડાયેરિયાને કારણે થાય છે. પોલિયો, ડિપ્થેરિયા, ટીબી, હિપેટાઈટિસ જેવા રોગો માટે બાળકોને સરકારી રસીકરણ કેન્દ્રોમાં રસી અપાય છે પરંતુ ન્યુમોનિયા અને ડાયેરિયા માટે આ કેન્દ્રો પર રસી ઉપલબ્ધ નથી. જે વાલીઓ બાળકને આ બે રોગો માટે રસી અપાવવા માંગતા હોય તેમણે ખાનગી દવાખાનાઓમાં જવું પડે છે. વળી, ખાનગી દવાખાનાઓમાં આ રસીની કિંમત એટલી ઊંચી છે કે ગરીબ કે મધ્યમ વર્ગના ઘણા વાલીઓ રસી પાછળ આટલો ખર્ચ કરી શકવા સક્ષમ હોતા નથી.
15થી 18000 રૂપિયા રસી મૂકાવાનો ખર્ચઃ

ભારતના જ્હોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના ઈન્ટરનેશનલ વેક્સિન એક્સેસ સેન્ટર (IVAC) દ્વારા તૈયાર કરાયેલા ન્યુમોનિયા અને ડાયેરિયા પ્રોગ્રેસ રિપોર્ટ અનુસાર આખા વિશ્વમાં પાંચ વર્ષથી નાના બાળકોમાં ન્યુમોનિયા અને ડાયેરિયાને કારણે થતા મોતમાં ભારત ટોચના ક્રમે છે. ભારતમાં પાંચ વર્ષથી નાના બાળકોના મૃત્યુદરમાં 33 ટકા મોત આ બે ખતરનાક રોગોને કારણે થાય છે. ન્યુમોનિયા સામે રક્ષણ આપવા PCV અને ડાયેરિયા સામે રક્ષણ માટે રોટાવાયરસ રસી હાલમાં મોજૂદ છે. આ બંનેમાંથી એકપણ રસી સરકારી કેન્દ્રોમાં અપાતી નથી. ખાનગી દવાખાનામાં આ બંને રસી મૂકાવો તો એક વખતનો ખર્ચ 5000થી 6000 રૂપિયા જેટલો થાય છે. આવી રસી બાળકને શરૂઆતના મહિનાઓમાં ત્રણ વાર અપાવવી પડે છે. અર્થાત્, પોતાના બાળકને ન્યુમોનિયા અને ડાયેરિયાથી રક્ષણ અપાવવા માટે વાલીઓએ 15થી 18,000 રૂપિયાનો જંગી ખર્ચ ભોગવવો પડે છે.
રસી કેટલી અસરકારક?

શહેરના અગ્રણી પિડિયાટ્રિશન ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું, “ન્યુમોનિયા 90 પ્રકારના બેક્ટેરિયાથી થાય છે. અત્યારે બાળકોને ન્યુમોનિયા માટે પ્રિવેનાર 13 રસી અપાય છે તે ન્યુમોનિયા ફેલાવતા 13 જેટલા બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. આ રસીથી બાળકને ન્યુમોનિયા સામે લગભગ 70 ટકા રક્ષણ મળે છે. એ જ રીતે રોટાવાયરસની રસી પણ ડાયેરિયા સામે 50 ટકા ઈફેક્ટિવ છે.” હવે સંશોધકો પ્રિવેનાર 19 રસી ડેવલપ કરી રહ્યા છે જે બાળકને ન્યુમોનિયા ફેલાવતા 19 પ્રકારના બેક્ટેરિયા સામે રક્ષણ આપશે. ડો. ત્રિવેદીએ કહ્યું કે બાળકોને આ રસી અપાય તો ન્યુમોનિયા કે ડાયેરિયાથી મહદંશે રક્ષણ આપી શકાય છે.
બીજા પરિબળો પણ કામ કરે છેઃ

જો કે રસી અપાય એટલે બાળકને ન્યુમોનિયા કે ડાયેરિયા થાય જ નહિ એવુ ન કહી શકાય. ડો. ત્રિવેદીએ ભારપૂર્વક જણાવ્યું કે આ બંને રોગોમાં બાળકોને બચાવવા માટે રસી ઉપરાંત હાથ ધોવા, ચોખ્ખાઈ જાળવવી, બાળકોને પોષણક્ષમ આહાર આપવો, પીવાનું સ્વચ્છ પાણી અને સ્વચ્છ હવા પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત બોટલના બદલે બ્રેસ્ટ ફીડીંગ કરાવવાથી બાળકને ડાયેરિયાની શક્યતા ઘટાડી શકાય છે. ભારત સરકાર પણ બાળકને ડાયેરિયા થાય ત્યારે ORS અને ઝિંકની ગોળી આપવાની વ્યાપક જાહેરાત કરે છે. જો શરૂઆતના તબક્કામાં બાળકની યોગ્ય કાળજી લેવાય તો તેને મોતના મુખમાંથી બચાવી શકાય છે.
આ વર્ગને રસી વિષે કોઈ ખ્યાલ જ નથીઃ

મુદ્દાની વાત એ છે કે જે વર્ગના બાળકોને ખરેખર આ રસીની જરૂર છે, જ્યાં સ્વચ્છ પાણી કે સ્વચ્છ માહોલ ઉપલબ્ધ નથી તેમને આ રસી ખાનગી દવાખાનામાં મૂકાવવી પોષાય તેમ જ નથી. આ ઉપરાંત ગુજરાત સરકારના હેલ્થ સેન્ટર પર અપાતા મમતા કાર્ડ એટલે કે રસીકરણ કાર્ડમાં પણ PCV કે રોટાવાયરસની રસીનો કોઈ ઉલ્લેખ જ નથી. આથી જે મા-બાપ બાળકની રસી મૂકાવવા માટે સંપૂર્ણપણે સરકારી કેન્દ્ર પર આધારિત છે તેમને આ બે રસી વિષે કોઈ ખ્યાલ જ નથી.
શું કહે છે ગુજરાત સરકાર?

ગુજરાતના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ વિભાગના કમિશનર અને પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતિ રવિએ જણાવ્યું, “સરકારી કેન્દ્રોમાં એવી અનેક રસી ઉપલબ્ધ જે બાળકો માટે આવશ્યક છે. આ વર્ષે અમે રૂબેલાની રસી આપવાની પહેલ કરી છે. હવે ધીમેધીમે રોટાવાયરસ પણ કરીશું. આ કામ તબક્કાવાર અમલી બનાવવામાં આવશે.” તેમણે જણાવ્યું કે આ સરકાર રાજ્યને સ્વચ્છ બનાવવાની તથા જાહેર શૌચમાંથી મુક્ત કરવાના પગલા ભરીને આ રોગો ફેલાતા અટકે તેવા પ્રયત્નો કરી રહી છે.
માતા પિતાએ ક્યારે ચેતવુ જોઈએ?

ન્યુમોનિયા અને ડાયેરિયા બાળકોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતા રોગો છે. બાળક વધારે શ્વાસ લેતુ જણાય, ખાંસી અને તાવ જોવા મળે તો તે ન્યુમોનિયાના મુખ્ય લક્ષણો છે. એ જ રીતે ઝાડા પાણી જેવા પાતળા થાય તો તે ડાયેરિયા હોઈ શકે છે. બાળરોગ નિષ્ણાંત ડો. ચેતન ત્રિવેદી જણાવે છે, “બાળકને કેટલી વાર ઝાડા થયા તેના કરતા કેટલા પ્રમાણમાં થયા તેનું ધ્યાન રાખવુ જોઈએ. બાળકને ડિહાઈડ્રેશન ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવુ. આ ગાળામાં બાળક માંગે તેટલી વાર પાણી પીવા આપવું જોઈએ. બાળક પાણી લેતુ બંધ થઈ જાય તો તરત જ ચેતી જાવ. આંખો ઊંડી જવી, પેશાબ ઓછો આવવો, જીભ સૂકાઈ જવી, ચામડીમાં કરચલી થવી, ઉલ્ટી થવી વગેરે પણ ડાયેરિયાના લક્ષણો છે.” આવા સમયે મા-બાપે તરત જ ડોક્ટર પાસે દોડી જવુ જોઈએ. પ્રારંભિક તબક્કે સારવાર અપાય તો બાળકને બચાવી શકાય છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2K0h5qd
No comments:
Post a Comment