ધીરજ તિવારી
નવી દિલ્હી:આરબીઆઇ પોતાની આગામી બોર્ડ મિટિંગમાં સરકારી માલિકીની બેન્કોના બોર્ડ પરથી પોતાના નોમિનીને પાછા ખેંચી લેવાની માંગણી ફરી દોહરાવે તેવી શક્યતા છે. સરકાર કેપિટલ નોર્મ્સ માટે બેસલ-3 રેગ્યુલેશન લાગુ કરાવવા દબાણ લાવવાની છે ત્યારે તેની સામે આરબીઆઇ પોતાના નોમિનીને દૂર કરવાની નીતિ અપનાવી શકે છે. સરકારે નબળી બેન્કો માટે આરબીઆઇના પ્રોમ્પ્ટ કલેક્ટિવ એક્શન (પીસીએ) ફ્રેમવર્કને હળવું બનાવવાની માંગણી કરી છે.
વાતચીતથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકાર તમામ મોરચે હળવી નીતિ ઇચ્છતી હોય તો સેન્ટ્રલ બેન્કે એક્ઝિક્યુટિવની કામગીરીથી પોતાને દૂર રાખવી જોઈએ.”આરબીઆઇના બોર્ડની મિટિંગ 19 નવેમ્બરે મળવાની છે. ઇટીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે સરકાર આરબીઆઇ એક્ટના સેક્શન 7 હેઠળ લગભગ એક ડઝન ઇશ્યૂ અંગે ચર્ચા કરવા માંગે છે. આ સેક્શનના કારણે સરકાર જાહેર હિતના મુદ્દા ઉઠાવી શકે છે. સૂત્રોએ ઇટીને જણાવ્યું હતું કે ધિરાણ માટે અવકાશ પેદા કરવા સરકાર બેન્કો માટે કેપિટલ રુલ્સ હળવા બનાવવાનો મુદ્દો ઉઠાવશે.
રાષ્ટ્રીયકૃત બેન્કો અને એસબીઆઇના કિસ્સામાં આરબીઆઇના નોમિની ડિરેક્ટર મેનેજમેન્ટ કમિટીના સભ્ય હોય છે જેમની પાસે ચોક્કસ મર્યાદાથી ઉપર ક્રેડિટ પ્રપોઝલ અંગે નિર્ણય લેવાનો અધિકાર હોય છે. ચાલુ વર્ષમાં બેન્કિંગ રેગ્યુલેટરે ફાઇનાન્સ અંગેની સંસદીય સમિતિને જણાવ્યું હતું કે તે સરકારી બેન્કોના બોર્ડ પરથી તેના અધિકારીઓને દૂર કરવા માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે.
આરબીઆઇનો મત છે કે હિતની ટક્કર ટાળવા માટે નોમિની ડિરેક્ટરને બેન્ડના બોર્ડ પર મેનેજમેન્ટ કમિટિમાં સ્થાન આપવું ન જોઈએ જે ક્રેડિટ નિર્ણય લે છે. ફાઇનાન્સ મંત્રાલયે આ વિનંતી ફગાવી દીધી હતી. આરબીઆઇ પોતાની ડિમાન્ડ રજૂ કરશે અને સરકારી બેન્કોને ચલાવવાની કામગીરીમાંથી નીકળી જાય તેવી શક્યતા છે.
સરકાર બેસલ 3 નિયમો પ્રમાણે કેપિટલ રેગ્યુલેટરી નિયમોને સુસંગત બનાવવાનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવે તેવી શક્યતા છે. તેનું કહેવું છે કે આરબીઆઇની કેપિટલ ગાઇડલાઇન આંતરરાષ્ટ્રીય ફ્રેમવર્કની સરખામણીમાં લગભગ 100 બેસિસ પોઇન્ટ જેટલી વધારે સખત છે. આરબીઆઇએ પ્રિસ્ક્રાઇબ કર્યા પ્રમાણે મિનિમમ કોમન ઇક્વિટી (સીઇટી) ટિયર-1 રેશિયો 5.5 ટકા છે જે બેસલ-3 નિયમો પ્રમાણે 4.5 ટકા છે. સરકારની ગણતરી પ્રમાણે આરબીઆઇ નિયમોને હળવા કરે તો પ્રોવિઝનિંગની કોઈ પણ વધારાની જરૂરિયાત વગર 6 લાખ કરોડનું ધિરાણ કરી શકાશે.
સરકાર બેસલ કમિટી ઓન બેન્કિંગ સુપરવિઝનના 2015ના એક રિપોર્ટને ટાંકશે, જેમાં જણાવાયું હતું કે ભારતીય ફ્રેમવર્કનાં કેટલાંક પાસાં બેસલ ફ્રેમવર્ક કરતાં વધારે રૂઢિચુસ્ત છે. તેમાં મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટ માટે વધુ જોગવાઈ અને રિસ્ક વેઇટેજનો સમાવેશ થાય છે. બેસલ 3 ફ્રેમવર્કમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડને વધુમાં વધુ 75 ટકા વેઇટેજ અપાય છે જ્યારે ભારતીય ફ્રેમવર્કમાં મહત્તમ 125 ટકા રિસ્ક વેઇટ અપાય છે.
]]>
from Page Array – I Am Gujarat https://ift.tt/2OJjWV5
No comments:
Post a Comment