Latest

Wednesday, December 5, 2018

તમે જે શાકભાજી ખાવ છો તે ઉગાડવા આવુ ગંદુ પાણી વપરાય છે

આવુ ઝેરી છે સાબરમતીનું પાણીઃ

પોલ જ્હોન, અમદાવાદઃ અમદાવાદની ઓળખ સમી સાબરમતી નદીમાં ભારોભાર માત્રામાં વિષ તત્વો (ન્યુરોટોક્સિક મેટલ્સ) મળી આવ્યા છે. મ્યુનિસિપાલિટીનો સુએજ પ્લાન્ટ અને ઉદ્યોગોના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દાવો કરે છે કે તેમણે કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા બાદ નદીમાં ઠાલવ્યું છે પરંતુ હકીકત તો કંઈક બીજુ જ દર્શાવે છે. ભયજનક વાત એ છે કે સાબરમતીના કાંઠે વસેલા 43 ગામના સેંકડો ખેડૂતો આવા ગંદા પાણીમાંથી શાકભાજી અને પાક ઉગાડે છે.

અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

હેવી મેટલ્સનું પ્રમાણ અનેકગણુ વધારેઃ

હાલમાં એશિયા પેસિફિક નેટવર્ક (APN)ના કોલાબોરોટિવ રિજનલ રિસર્ચ પ્રોગ્રામ (CRRP) અને IIT-ગાંધીનગરના અર્થ સાયન્સીસ વિભાગ દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં માલૂમ પડ્યું કે સાબરમતીના પાણીમાં કોપરનું પ્રમાણ BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ)એ નિશ્ચિત કરેલી મર્યાદા કરતા સાતથી નવ ગણુ વધારે છે. નિકલનું પ્રમાણ 2થી 5 ગણુ વધારે, આયર્ન 4થી 5 ગણુ વધારે, સેલેનિયમ 4થી 10 ગણુ વધારે અને ક્રોમિયમ 8થી 9 ગણુ વધારે છે.

ખેડૂતોને પહોંચાડાય છે આવુ પાણીઃ

ગુજરાત સરકારે ટ્રીટ કરેલા નકામા પાણીના ફરી ઉપયોગ માટે પોલીસી બનાવી છે. તેમાં ઘણી STP તેમનું ટ્રીટ કરેલુ પાણી ખેડૂતોને આપે છે. આ પાણી અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને પહોંચાડાય છે. GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના અધિકારીએ જણાવ્યું કે ઘણી STP હેવી મેટલ્સને ફિલ્ટર કરવા સક્ષમ નથી. બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના ઈકોલોજી રિસર્ચ લેબોરેટરીએ જણાવ્યું કે ખેતી માટે વપરાતા આ પાણીના ઝેરી તત્વો શાકભાજીમાં જોવા મળે છે. તમે જે કોબી, પાલક, ભીંડા, રીંગણ ખાવ છો તેમાં આવા વિષતત્વો મોજૂદ હોઈ શકે છે.

જાગૃતિનો અભાવઃ

આ સંશોધન BHUના આર.કે શર્મા અને એમ. અગ્રવાલ તથા યુકેની સસેસ્ક યુનિ.ના એફ. માર્શલ દ્વારા હાથ ધરાયુ હતુ. આ પ્રોજેક્ટના ભાગરૂપ IIT ગાંધીનગરના પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યું કે નકામા પાણીમાં રસાયણો એ શહેરના પર્યાવરણમાં હેવી મેટલ્સની હાજરી માટે મુખ્ય કારણ છે. તેમનું જણાવવું છે કે રસાયણયુક્ત પાણીનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવા અંગે હજુ પણ જાગૃતિનો અભાવ છે. ઉદ્યોગોએ સમજવું જોઈએ કે હેવી મેટલ જમીન, રસ્તાની ધૂળ અને પાણીમાં પણ ભળે છે. કુમારે વધુમાં જણાવ્યું કે હેવી મેટલ્સ પર્યાવરણમાં ભળી શકતા નથી અને આથી જીવોમાં ભેગા થાય છે. આ વિષતત્વો કેન્સર માટે જવાબદાર છે. ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા આ વિષતત્વોને કાબુમાં રાખવા ચેતીને પગલા લેવા જરૂરી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2PkSE86

No comments:

Post a Comment

Pages