દીપશિખા સિકરવાર
નવી દિલ્હી:આવકવેરા વિભાગ માટે ચાલુ નાણાકીય વર્ષ ઘણું સારું રહ્યું છે અને ટેક્સ ડિપાર્ટમેન્ટ ઝડપી રિફંડની ચુકવણી સાથે પ્રામાણિક કરદાતાને પ્રોત્સાહિત કરવા સક્રિય છે. આવકવેરા વિભાગે 30 ડિસેમ્બરે 2.4 કરોડ કરદાતાને રિફંડ ઇશ્યૂ કર્યા છે, જે અગાઉના વર્ષની તુલનામાં 53 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ સાથે સરકાર રાજકોષીય ખાધના લક્ષ્યાંકને પહોંચી વળવા ટેક્સ રિફંડમાં વિલંબ કરશે એવી અટકળોને આવકવેરા વિભાગે ખોટી ઠેરવી છે.
અત્યાર સુધીમાં ₹1.31 લાખ કરોડના રિફંડ ચૂકવાયા છે, જે અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં 17.02 ટકા વૃદ્ધિ દર્શાવે છે. અગાઉ સરકાર રાજકોષીય ખાધના લક્ષ્યાંકને અંકુશમાં રાખવા નાણાકીય વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં રિફંડ ચૂકવવામાં વિલંબ કરતી હતી.
ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધનો લક્ષ્યાંક જીડીપીના 3.3 ટકા નિર્ધારિત કરાયો છે. નવેમ્બરના અંતે રાજકોષીય ખાધ સમગ્ર વર્ષના અંદાજના 114.8 ટકાએ પહોંચી હતી. તેને લીધે બજેટનો લક્ષ્યાંક ચૂકી જવાની આશંકા ઊભી થઈ છે. એટલે સરકાર રાજકોષીય ખાધનો લક્ષ્યાંક હાંસલ કરવા સબસિડીની ચુકવણીમાં વિલંબ અથવા રિફંડનું પેમેન્ટ ધીમું કરશે એવી અટકળો હતી.
આવકવેરા રિટર્નના ઓનલાઇન ફાઇલિંગ અને પ્રોસેસિંગને કારણે પણ રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવવામાં મદદ મળી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના અધિકારીના
જણાવ્યા અનુસાર “અત્યાર સુધીમાં આ સૌથી વધુ રિફંડની ચુકવણી છે. ટેક્સ વિભાગે રિફંડના સમયસર પેમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરા
રિટર્ન 30 ડિસેમ્બર સુધીમાં રેકોર્ડ 43 ટકા વધીને 6.21 કરોડે પહોંચ્યા છે. ચાલુ વર્ષે સરકારને 7 કરોડ રિટર્ન ફાઇલ થવાનો અંદાજ છે. સૌથી વધુ 3 કરોડ ITR-1 રિટર્ન ફાઇલ
કરાયાં છે. ITR-1 સૌથી સરળ રિટર્ન છે.
31 ડિસેમ્બર 2018 સુધીમાં પ્રત્યક્ષ વેરાનું કુલ કલેક્શન 14.1 ટકા વધીને ₹8.74 લાખ કરોડ થયું છે. સમીક્ષા હેઠળના ગાળાના વ્યક્તિગત આવકવેરાની કુલ રકમ 17.5 ટકા અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન 14.76 ટકા વધ્યા છે. રિફંડના એડ્જસ્ટમેન્ટ પછી પ્રત્યક્ષ વેરાની ચોખ્ખી આવકમાં 13.62 ટકા વધારો નોંધાયો છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે
₹11.5 લાખ કરોડની પ્રત્યક્ષ વેરાની આવકનો અંદાજ નિર્ધારિત કર્યો હતો, જે 2017-’18ના ₹10 લાખ કરોડની તુલનામાં 14 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Qq7smd
No comments:
Post a Comment