Latest

Tuesday, January 8, 2019

ગુજરાતના આ રમણીય સ્થળ વિષે ઘણા ઓછા લોકો જાણે છે, વીકેન્ડમાં અહીં જવાનો પ્લાન બનાવો

દાંડીઃ

દાંડી કૂચ વિષે આપણે બધા જ જાણીએ છીએ. ગાંધી બાપુએ અમદાવાદથી નવસારી નજીક આવેલા દાંડી સુધી કૂચ કરી અંગ્રેજ સરકારના નમકના કાયદાનો વિરોધ કર્યો હતો. દાંડીનું ઐતિહાસિક મહત્વ તો આપણને ખબર છે પરંતુ દાંડી કેટલું સુંદર છે અને ત્યાં શું શું જોવા જેવુ છે એ જાણીને તમને વીકેન્ડમાં દાંડી ફરવા જવાનું ચોક્કસ મન થઈ જશે.

કેટલું દૂર છે?

દાંડી અમદાવાદથી લગભગ 300 કિ.મી દૂર છે. તમે નેશનલ એક્સ્પ્રેસ વે 1 અથવા તો નેશનલ હાઈવે 48 પકડો તો લગભગ પોણા પાંચ કલાકમાં ડ્રાઈવ કરીને દાંડી પહોંચી શકો. બરોડાથી આ જગ્યા 190 કિ.મી દૂર છે અને NH 48 તથા 64 થી પહોંચતા લગભગ 3 કલાકનો સમય લાગે છે. સુરતથી દાંડી માત્ર 31 કિ.મી દૂર છે અને એક કલાકમાં પહોંચી શકાય છે.

આ રીતે પણ પહોંચી શકાયઃ

નવસારી રેલવે સ્ટેશનથી તમે ટેક્સી કે રિક્ષા કરીને પણ દાંડી પહોંચી શકો છો. GSRTCની બસો પણ દાંડી ગામ સુધી જાય છે. બીચ અહીંથી અડધો કિ.મી જ દૂર છે. આથી તમે ચાલીને પણ બીચ સુધી પહોંચી શકો.

દાંડી બીચઃ

દાંડીનો દરિયાકિનારો ખૂબ જ સુંદર છે. અહીં બીજા બીચની સરખામણીએ ઓછા પ્રવાસીઓ આવતા હોવાથી તે ખાસ્સો ચોખ્ખો છે. અહીં દરિયાની લહેરો સાથે કચરો તણાઈને આવતો નહિ દેખાય. તમે બીચ પર બેસીને નજર પહોંચે ત્યાં સુધી દરિયો જોવાની મજા માણી શકશો. વળી, અહીં વ્યવસ્થિત પાર્કિંગ લોટ પણ છે. દરિયા કિનારે વેપારીઓ નાસ્તા પણ વેચે છે. આથી બીચ પર બેઠા બેઠા તમને ખાવા પીવાની મજા પડી જશે. ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે એક દિવસની પિકનિક માટે આ સારી જગ્યા છે.

સૈફી વિલાઃ

દાંડી નજીક ઐતિહાસિક મહત્વ ધરાવતું આ એક સ્થળ જોવા જેવું છે. અહીં દાંડી કૂચનો ઈતિહાસ જીવંત થતો જોવા મળશે. મહાત્મા ગાંધી નમકનો કાયદો તોડતા પહેલા અહીં રોકાયા હતા. જો કે સરકારે આ જગ્યાના સમારકામ માટે હવે થોડુ વધારે ધ્યાન આપવું પડે તેવુ લાગે છે. ઘણા સમયથી આ જગ્યા વ્યવસ્થિત મેઈનટેન કરવામાં આવી નથી. દાંડી નજીક આલીશાન સત્યાગ્રહ મેમોરિયલ પણ બની રહ્યું છે. અત્યારે ત્યાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2REWAp6

No comments:

Post a Comment

Pages