Latest

Sunday, January 6, 2019

ડેટ ફંડ માટે સાઇડ-પોકેટિંગનો વિકલ્પ સમસ્યાનો ઉકેલ લાવશે?



67381260

સંકેત ધાનોરકર

IL&FS થોડા મહિના પહેલાં ડેટ પેમેન્ટમાં ડિફોલ્ટ થઈ ત્યારે કંપનીની સિક્યોરિટીઝ ધરાવતા ડેટ ફંડ્સને ફટકો પડ્યો હતો. વર્ષ દરમિયાન તેમણે કરેલો નફો ધોવાઈ ગયો હતો. સમગ્ર પ્રકરણને કારણે નિયમનકર્તાને કેટેગરી અંગે પુન: વિચારણાની ફરજ પડી હતી. રોકાણકારોના હિતના રક્ષણ માટે ડેટ ફંડ્સને બાકીના પોર્ટફોલિયોથી સમસ્યા ધરાવતી એસેટ્સને અલગ કરવાની મંજૂરી મળી છે, જે સાઇડ-પોકેટિંગ તરીકે પણ ઓળખાય છે. જોકે, સુરક્ષાનું આ પગલું આવાં ફંડ્સને પરેશાન કરતી સમસ્યાનો ઉકેલ લાવશે?

ગુણવત્તાસભર એસેટ્સને અલગ કરવી

ઇન્શ્યોરન્સ કંપની ડિફોલ્ટ થાય અથવા તેનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થાય ત્યારે ડેટ માર્કેટમાં ઇન્સ્ટ્રુમેન્ટના મૂલ્યમાં તાત્કાલિક ઘટાડો થાય છે. આવી ઘટના બને ત્યારે આ સિક્યોરિટીઝમાં રોકાણ કરનારા ડેટ ફંડ્સે આ બોન્ડના મૂલ્યમાં ઘટાડો કરવો પડે છે, જે સમગ્ર ફંડની NAVમાં ઘટાડો કરે છે. મુશ્કેલીમાં હોય એવા બોન્ડ્સમાં ઝડપથી તરલતા ઘટે છે.

તેમનું કોઈ લેવાલ નહીં હોવાથી બજારમાં આવા બોન્ડ્સ સરળતાથી વેચી શકાતા નથી. બોન્ડ્સને સંપૂર્ણ માંડવાળ કરવામાં ન આવે અને રોકાણકારો નાણાં પરત નહીં મળવાની ચિંતામાં રિડેમ્પશન માટે બોન્ડ પરત કરવાનું શરૂ કરે તો ડેટ ફંડે પોર્ટફોલિયોમાં સામેલ વધુ લિક્વિડ, સારી ગુણવત્તા ધરાવતા શેર્સ વેચવાની ફરજ પડે છે.

ડેટ ફંડ્સ સારી ગુણવત્તાની વધુ એસેટ્સનું વેચાણ કરે તો તેના પોર્ટફોલિયોમાં મુશ્કેલીવાળી એસેટ્સનું પ્રમાણ વધી જશે. જેની ફંડની રિસ્ક અને રિટર્ન પ્રોફાઇલ પર વધુ અસર થઈ શકે. સ્કીમ બેડ એસેટ્સને સંપૂર્ણ માંડવાળ કરે તો એ ફંડમાં પ્રવેશવા નવા રોકાણકારો માટેનો વિકલ્પ ખુલ્લો રાખશે. જેથી તેઓ નીચી NAV અને ડિસ્ટ્રેસ્ડ એસેટ્સમાં રિકવરીનો લાભ લઈ શકે. 50 ટકા નાણાં પણ રિકવર થાય તો તેને નવા રોકાણકારો સાથે વહેંચવામાં આવશે. જેની વર્તમાન રોકાણકારો પર પ્રતિકૂળ અસર થશે.

સાઇડ-પોકેટિંગ આ સમસ્યાનો ઉકેલ પૂરો પાડે છે. તે ડેટ ફંડને બે ભાગમાં વહેંચે છે: નવા ફંડમાં માત્ર સમસ્યાવાળી એસેટ્સ રહેશે અને વર્તમાન ફંડમાં સારી ગુણવત્તાવાળી એસેટ્સ હશે. મુશ્કેલી ધરાવતી એસેટ્સને સંપૂર્ણ અલગ કરવાથી ફંડના પોર્ટફોલિયોની સારી એસેટ્સને સુરક્ષા મળશે. જેમ કે, કોઈ ફંડની NAV ₹100 છે. હવે કોઈ કંપનીના બોન્ડ ડિફોલ્ટની સ્થિતિમાં ફંડ એ હિસ્સાને અલગ ફંડમાં ફેરવે છે. આ પ્રક્રિયા પછી બાકીના પોર્ટફોલિયોનું મૂલ્ય ₹96 હોય તો એ આ જ NAV પર કામગીરી ચાલુ રાખશે.

સ્વચ્છ એસેટ્સ ધરાવતું આ ફંડ નોંધપાત્ર પ્રમાણમાં રિડેમ્પશન સામે સુરક્ષિત હોય છે. મૂળ સ્કીમના યુનિટ્સ ધરાવતા રોકાણકારોએ આ ફંડની ગુણવત્તા, લિક્વિડ એસેટ્સના વેચાણ અને ફંડની NAVમાં વધુ ઘટાડા અંગે ચિંતા કરવાની રહેતી નથી. રોકાણકાર રિડેમ્પશન કરે ત્યારે તેને ‘સ્વચ્છ’ ફંડની NAV મળશે. કેનેરા રોબેકો મ્યુ ફંડના ફિક્સ્ડ ઇન્કમ હેડ અવનિશ જૈને જણાવ્યું હતું કે, “પોર્ટફોલિયોને અલગ કરવાથી સમગ્ર ફંડની કામગીરી કે પ્રદર્શન ખરાબ થતું નથી.”

રોકાણકારોને ખરાબ એસેટ્સ ધરાવતા ફંડના યુનિટ્સની ફાળવણી કરવામાં આવે છે. સમસ્યા ધરાવતા બોન્ડ્સનું વાસ્તવિક બજારમૂલ્ય નિર્ધારિત ન થાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે સાઇડ-પોકેટિંગ સ્થગિત કરાય છે. કોઈ રિકવરી નોંધાય તો રોકાણકારો થોડા સમય પછી સાઇડ-પોકેટમાં ફાળવાયેલા યુનિટ્સ વાજબી મૂલ્ય પર વેચી શકે છે. આ લાભ પ્રારંભિક માંડવાળ વખતે મ્યુ ફંડ યુનિટ્સ જાળવી રાખનારા રોકાણકારોને જ મળે છે. એનો અર્થ એ થયો કે, આ પ્રક્રિયામાં ધ્યાન રાખવામાં આવે છે કે ક્રેડિટ ડિફોલ્ટ પછી ફંડમાં પ્રવેશેલા રોકાણકારોને રિકવરીનો વધુ પડતો લાભ ન મળે.

સુરક્ષાનું પગલું કે ભ્રમ?

સાઇડ-પોકેટિંગની સુવિધા નાના રોકાણકારને કામચલાઉ રાહત આપી શકે, પણ નિષ્ણાતોના મતે આ બાબત ડેટ ફંડ્સને સુરક્ષિત બનાવતી નથી. ફંડ્સઇન્ડિયાના મ્યુ ફંડ રિસર્ચ હેડ વિદ્યા બાલાના જણાવ્યા અનુસાર “સાઇડ-પોકેટિંગ માત્ર સારા સ્વાસ્થ્યનો ભ્રમ ઊભો કરે છે. તેને લીધે મજબૂત એસેટ્સ અંગેની પારદર્શકતા વધે છે. ડેટ ફંડ્સ રોકાણના મેન્ડેટને વળગી રહે અને પોર્ટફોલિયોમાં સારી તરલતા જાળવે તો જ તે સુરક્ષિત બની શકે.” કેટલાકના મતે ‘સાઇડ-પોકેટિંગ’ની બીજી બાજુ પણ છે.

ફંડ મેનેજર્સને સાઇડ-પોકેટિંગની સેફ્ટી નેટ આપવામાં આવે તો તેઓ રોકાણકારોનાં નાણાં સાથે વધુ જોખમ લેશે. એટલે તેઓ ઊંચી યીલ્ડની શોધમાં નીચી ગુણવત્તાની સિક્યોરિટીઝમાં રોકાણ કરવા પ્રેરાશે. જોકે, ફંડ હાઉસિસ નિયમિત રીતે આ વિકલ્પનો ઉપયોગ નહીં કરે. કારણ કે આ બાબત ફંડના રિસ્ક મેનેજમેન્ટ માળખા માટે યોગ્ય નથી. જૈનના જણાવ્યા અનુસાર “રોકાણકારો એકાદ ઘટના માટે ફંડને માફ કરી શકે, પણ આવી ઘટના વારંવાર બને તો ફંડ પર તેમનો ભરોસો નહીં રહે.”



from Page Array – I Am Gujarat http://bit.ly/2RgTOaA

No comments:

Post a Comment

Pages