ચોથી વન-ડેમાં ભારતનો 8 વિકેટે પરાજય

હેમિલ્ટનઃ અહીં રમાઈ રહેલી ચોથી વનડે મેચમાં ભારતીય ટીમે આપેલા 93 રનના ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે હેન્રી નિકોલસ 30 રન અને રોસ ટેલરે 37 રનની અણનમ ઈનિંગની મદદથી14.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 93 રન બનાવી લીધા હતા. આ સાથે મેજબાન ટીમે ભારતને 8 વિકેટથી હરાવીને સિરીઝમાં પહેલી જીત નોંધાવી હતી.
ભુવીએ ઝડપી બે વિકેટ

સાવ ટૂંકા એવા લક્ષ્યને ડિફેન્ડ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમને ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં સફળતા અપાવી હતી. ભુવીએ 5 ઓવરમાં 1 મેડન સાથે 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાયના અન્ય કોઈ ભારતીય બોલર્સને સફળતા મળી નહોતી.
ભારતની ટીમ 92 રને ઓલઆઉટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી વનડે મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કીવી ટીમ માટે સારો સાબિત થયો હતો. વિરાટ કોહલી અને ધોની વિના રમવા માટે મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની ખૂબ જ ખરાબ શરૂઆત રહી હતી. ભારતના ટોપ અને મિડલ ઓર્ડર બંને કીવી બોલિંગ આક્રમણ સામે પત્તાના મહેલની જેમ ધરાશાઈ થઈ ગયા હતા. ભારતીય ટીમ માત્ર 30.5 ઓવરમાં 92 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ભારતનો વનડેમાં સાતમો સૌથી લોએસ્ટ સ્કોર છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ભારતની બેટિંગ લાઈન ધરાશાયી

રોહિત શર્માની કેપ્ટનશિપમાં હેમિલ્ટનમાં રમવા માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ધબડકો કર્યો હતો. ભારતે માત્ર 35 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમના બંને ઓપનર્સ ( રોહિત શર્મા 7 રન, શિખર ધવન 13 રન ) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. શુભમન ગિલ પણ 9 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક અને કેદાર જાધવ અનુકામે 0,0 અન 1 રન બનાવીને આઉટ થઈ હતા. હાર્દિક પંડ્યાએ ટીમનો સ્કોર વધારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ 16 રન બનાવીને બોલ્ટની અંતિમ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. સ્પીનર્સ કુલદીપ યાદવ અને યજુર્વેન્દ્ર ચહલે મહત્વપૂર્ણ 25 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 80 સુધી પહોંચાડ્યો હતો. ચહલે ભારત માટે સૌથી વધારે 18 રન બનાવ્યા હતા.
ટ્રેન્ટ બોલ્ટની 5 વિકેટ

ન્યૂઝીલેન્ડની ટીમ માટે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો. ટ્રેન્ડ બોલ્ટે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 10 ઓવરમાં 4 મેડન ઓવર નાખીને 5 વિકેટ ઝડપી હતી. તો કોલિન ડિ ગ્રાન્ડહોમીએ પણ 9 ઓવરમાં 2 મેડન સાથે 3 વિકેટો ઝડપી હતી. બંને બોલર્સે ધાતક બોલિંગ વડે ભારતીય બેટિંગ લાઈનઅપને તોડી નાખી હતી. સ્પિનર ટોડ એસ્લેએ કુલદીપને વિકેટ ઝડપીને ભારતની પાર્ટનરશિપ તોડી હતી. જ્યારે જીમ્મી નિશામે 1 વિકેટ ઝડપી હતી.
કોહલી અને ધોની વિના મેદાનમાં ઉતરી ટીમ

ઉલ્લેખનીય છે કે પાંચ વનડેની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડમાં આવેલી ટીમ ઈન્ડિયાએ પહેલાથી 3-0ની લીડ લઈને સિરીઝ પોતાના નામે કરી છે. સિરીઝ જીત્યા બાદ વિરાટ કોહલીને બાકીની બે મેચોમાંથી આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની સ્નાયુ ખેંચાવાની ફરિયાદ બાદથી ટીમની બહાર છે. એવામાં બંને દિગ્ગજો વિના જ ભારતીય ટીમ રમવા માટે ઉતરી હતી.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2MGhlMk
No comments:
Post a Comment