Latest

Wednesday, April 17, 2019

ઉત્તરપ્રદેશ પ્રવાસ માટે ‘ઉત્તમ પ્રદેશ’: પર્યટકોની સંખ્યા 22% વધી



68919858

અમન શર્મા

નવી દિલ્હી:ઉત્તરપ્રદેશ ધીમેધીમે પર્યટકોનું માનીતું રાજ્ય બની રહ્યું છે. કુંભ મેળા પહેલાં એટલે કે 2018માં UP ખાતે પર્યટકોની સંખ્યામાં 22 ટકા ઉછાળો નોંધાયો હતો, પણ તેનું કારણ માત્ર તાજમહાલ ન હતો. UP સરકારના આંકડા દર્શાવે છે કે, ગયા વર્ષે આગરાના વિશ્વવિખ્યાત તાજમહાલ કરતાં વધુ લોકોએ રામ જન્મભૂમિની મુલાકાત લીધી હતી.

યોગી આદિત્યનાથ સરકારના ‘ધાર્મિક ટૂરિઝમ’ અને રામમંદિર મુદ્દો ફરી ગરમ થવાને કારણે અયોધ્યા અને વૃંદાવનમાં પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ET પાસે UP સરકારે તૈયાર કરેલા પર્યટકોના સત્તાવાર આંકડા છે. તેના આધારે ગયા વર્ષે 28.8 કરોડ પર્યટકોએ UPની મુલાકાત લીધી હતી, જે 2017ની તુલનામાં 21 ટકા વૃદ્ધિ દર્શ‌ાવે છે. 2017માં 23.75 કરોડ પર્યટકોએ રાજ્યની મુલાકાત લીધી હતી.

UP સરકારના દાવા મુજબ આ પર્યટકોમાંથી 38 લાખ વિદેશી છે, જે છ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ખાસ કરીને જે સ્થળોએ પર્યટન વધી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. અયોધ્યા, વૃંદાવન અને ગોવર્ધન જેવાં ધાર્મિક સ્થળોએ પર્યટકોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે.

UP સરકારના આંકડા મુજબ 2018માં 1.92 કરોડ પર્યટકોએ અયોધ્યાની મુલાકાત લીધી હતી, જે 2017ના 1.75 કરોડની તુલનામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. જોકે, આ પ્રવાસીઓમાં મોટા ભાગના સ્થાનિક હતા. 2018માં લગભગ 1.06 કરોડ પર્યટકો આગ્રા ગયા હતા, જે અગાઉના વર્ષની તુલનામાં લગભગ ચાર ટકા વૃદ્ધિ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે રામમંદિરનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો હતો. UP સરકારે 2017 અને 2018માં દિવાળીની ભવ્ય ઉજવણી કરી હતી. ઉપરાંત, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા કરોડો રૂપિયા ખર્ચ્યા હતા.

વૃંદાવન અને ગોવર્ધનમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગોવર્ધનના નામે પ્રચલિત સ્થળ કૃષ્ણના પરાક્રમ માટે જાણીતું છે. આ એ જ જગ્યા હોવાનું મનાય છે જ્યાં કૃષ્ણએ ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો.

UP સરકારે ગયા વર્ષે આ સ્થળે હેલિકોપ્ટર સેવાની શરૂઆત કરી હતી. ગયા વર્ષે 1.6 કરોડ લોકોએ ગોવર્ધનનાં દર્શન કર્યાં હતાં, જે આંકડો 2017માં 1.6 કરોડ હતો. વૃંદાવનમાં પણ પ્રવાસીઓની સંખ્યા 2017ના 1.38 કરોડથી વધીને 1.49 કરોડ થઈ છે. UP સરકારે કૃષ્ણ સર્કિટને વિકસાવવા નોંધપાત્ર ખર્ચ કર્યો છે.

સત્તાવાર અહેવાલ મુજબ UPના પાટનગર લખનૌની મુલાકાત લેનારા લોકોની સંખ્યા પણ 2017ના 50 લાખની તુલનામાં લગભગ બમણી વૃદ્ધિ સાથે એક કરોડે પહોંચી હતી. જોકે, વારાણસીના પર્યટકોનો આંકડો 62 લાખથી થોડો વધીને 64 લાખ થયો હતો. વિદેશી પર્યટકો માટે આગ્રા, વારાણસી અને સારનાથ સૌથી મોટાં આકર્ષણ રહ્યાં હતાં. વારાણસી અને સારનાથમાં અનુક્રમે 3.5 લાખ અને 4.35 લાખ પર્યટકો આવ્યા હતા. જ્યારે ફતેહપુર સિક્રીમાં 1.74 લાખ અને પ્રયાગરાજમાં 1.46 લાખ પ્રવાસી પહોંચ્યા હતા.



from I Am Gujarat http://bit.ly/2Pfvhy0

No comments:

Post a Comment

Pages