Latest

Tuesday, April 16, 2019

લાખના બાર હજાર કરાવનારી કંપનીઓમાં ફરી લેવાલ



68901158

ભાર્ગવ ત્રિવેદી

અમદાવાદ: શેરબજારની ગતિ ન્યારી છે. રિટેલ રોકાણકારોને ના સમજાય એવી ઘણી બાબતો બજારમાં જોવા મળતી હોય છે અને સરવાળે નાના રોકાણકારોના નાણા ડૂબતાં હોય છે. ગયા કેલેન્ડર વર્ષમાં કેટલીક કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સ સંબંધી યેન-કેન કારણે ઓવરનાઈટ મંદીનું મોજું ફરી વળ્યું હતું અને રોકાણકારોના લાખના બાર હજાર થઇ ગયા હતા.

આ જ કંપનીઓના શેર તેમના તળિયાં બનાવીને ફરીથી સતત સુધારો દર્શાવી રહ્યાં છે. કંપનીના શેરમાં અવિરત ઘટાડા બાદ કંટાળીને શેર વેચી ચૂકેલા રોકાણકારો માટે પસ્તાવા સિવાય કોઇ છૂટકો નથી. આ કંપનીઓમાં કેટલાંક અગ્રણી બ્રોકરેજિસ હાઉસના કોલ્સ પણ અવળા પડ્યાં હતા અને રોકાણકારોએ જંગી નુકસાન ઉઠાવવું પડ્યું હતું. સોમવારે આમાંની કેટલીક કંપનીઓએ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો અને સુધરનાર શેર્સમાં અગ્રણી રહી હતી.

આવી કંપનીઓમાં 8kમાઈલ્સ, પીસી જ્વેલર્સ, ઈન્ફિબિમ અને મનપસંદ બેવરેજિસનો સમાવેશ થાય છે. સોમવારે આ કંપનીઓના શેર્સે 12 ટકા સુધીનો ઊંચો એક દિવસીય સુધારો દર્શાવ્યો હતો. જો છેલ્લાં કેટલાંક ટ્રેડિંગ સત્રોમાં આ કંપનીઓના દેખાવ પર નજર નાખીએ તો જણાય છે કે તેઓ સતત લેવાલી દર્શાવી રહી છે અને છેલ્લાં કેટલાંક સપ્તાહોની નવી ટોચ બનાવી રહી છે.

આ કાઉન્ટર્સે તેમણે દર્શાવેલા વાર્ષિક તળિયાથી નોંધપાત્ર રિટર્ન પણ દર્શાવ્યું છે. જેમકે પીસી જ્વેલર્સનો શેર તેની ₹601ની સર્વોચ્ચ સપાટી પરથી વિપરીત અહેવાલ વચ્ચે તૂટીને ₹47 જેટલો થઇ ગયો હતો. તે તેની ટોચથી 92 ટકાનું કરેક્શન દર્શાવતો હતો.

જોકે ત્યારબાદ કાઉન્ટરે યુ-ટર્ન દર્શાવ્યો હતો અને સોમવારે 12 ટકાથી વધુ સુધરી ₹128ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેના તળિયાથી 172 ટકાનો ઉછાળો સૂચવે છે. કોર્પોરેટ ગવર્નન્સના અહેવાલો પાછળ કડડભૂસ થઈ ગયેલા અને ત્યારબાદ તીવ્ર સુધારો દર્શાવનારા આવા અન્ય કાઉન્ટર્સમાં 8kમાઈલ્સ(122 ટકા), મનપસંદ(105 ટકા) અને ઈન્ફિબિમ(89 ટકા)ની વૃદ્ધિ નોંધાવી ચૂક્યાં છે. જે સૂચવે છે કે આ કંપનીઓમાં મેનેજમેન્ટ ક્વોલિટીને લઈને ઊભી થયેલી નકારાત્મક્તા જાણે દૂર થઈ છે અને રોકાણકારો કંપની તરફ પરત વળ્યાં છે. જોકે નામ નહિ આપવાની શરતે સ્થાનિક એનાલિસ્ટ જણાવે છે કે સ્ટ્રીટમાં એકવાર જેઓની બ્રાન્ડ બગડે છે. તે ક્યારેય અગાઉ જેવી સારી નથી બની શકતી અને તેથી હાલમાં જોવા મળતો સુધારો અલ્પજીવી નીવડી શકે છે. રિટેલ રોકાણકારે આવી કંપનીઓની દૂર રહેવામાં જ શાણપણ છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2V0zQBQ

No comments:

Post a Comment

Pages