Latest

Saturday, April 20, 2019

સુરેન્દ્રનગરમાં પડેલો લાફો હાર્દિક પટેલને નડવાને બદલે ફળશે?

હાર્દિકને પડેલો લાફો આખો દિવસ ગૂંજ્યો

અમદાવાદ: ભાજપ હોય કે કોંગ્રેસ, નેતાઓ પર જૂતા ફેંકાવાની, તેમના મોં કાળા કરવાની કે પછી લાફા મારવાની ઘટનાઓ કોઈ નવી નથી. ભાજપના પ્રવક્તા પર દિલ્હીમાં ચાલુ પ્રેસ કોન્ફરન્સે જૂતું ફેંકાયું તેના બીજા જ દિવસે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને ચાલુ સભામાં લાફો પડ્યો. હાર્દિકને પડેલો લાફો આખો દિવસ મીડિયામાં ગૂંજતો રહ્યો, અને હાર્દિકે તો ‘હવે મને મજા આવશે, ભાજપ મારા પર હુમલો કરાવી શકે છે તેવો હું પ્રચાર કરીશ’ તેવું નિવેદન પણ આપી દીધું.

લાફા પ્રકરણ હાર્દિકને ફાયદો કરાવશે?

રાજકારણમાં આવી એકાદ ઘટના ક્યારે કોઈ નેતાના જાહેર જીવનમાં યૂ-ટર્ન લઈ આવે તે કંઈ નક્કી નથી હોતું. હાર્દિક અને કોંગ્રેસ દાવા કરી રહ્યા છે કે, લાફા પ્રકરણમાં ભાજપનો સીધો હાથ છે. જોકે, ભાજપ તેનો ઈનકાર કરે છે. એ વાત અલગ છે કે હાર્દિકને લાફો મારનારાનું ભાજપ સાથે કનેક્શન નીકળ્યું છે. આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે હાર્દિકને આ લાફો કેટલો ફાયદો કરાવશે?

એક લાફાએ હાર્દિકને રાષ્ટ્રીય સ્તરે હાઈલાઈટમાં લાવી દીધો

હાર્દિક પટેલ હાલ ગુજરાતમાં ખૂણે-ખૂણે ફરીને કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો છે. પક્ષે તેના માટે હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા પણ કરી આપી છે. તેની જાહેર સભાઓની નોંધ મીડિયામાં ભાગ્યે જ લેવાતી હતી. સુરેન્દ્રનગરમાં થયેલા લાફા પ્રકરણને કારણે હાર્દિક મીનિટોમાં જ રાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવી ગયો, અને આખો દિવસ તેને ભરપૂર પ્રસિદ્ધિ મળી ગઈ.

ફાયદો ઉઠાવવાનું હાર્દિક સારી રીતે જાણે છે

જાહેર જીવનમાં આવી થોડા સમયમાં ઘણું શીખી ગયેલા હાર્દિકને પણ લાફા પ્રકરણનો ફાયદો કઈ રીતે ઉઠાવવો તે સારી રીતે ખબર છે. સ્વાભાવિક છે કે હવે તે પોતાની સભાઓમાં ભાજપ પોતાના પર હુમલો કરાવવા માગે છે તેવું કહેવું નહીં ચૂકે, અને આ સમગ્ર પ્રકરણનો ભરપૂર રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.

હાર્દિક ગામડાંમાં હજુય પોપ્યુલર!

હાર્દિકને લાફો મારનારાને લોકોએ કેવો ઝૂડી કાઢ્યો તેનો વીડિયો પણ ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે. જે બતાવે છે કે કોંગ્રેસમાં જોડાયા પછી હાર્દિકની લોકપ્રિયતા સાવ તળિયે પણ નથી ગઈ. તેની લોકપ્રિયતામાં તેના કારણે જે કંઈ ઘટાડો થયો હતો તે શક્ય છે કે લાફા પ્રકરણને કારણે સરભર થઈ જાય. આ ઘટનાએ એ પણ સાબિત કરી આપ્યું છે કે, શહેરમાં વસતો પાટીદાર ભલે કદાચ હાર્દિક સાથે ન હોય પરંતુ ગામડાંમાં તે હજુય પોપ્યુલર છે.

જેલવાસ બાદ લાફા પ્રકરણ પણ ફાયદો કરાવશે?

હાર્દિક રાજદ્રોહના કેસમાં જેલમાં રહીને આવ્યો તે પછી તેણે જોરદાર કમબેક કર્યું હતું. તે લાંબો સમય જેલમાં હતો તે દરમિયાન એવી ચર્ચા હતી કે હવે પાટીદાર આંદોલન ફરી જીવંત નહીં થઈ શકે. વળી, કેન્દ્ર સરકારે પણ સવર્ણોને આર્થિક આધારે અનામત આપી પાટીદાર આંદોલનનો મુદ્દો જ પૂરો કરી નાખ્યો, તેમ છતાંય હાર્દિક અવનવા દાવ રમી જાહેરજીવનમાં ટકી ગયો.

હાર્દિકને કોઈ પક્ષમાં જોડાવું પડે તેમ હતું જ

માત્ર આંદોલનના આધારે તેના માટે જાહેર જીવનમાં રહેવું અઘરું હતું, અને આજે નહીં તો કાલે તેને કોઈ રાજકીય પક્ષમાં જોડવાવું પડશે તે પણ નક્કી હતું. ભાજપ સામે બોલવામાં કશુંય બાકી ન રાખનારા હાર્દિક પાસે કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો, અને આખરે લોકસભા ચૂંટણી પહેલા જ તે કોંગ્રેસમાં જોડાઈ ગયો.

કોંગ્રેસનો સ્ટાર પ્રચારક છે હાર્દિક

હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી તેનો ઘણો વિરોધ થયો, પાટીદારો પણ તેનાથી નારાજ થયા. અધૂરામાં પૂરું તેને કાયદાકીય કારણોસર લોકસભા ચૂંટણી પણ લડવા ન મળતા હાર્દિક હવે પતી જશે તેવી ચર્ચાઓ પણ શરુ થઈ. જોકે, તે બધાથી વિરુદ્ધ હાર્દિક કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો, અને કોઈ રાષ્ટ્રીય સ્તરના નેતાની જેમ તેના માટે પાર્ટીએ પ્રચાર કરવા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી આપી.

કોંગ્રેસમાં ભીડ ભેગી કરી શકે તેવા નેતા કેટલા?

હાર્દિકની માફક ભીડ ભેગી કરી શકવાની કે ભાષણ આપવાની ક્ષમતા ગુજરાતમાં કોંગ્રેસના ભાગ્યે જ કોઈ નેતામાં છે, અને અલ્પેશ ઠાકોર પણ હવે કોંગ્રેસમાં નથી જેનો સૌથી મોટો ફાયદો હાર્દિકને જ થવાનો છે તે નક્કી છે. કોંગ્રેસમાં આવ્યા બાદ હાર્દિક પર અનેક સવાલો ઉઠ્યા હતા, પરંતુ પહેલા અલ્પેશની એક્ઝિટ અને પછી સુરેન્દ્રનગરના લાફા પ્રકરણે હાર્દિકને પોપ્યુલર બનાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે હાર્દિક તેનો લાભ કઈ રીતે ઉઠાવે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Ix5NMi

No comments:

Post a Comment

Pages