અમદાવાદ: 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે મત મેળવવા માટે નેતાઓ પ્રચાર દરમિયાન અનેકવાર વાણી પર સંયમ ગુમાવી બેસતા હોવાનું સામે આવી રહ્યું છે. તાજો કિસ્સો ભાજપના ફતેપુરા બેઠકના ધારાસભ્ય રમેશ કટારાનો છે, જેમણે મતદાતાઓને આડકતરી રીતે ચીમકી આપી છે કે ભાજપને ઓછા મત મળ્યા તો કોઈ કામ નહીં થાય. એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે ભાજપને કેટલા મત મળે છે તે જોવા મોદી સાહેબે કેમેરા લગાવ્યા છે.
સ્થાનિક ન્યૂઝ ચેનલોના અહેવાલ અનુસાર, રમેશ કટારાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે મોદી સાહેબે કેમેરા મૂક્યા છે, જેનાથી જોવામાં આવે છે કે કોંગ્રેસને કોણે મત આપે છે, અને કોણ કોંગ્રેસને મત આપ્યા છે. જે બુથમાંથી ભાજપને ઓછા મત મળ્યા છે તેના કામ નહીં થાય.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રેમેશ કટારા કોઈ ગ્રામ્ય વિસ્તારમાં સભા સંબોધી રહ્યા છે, અને તેમાં તેઓ સ્પષ્ટ શબ્દોમાં લોકોને કહે છે કે તમે કોને મત આપ્યો તે જોવા માટે મોદી સાહેબે કેમેરા મૂકાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જેમણે ભાજપને મત ના આપ્યો તેમને ઠેકાણે પાડી દેવાની ધમકી આપી હતી, અને ચૂંટણી પંચે તેમને ચેતવણી આપીને જવા દીધા હતા.
from Page Array – I Am Gujarat http://bit.ly/2UCaGdn
No comments:
Post a Comment