શું છે અમૃતસરમાં જોવા જવું
અમૃતસર માત્ર શીખ જ નહીં તમામ તીર્થ યાત્રીઓ માટે એક પવિત્ર શહેર છે. પરંતુ, પંજાબમાં હરિમંદિર સાહેબ ગુરુદ્વારા એટલે કે ગોલ્ડન ટેમ્પલ સિવાય પણ ઘણી બધી એવી જગ્યા છે જ્યાં ફરવાથી ટુર યાદગાર બની જશે. અમૃતસર સ્ટેશન પહોંચશો ત્યારે શહેરના બે રુપ જોવા મળશે. એક તરફ અમૃતસર સ્ટેશનની દક્ષિણ તરફ ઓલ્ડ સિટી, જ્યાં કેટલીય ઐતિહાસિક સંરચનાઓ અને ગોલ્ડન ટેમ્પલ છે. બીજી તરફ ઉત્તર બાજુ હાઈટેક સુવિધાઓ ઘરાવતું શહેર. જ્યાં હોટેલ, રેસ્ટોરાં અને શોપિંગ મોલ્સ આવેલા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
વાધા બોર્ડર

અમૃતસર અને પાકિસ્તાનના લાહોર વચ્ચે ગ્રાન્ટ ટ્રંક રોડ પર સ્થિત એક ગામ છે વાઘા. જેને બોર્ડર પરના ગામથી ઓળખવામાં આવે છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી બાય રોડ જવા માટે અહીંથી પસાર થવાનું રહે છે. અમૃતસરથી 27 કિમી દૂર વાઘા-અટારી બોર્ડર આવેલી છે. આ બોર્ડર નિયમિત રુપે પ્રવાસીઓ માટે ખોલવામાં આવે છે. બીટિંગ રિટ્રિટ સેરેમની જોવા માટે દેશભરમાંથી અનેક લોકો આવે છે.
દુર્ગિયાના મંદિર

આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું. પરંતુ, 20મી સદીમાં એક નવું રુપ આપવામાં આવ્યું. આ મંદિરને શિતળા મા નું મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરની આસપાસ કોઈ પ્રકારનું ધુમ્રપાન કરવામાં આવતું નથી. આ એક હિન્દુ મંદિર હોવા છતા અનેક ધર્મ-સંપ્રદાયના લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. અહીંની સુંદરતા એક વખત માણવા જેવી છે.
જલિયાવાલા બાગ

અંગ્રેજોના એક ક્રુર કાંડને કારણે અમૃતસરમાં આવેલો જલિયાવાલા બાગ જાણીતો છે. ક્રાંતિકારી, વીર અને બલિદાનનું આ તીર્થ ગોલ્ડન ટેમ્પલથી થોડે જ દૂર આવેલું છે. અંગ્રેજોના જનરલ ડાયરે અહીં નિર્દોષ લોકો પર ગોળીઓની વર્ષા કરી હતી. જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અમૃતસર યાત્રાએ ગયા હોવ તો આ પ્લેસ ચૂકવા જેવી નથી.
ગોલ્ડન ટેમ્પલ

આમ તો આ શીખ ધર્મના અનુયાયીઓનું સૌથી પવિત્ર ધર્મસ્થળ છે. પરંતુ, અહીં અનેક ધર્મ-સંપ્રદાયના લોકો પૂરી આસ્થા સાથે દર્શન કરવા માટે આવે છે. સમગ્ર અમૃતસર શહેર આ ગુરુદ્વારાની આસપાસ વસેલું છે. જે સરોવરનું નિર્માણ ગુરુ રામદાસજીએ કરાવ્યું હતું તેના પર શહેરનું નામ અમૃતસર પડ્યું છે. આ સરોવરની વચ્ચે ગોલ્ડન ટેમ્પલ આવેલું છે. અહીં દરરોજ અનેક શ્રદ્ધાળુંઓ દર્શન કરવા માટે આવે છે.
તર્ણતારણ સાહેબ

અમૃતસરથી 33 કિમી દૂર પંજાબના તર્ણતારણ જિલ્લામાં શીખ ધર્મના ધર્મગુરુ અર્જૂનદેવ દેવજી અહીં તર્ણતારણ સરોવરનું નિર્માણ કર્યું હતું. આ સરોવરના નામથી જિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે તર્ણતારણ. આ સરોવરના કિનારે સ્થિત છે એક પવિત્ર ગુરુદ્વારા. જેને ગુરુ અર્જૂનસાહેબ ગુરુદ્વારથી ઓળખવામાં આવે છે. આ જગ્યા માનસિક શાંતિ અનુભવવા માટે સૌથી બેસ્ટ છે.
ગોવિંદગઢ ફોર્ટ

શહેરની વચ્ચે એક ગોવિંદગઢ કિલ્લો આવેલો છે. આ એક ઐતિહાસિક કિલ્લો છે. જેનું નિર્માણ 17મી સદીમાં થયું હતું. મહારાજા રણજીતસિંહે આ કિલ્લાનું ગુરુ ગોવિંદસિંહના નામથી ગોવિંદગઢ રાખ્યું હતું. આ કિલ્લાના કિનારા પર 25 તોપ લાગેલી છે. કહેવાય છે કે, આ કિલ્લાના એક દરવાજા નજીક એક સુરંગ છે જે લાહોરમાં નીકળે છે.
અકાલતખ્ત સાહેબ

અકાલતખ્ત શીખોના પાંચ તખ્તોમાંથી પ્રથમ સ્થાને છે. જેની સ્થાપના શીખોના છઠ્ઠા ગુરુ ગુરુહરગોવિંદસિંહે કરી હતી. આ તખ્ત પર અનેક હુમલાઓ થયેલા છે. ઈતિહાસનું સૌથી ચર્ચિત ઓપરેશન બ્લુ સ્ટાર પણ અહીં થયું હતું. આ મંદિર ખૂબ જ સુંદર છે અને દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક છે. અહીં એ હથિયારો સાચવવામાં આવ્યા છે જેનો ઉપયોગ ધર્મની રક્ષા અને બચાવ માટે કરવામાં આવ્યો હતો.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2UaeHoZ
No comments:
Post a Comment