Latest

Thursday, May 16, 2019

યુવાની જાળવવાના 10 સિક્રેટ્સઃ આટલું કરશો તો મોટી ઉંમરે પણ યુવાન રહેશો

મોટી ઉંમરે પણ યુવાન દેખાવું છે?

દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તે મોટી ઉંમરે પણ યુવાન દેખાય. ‘ઘડપણ’ એક બીમારી છે. પરંતુ યુવાની માત્ર દેખાવ સુધી સીમિત નથી. તે તમારા વિચારો અને તમારા અભિગમમાં છે. આથી 46 વર્ષે પણ 16 વર્ષના દેખાવા પાછળ સમય અને શક્તિ વ્યય કર્યા વિના તે ઉંમરને બિરદાવી લેવી જોઈએ. યુવાની માત્ર તમારા દેખાવ અંગે નથી, તમારુ શરીર અને મન કેવું ચાલે છે તેના વિષે પણ છે. આજે અમે તમારી સાથે એવા સિક્રેટ્સ શેર કરવા જઈ રહ્યા છે જેનાથી તમે મોટી ઉંમરે પણ તરવરિયા અને યુવાન દેખાશો.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

ચિંતા ઓછી કરોઃ

વધારે ચિંતા કરવાથી હૃદય પર ભારણ આવે છે અને તેને કારણે તમારી ઉંમર જલ્દી વધવા માંડશે. વધુ ચિંતા કરવાથી વધુ કરચલી પડે છે તે વાત તો વિજ્ઞાને પણ સાબિત કરી આપી છે. આપણા શરીરમાં ક્રોમોઝોમના છેડે ટેલોમીયર્સ આવેલા હોય છે. તે આપણા જનીનોનું ડેમેજ સામે રક્ષણ કરે છે. આપણી ઉંમર થતી જાય તેમ તેમ તેની લંબાઈ ઘટતી જાય છે. જે લોકો વધુ ચિંતા કરે છે, વ્યગ્ર રહે છે તેમનામાં ટેલોમીયર્સની લંબાઈ જલ્દી ઘટી જાય છે અને તે જલ્દી વૃદ્ધ દેખાવા માંડે છે. આવા લોકોને કેન્સર, હૃદયરોગ, વહેલા મૃત્યુની શક્યતા વધી જાય છે.

મજા માણોઃ

રમત એટલે તમને જે ગમે તે કરો. તમારુ દિલ હળવુ થાય, તમને ખુશી મળે એવી પ્રવૃત્તિમાં સમય વીતાવો. મિત્રો સાથે સમય વીતાવો, તમારી હોબી માટે ટાઈમ ફાળવો અને સામે પરિણામની કોઈ અપેક્ષા ન રાખશો. બસ આ પ્રક્રિયાની મજા લો, નવી નવી જગ્યાઓ જુઓ. તમારી જાતને વધુ ગંભીરતાથી ન લો. તમારી જીવનશૈલી જ એવી બનાવો કે તમને ક્ષણેક્ષણમાંથી ખુશી મળે.

આવા લોકોથી ઘેરાયેલા રહોઃ

આપણી આસપાસ સાચુ માર્ગદર્શન આપનારા, ટેકો આપનારા, પ્રેમાળ અને હિતેચ્છુ મિત્રો કે વ્યક્તિ હોય તો આપણે વધુ ખુશ રહી શકીએ છીએ. બ્રિટિશ મેડિકલ જર્નલમાં જણાવ્યા મુજબ ખુશખુશાલ મિત્ર સાથે સમય વીતાવતી વખતે લોકો 15 ટકા વધુ ખુશ હોય છે. આ ફીલ ગુડ ઈફેક્ટ તમને હંમેશા યુવાન રાખે છે.

પોતાની જાત સાથે લડવાનું બંધ કરોઃ

ઉંમર સાથે સાંધા ભલે જડ થતા જાય પરંતુ તમારા મનને ક્યારેય જડ ન બનવા દો. મનમાં શાંતિ જાળવેલી રાખો. નવા પરિવર્તનને સ્વીકારતા શીખો. જ્યારે આપણે આપણા વિચારો સાથે લડીએ છીએ ત્યારે આપણે પરિવર્તનને સ્વીકારવાનું કે લાઈફની સારી બાજુને જોવાનું ભૂલી જઈએ છીએ. સંબંધો અને પરિસ્થિતિમાં પણ આ જ વાત લાગુ પડે છે.

વારંવાર હસોઃ

હસવાથી માણસ વધુ યુવાન રહે છે. ઉંમર વધવાની પ્રક્રિયા પર સંશોધન કરતા જાણવા મળ્યું છે કે હસવાને કારણે બ્લડ સરક્યુલેશન અને શ્વાચ્છોશ્વાસની ક્રિયા સુધરે છે. તેને કારણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે છે. આથી જેટલું વધારે હસશો, તેટલા હેલ્ધી રહેશો.

નાની નાની ચીજોને એન્જોય કરતા શીખોઃ

આપણો અંતરાત્મા છે તે સાદાઈ ઝંખે છે. આજકાલ લોકો ભૌતિકતા પાછળ ભાગતા થઈ ગયા છે જેમાં તે જીવનની નાની નાની મજા માણવાનું ચૂકી જાય છે. નવાઈની વાત તો એ છે કે આ મજા માણવા માટે તમારે ખાસ ખર્ચા કરવાની પણ જરૂર નથી. આ એવી ક્ષણો છે જે તમે પ્લાન નથી કરી છતાંય તમને આજીવન ખુશીઓથી ભરી દે છે. સવારે ચાલવા જાવ, પુસ્તક વાંચો, દરિયાના મોજા જુઓ, ઘરમાં પેટ હોય તો તેને પ્રેમ કરો કે પછી કોઈને હસાવો… આ નાની નાની ચીજોને કારણે તમે મોટી ઉંમરે પણ યુવાનીનો અહેસાસ થશે.

નવી ચીજો શીખતા રહોઃ

નવી ચીજો શીખતા રહેવાથી વ્યક્તિ યુવાન રહે છે. આપણે ઘરડા થઈએ એટલે આપણું શરીર આપણા માટે રુટિન સેટ કરવા માંડે છે. પરંતુ જો તમે નવું નવું શીખ્યા કરનાર કોઈ વૃદ્ધને પૂછો કે તેમને કેવું લાગે છે? તો તે તરત જ જવાબ આપશે- ટીનેજર જેવું. આપણું દિમાગ આપણી સાથે રમત કરે છે. મોટી ઉંમરે તમે કોમ્પ્યુટર જાતે શીખી શકો, દેશ-વિદેશના પ્રવાસ કરી શકો કે પછી લેખક બની શકો. મનને કશામાં પરોવેલું રાખો. આમ કરવાથી હતાશા તમારી આસપાસ પણ નહિ ફરકે.

તમને દુઃખી કરે એ ચીજથી દૂર રહોઃ

તમને જે ચીજો કે જે યાદ દુઃખ પહોંચાડતી હોય તેનાથી દૂર થઈ જાવ. આમ કરવાથી તમારા શરીરમાં સારા હોર્મોન્સ વધશે અને તમારામાં આગળ વધવાની એનર્જી આવશે. તમારી જાતને ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો, પોઝિટિવ વિચારો પર ફોકસ કરો. આમ કરવાથી તમે દુઃખમાંથી તો બહાર આવી જ જશો પરંતુ સ્થિર મગજથી આગળની લાઈફને પણ એન્જોય કરી શકશો.

સ્વાસ્થ્યની કાળજી રાખોઃ

તમારા સ્વાસ્થ્યની કાળજી એવી રીતે રાખો કે જેટલા કોષો નષ્ટ થાય તેના કરતા વધારે નવા બને. યોગ્ય માત્રામાં પૌષ્ટિક આહાર ખાવ, અઢળક પાણી પીઓ, કસરત, પ્રાણાયામ, યોગ કરો. રોજ ચાલવા જાવ. પૂરતી ઊંઘ લો જેથી તમારા શરીર અને મન બંનેને બીજા દિવસે પૂરતુ કામ કરવા માટે આરામ મળે. હંમેશા યાદ રાખો કે તમારા શરીરને યુવાન અને હેલ્ધી રાખવાની ચાવી તમારા મન પાસે છે. કુદરતના સાંનિધ્યમાં સમય વીતાવો. આમ કરવાથી શરીરમાં નવા કોષો બનતા જ રહેશે.

તમારી ઈચ્છાઓ પૂરી કરોઃ

આ વાતને નકારાત્મક રીતે ન લેવી જોઈએ. એક સંત જેને કોઈપણ ઈચ્છા નથી, તેને પણ ઈશ્વર સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા હોય છે. ઈચ્છ એક એવી એનર્જી છે જે તમને જીવનમાં આગળ વધવાનું ળ આપે છે. સવારે ઊઠીને તમારી જાતને સવાલ પૂછો કે તમારી શું ઈચ્છા છે અને તમે કેવી રીતે તે પૂરી કરશો. આ ઈચ્છા એક કવિતા લખવાની, કૉફી પીવાની કે પછી કોઈ મિત્રને મળવાની પણ હોઈ શકે. તેનાથી તમેન સારુ ફીલ થાય અને તમે યુવાન હોવાનો અનુભવ કરો તે જરૂરી છે.

દરરોજ આટલું કરોઃ

લાઈફનો આ અલ્ટીમેટ મંત્ર છે. એક બાળક જેટલી સાદાઈથી રહે છે તેટલી સાદાઈથી જીવન જીવો. પ્રાર્થના કરો જેથી તમારી લાઈફમાં હકારાત્મક પરિવર્તન આવતા રહે અને આંતરિક શાંતિ અનુભૂતિ થાય. જ્યારે પણ ઈચ્છા થાય, મસ્તીમાં ઝૂમી ઊઠો. માનશો? આટલું કરશો તો તમે યુવાન રહેશો. એક દિવસથી આગળ વધુ ન વિચારો. આ રીતે જીવશો તો નેવુ વર્ષે પણ ઓગણીસ વર્ષના હોવાનો અહેસાસ થશે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2HyX7Ci

No comments:

Post a Comment

Pages