નવી દિલ્હી: આગામી સપ્તાહની શરૂઆતમાં એક્ઝિટ પોલ ઈક્વિટી માર્કેટની ચાલ પર અસર કરશે અને બાદમાં 23મી મેના રોજ જાહેર થનારા સામાન્ય ચૂંટણીના પરિણામો શેરબજારની ભાવિ દિશા નિર્ધારિત કરશે, તેમ બજાર વિશ્લેષકોએ જણાવ્યું હતું.
ચૂંટણી સંબંધિત ઉતાર-ચઢાવને ધ્યાનમાં લેતાં શેરબજારમાં આ સપ્તાહે રોકાણકારોએ ભારે વોલેટિલિટીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આજે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થશે કે તરત જ એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ જશે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જ્યાં સુધી ચૂંટણીના પરિણામ નહીં આવે ત્યાં સુધી શેરબજારમાં અનિશ્ચિતતા જારી રહેશે.
એપિક રિસર્ચના સીઈઓ મુસ્તફા નદીમે કહ્યું હતું કે, આ સપ્તાહની અત્યંત મહત્ત્વની ઘટના બજારની દિશા નિર્ધારિત કરશે અને તે રોકાણકારોને સંપત્તિનું સર્જન કરવામાં
મહત્ત્વની સાબિત થશે. આ પોલિટિકલ ઈવેન્ટ્સ બજારમાં લાબા ગાળાનો ટ્રેન્ડ નક્કી કરશે. તેથી તે અર્થતંત્ર અને રોકાણકારો માટે ખુબ જ મહત્ત્વ ધરાવે છે.
બજારમાં આગામી સપ્તાહની શરૂઆતમાં ભારે અફરાતફરીની શક્યતા છે પણ એક્ઝિટ પોલ બાદ થોડું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
શેરબજાર માટે આ સપ્તાહ હેપનીંગ બની રહેશે, જેમાં તમામની નજર ‘સ્ટોક ક્વોટ્સ’ને બદલે ‘વોટ ક્વોટ્સ’ પર રહેશે, તેમ SAMCO સિક્યુરિટીઝ એન્ડ સ્ટોક નોટના સંસ્થાપક અને સીઈઓ જિમીત મોદીએ જણાવ્યું હતું.
આગામી સપ્તાહે કેટલીક બ્લુચિપ કંપનીઓ ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની હોવાથી શેરબજારની ચાલ પર તેની પણ અસર જોવા મળશે. આ સપ્તાહે ટાટા મોટર્સ, કેનરા બેન્ક અને સિપ્લા વગેરે કંપનીઓ તેમના નાણાકીય પરિણામો જાહેર કરશે.
આ ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેનો વેપાર તણાવ, ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર સામે રૂપિયાની ચાલ અને વિદેશી રોકાણ પ્રવાહ વગેરે પરિબળો પણ શેરબજારના સેન્ટિમેન્ટ પર અસર કરે તેવી સંભાવના છે.
વિતેલા સપ્તાહે BSE સેન્સેક્સ 467.78 પોઈન્ટ્સ અથવા 1.24 ટકા વધીને બંધ રહ્યો હતો. શુક્રવારે 30 શેરોનો બનેલો બેન્ચમાર્ક સેન્સેક્સ 537.29 પોઈન્ટ્સ અથવા 1.44 ટકાના ઉછાળા સાથે 37,930.77 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2JriBnT
No comments:
Post a Comment