નવી દિલ્હી: બજાર નિષ્ણાતોના મતે આગામી સપ્તાહે વૈશ્વિક સંકેતો, મેક્રો ડેટા તેમજ ચોથા ક્વાર્ટરના બાકીના કંપની પરિણામો શેરબજારની દિશા નિર્ધારિત કરશે. ચૂંટણીની મોસમ વચ્ચે આ સપ્તાહે ભારતીય ઈક્વિટી માર્કેટ વોલેટાઈલ રહેવાની ધારણા છે.
વિતેલા સપ્તાહે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ વધવાને પગલે શેરબજારમાં ઘટાડા તરફી હવામાન જોવા મળ્યું હતું.
આ સપ્તાહે મહત્ત્વનો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, અમેરિકા-ચીન વેપાર વિવાદ, ચૂંટણીના પરિણામની અટકળો અને કંપનીઓના ત્રિમાસિક પરિણામ એમ ત્રણ પરિબળોમાંથી કયું પરિબળ બજારને પોતાના ઈશારે નચાવી શક્શે?
સેમ્કો સિક્યુરિટીઝ એન્ડ સ્ટોકનોટના સંસ્થાપક સીઈઓ જિમીત મોદીએ કહ્યું હતું કે, બજારને દોરવામાં ટ્રેડવોર અને ચૂંટણી પરિણામો વચ્ચે મુખ્ય ટક્કર રહેશે જ્યારે કંપની પરિણામો બેક સીટ પર આવી જશે. આ ટક્કર વધશે ત્યારે શેરબજારમાં પણ ભારે વોલેટિલિટી જોવા મળે તેવી સંભાવના છે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહની શરૂઆતમાં ફુગાવાનો દર જાહેર થશે, જે બજારના ભાવિ ટ્રેન્ડ માટે મહત્ત્વનો સાબિત થશે.
હાલમાં દેશમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીનું 19મી મેના રોજ સમાપન થશે અને આગામી 23મી તારીખે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
એપિક રિસર્ચના સીઈઓ મુસ્તફા નદીમે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી હવે પૂર્ણાહુતિના આરે છે અને તે બજારની વોલેટિલિટીનું એક કારણ છે. આ ઉપરાંત ટ્રેડવોર અને વૈશ્વિક પ્રવાહો બળતામાં ઘી હોમે તેવી સંભાવના છે.
આ સપ્તાહે ITC, HDFC, લુપિન, બજાજ ઓટો અને હિન્દાલ્કો સહિતના કંપનીઓ તેના ચોથા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરશે. સોમવારે જ્યારે બજાર ખૂલશે ત્યારે તેની ચાલ પર શુક્રવારે બજાર બંધ થયા બાદ જાહેર થયેલા ઔદ્યોગિક ઉત્પાદન આંક (IIP)ની અસર વર્તાશે. માર્ચ મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નબળી કામગીરીથી IIP 21 મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો.
શેરખાન (બીએનપી પારિબા)ના એડવાઈઝરી હેડ હેમાંગ જાનીએ જણાવ્યું હતું કે, સામાન્ય ચૂંટણીના હવે થોડા જ તબક્કા બાકી રહ્યા છે ત્યારે મે મહિનામાં બજાર સતત વોલેટાઈલ રહેવાની ધારણા છે. કંપનીના ત્રિમાસિક પરિણામો પણ બજારને ટૂંકાગાળા માટે વોલેટાઈલ રાખે તેવી સંભાવના છે.
ગયા શુક્રવારે સતત આઠમાં સેશનમાં શેરબજારમાં વેચવાલીનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આમ ફેબ્રુઆરીના મધ્યભાગ બાદ સૌપ્રથમ વખત સતત આઠ સેશનમાં બજાર તૂટ્યું હોવાની ઘટના ઘટી છે. કંપનીઓના નબળા પરિણામો અને અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડવોરને કારણે રોકાણકારો શેરબજારથી સાઈડલાઈન થઈ ગયા છે.
અમેરિકાએ ચીનની 200 અબજ ડોલરની આયાત પર ટેરિફમાં વધારો ઝીંકી દેતાં ચીને પણ તેનો જડબાતોડ જવાબ આપવાની ધમકી ઉચ્ચારી હતી. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 1,500.27 પોઈન્ટ્સ અથવા 3.85 ટકા ઘટીને 37,462.99 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HfCk6j
No comments:
Post a Comment