Latest

Monday, September 30, 2019

અ’વાદ: વરસાદે બગાડી પહેલા નોરતાની મજા, અનેક જગ્યાએ પાણી ભરતાં ગરબા રદ કરાયા

અમદાવાદ: ગરબાના શોખીન લોકો આખું વર્ષ નવરાત્રીની કાગડોળે રાહ જોતા હોય છે. ત્યારે નવરાત્રી આવે અને વરસાદ રંગમાં ભંગ પાડે તો ખેલૈયાઓનો મૂડ મરી જાય છે. આ વર્ષે રવિવારે નવરાત્રીનું પહેલું નોરતું હતું અને ખેલૈયાઓમાં ગરબા રમવાનો થનગનાટ હતો. પરંતુ વરસાદની ભીતિએ એસ.જી. હાઈવે પર આવેલા પાર્ટી પ્લોટ સહિતના મોટા પાર્ટી પ્લોટમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. તો કેટલીક જગ્યાએ તો ગરબાના મેદાનમાં પાણી ભરાઈ ગયા હોવાથી આયોજકોએ ગરબા જ રદ કરી નાખ્યા હતા. સોમવારે પણ આ જ સ્થિતિ રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ જિલ્લામાં સોમવારે ભારે વરસાદની આગાહી છે. જેના લીધે ખેલૈયાઓ પણ નિરાશ થયા છે. ઝુમ્બા ઈન્સ્ટ્રક્ટર ઝલક મોદીએ રવિવાર અને સોમવારે મિત્રો સાથે ગરબા રમવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેઓ જ્યાં ગરબા રમવા જવાના હતા ત્યાં બંને જગ્યાએ આયોજન રદ થયું. ઝલકે કહ્યું, “મને સવારે મેસેજ મળ્યો હતો કે, ખરાબ હવામાનના લીધે ગરબા રદ કરવામાં આવ્યા છે. અમે લોકો અમન આકાશ પાર્ટી પ્લોટમાં જવાના હતા. છેલ્લી ઘડીએ પાસ મળવા મુશ્કેલ હોય છે. એટલે અમે અમારી સોસાયટીમાં ગરબા રમવાનું નક્કી કર્યું છે.”

ચાંદલોડિયાના એક રહેવાસી હેમંત કારિયાએ કહ્યું, “અમે મોટા પાર્ટી પ્લોટમાં રવિવારે ગરબા રમવા જવાના હતા પરંતુ વરસાદના લીધે રદ થયા.” ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની વેબસાઈટ પ્રમાણે, ‘કચ્છના અખાત અને આસપાસના વિસ્તારમાં સવારે સર્જાયેલા લો-પ્રેશરની સાથે સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધતું હોવાને લીધે ગુજરાતમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જેના પરિણામે વરસાદ વરસી રહ્યો છે.’ AMCના કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ, સરખેજમાં 8mm, મણીનગર અને દાણાપીઠમાં 5 મિલીમીટર, ચાંદખેડામાં 4.5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

મંગળવારે ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. 29 સપ્ટેમ્બરે સાત જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, 18 જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો અને 8 જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2osgWFm

No comments:

Post a Comment

Pages